Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

શાક માર્કેટનાં ર૭ર થડા ધારકોએ મનપાને અર્ધા કરોડનો ધુમ્બો માર્યોઃ કમિશ્નર લાલઘુમ

વર્ષો સુધી થડાનું ભાડુ નહી ભરનારા જયુબીલી, હુડકો, ગોવિંદ બાગ, લાખાજીરાજ સહિતની ૭ માર્કેટનાં ર૭ર થડાઓ જપ્ત કરી ફાળવણી રદઃ હવે આ તમામ થડાની ફરીથી હરરાજી થશેઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા કડક કાર્યવાહી

રાજકોટ તા. ૧પ :.. શહેરનાં સામાકાંઠે આવેલ વિવિધ ૭ શાક માર્કેટમાં ર૭ર થડા ધારકોએ છેલ્લા ઘણા વર્ષોથી ભાડુ નથી ભર્યુ જેનાં કારણે મ્યુ. કોર્પોરેશનને પ૦ લાખની માતબર રકમનું નુકશાન થયુ હોઇ આ તમામ થડા ધારકોનાં થડાઓ જપ્ત કરી તેની ફાળવણી રદ કરતો હુકમ મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ કર્યો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ શાક માર્કેટમાં વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાઈ રહેતેવા હેતુથી શાક માર્કેટની અંદર અલગ-અલગ હોલ્ડરોને થડા ફાળવવામાં આવેલ છે, આ થડાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માસિક લીઝ ભાડું રૂપિયા ૫૦૦/- વસુલ કરવામાં આવે છે, અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાક માર્કેટમાં લાંબા સમયથી લીઝ ભાડું નહીં ભરતા ૨૭૨ થડા હોલ્ડરનાં થડાની ફાળવણી રદ કરી થડા ખાલસા કરવામાં આવેલ છે, ખાલસા કરેલ થડા/વખાર જાહેર હરરાજીથી બીજા લાભાર્થીઓને ફાળવવામાં પણ આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ કહેલું કે, શાક માર્કેટમાં થડા હોલ્ડરોને એક લીઝ એગ્રીમેન્ટ કરી આપવામાં આવે છે, જેમાં શરતોમાં દર્શાવેલું હોય છે કે માસિક લીઝ ચાર્જ જે માસનું હોય તે માસની દર મહિનાની તારીખૅં ૧ થી ૫ સુધીમાં પૂરેપૂરું ભરી આપવાનું રહેશે. જો તેમાં સમયસર લીઝ ભાડું નહિ ચૂકવો તો દર માસ દીઠ પેનલ્ટી અથવા વખતો-વખત રાજકોટ મહાનગરપાલિકા નિયત કરે તે પ્રમાણે નોટીસ ફી ભરવાની રહેશે. પરંતુ શાક માર્કેટના કેટલાક થડા હોલ્ડરો દ્વારા લીઝ ડીડમાં દર્શાવ્યા પ્રમાણે કબુલાત કરેલ હોવા છતાં પણ લાંબા સમયથી લીઝ ચાર્જ ભરપાઈ કરેલ નથી. આ હોલ્ડરોને વારંવાર નોટીસ બજાવી બાકી લીઝ ચાર્જ ભરપાઈ કરી જવા જણાવેલ છે, આમ છતાં થડા હોલ્ડરો દ્વારા નોટીસમાં દર્શાવેલ ચડત માસિક લીઝ ચાર્જ નહિ ભરતા અને રાજકોટ મહાનગર પાલિકાની નોટીસનો જવાબ નહિ કરતા થડા ખાલસા કરવામાં આવ્યા હતા.

આ થડા હોલ્ડરોએ છેલ્લા ૧૦ માસથી ૭ વર્ષ સુધી થડાનું લીઝ ચાર્જ ભરેલ નથી અને કાયદા અને લીઝ ડીડની શરતોનું પાલન કરેલ નથી. આ બાબત જાહેર પ્રજાહિતમાં બિલકુલ ચલાવી શકાશે નહિ,  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ઉમદા હેતુથી થડા ફાળવવામાં આવ્યા હતા તેમ છતાં થડા હોલ્ડરો દ્વારા તેનો ભંગ કરતા થડા હોલ્ડરના નામેથી રદ/ખાલસા કરી જે-તે થડો રાજકોટ મહાનગરપાલિકામાં પરત લેવામાં આવ્યા છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

શહેરમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાક માર્કેટમાંથી જે થડાને ખાલસા કરવામાં આવ્યા હતા તેમાં, (૧). જયુબિલી ભાગ ૧ – ૩૫, (૨). જયુબિલી ભાગ ૨ – ૨૨, (૩). જયુબિલી નાળિયેર માર્કેટ – ૧૮, (૪). ભોજા ભગત માર્કેટ – ૩૫, (૫). લાખાજીરાજ માર્કેટ – ૧૧૮, (૬). ગોવિંદબાગ માર્કેટ – ૩૩, (૭). હુડકોં માર્કેટ – ૧૧ આમ કુલ થડા/વખાર -૨૭૨ ને રદ/ખાલસા કરવામાં આવ્યા હતા. જે ખાલસા કરેલ થડાની બાકી રહેતી રકમ ૫૦.૨૩ લાખ હતી. ખાલસા કરેલ થડા/વખાર જાહેર હરરાજીથી બીજા લાભાર્થીઓને ફાળવવા કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

(4:08 pm IST)