Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

શાપર-વેરાવળમાં ટ્રેન નીચે ઝંપલાવી કોળી પ્રેમી પંખીડાનો આપઘાત

શાપરના યુવક ઘનશ્‍યામ કોળી તથા રાજકોટની સગીરા જયશ્રી કોળી એક ન થઇ શકતા મોત મીઠુ કરી લેતા અરેરાટી

તસ્‍વીરમાં આપઘાત કરનાર પ્રેમી પંખીડાના મૃતદેહ નજરે પડે છે.ઇન્‍સેટ તસ્‍વીર કોળી સગીરાની છે. (તસ્‍વીર કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

 શાપર-વેરાવળ, તા., ૧પઃ રાજકોટની ભાગોળે આવેલ શાપર-વેરાવળ નજીક પડવલા ગામના  ફાટક પાસે આજે સવારે શાપર અને રાજકોટના પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળના પડવલા નજીક આજે સવારે પસાર થતી ટ્રેન નીચે ઝંપલાવી એક યુવક અને એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે ઘટના સ્‍થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બનાવની જાણ થતા શાપર-વેરાવળના એએસઆઇ એન.બી.રાઠોડ પોલીસ સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

પોલીસ તપાસમાં મૃતક યુવકના ખિસ્‍સામાંથી ઘનશ્‍યામ હેમંતભાઇ કોળી (રહે. સર્વોદય સોસાયટી, શાપર-વેરાવળ)ના નામનું આધારકાર્ડ મળ્‍યું હતું. તેમજ મૃતક સગીરા પાસેથી જયશ્રી મુકેશભાઇ શાપરા (કોળી) (રહે. મૂળ ભગવત પરા-ગોંડલ અને હાલ આજી ડેમ પાસે રાજકોટ)નો પ્રાથમીક શાળા નં. પ માં જન્‍મતારીખનો દાખલો મળી આવ્‍યો હતો અને સગીરાના ડાબા હાથ ઉપર જયશ્રી ત્રોફાવેલ છે. ઘટના સ્‍થળેથી બંન્નેના મોબાઇલ ફોન મળી આવતા પોલીસે તે કબ્‍જે કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ આપઘાત કરનાર સગીરા પાસેથી જન્‍મ તારીખનો દાખલો મળતા તે તેના પ્રેમી સાથે નાસી છુટવાના ઇરાદાથી રાજકોટ સ્‍થિત ઘરેથી નિકળી ગયાનું તારણ છે અને શાપર સ્‍થિત પ્રેમી ઘનશ્‍યામ કોળી સાથે મળ્‍યા બાદ બંન્નેના લગ્ન શકય ન હોવાનું અને બંન્નેના કુટુંબીજનો બંન્નેને એક નહિ થવા દે તેમ માની ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. 

આપઘાત કરનાર સગીરાની ઉંમર ૧૮ વર્ષ  પુર્ણ થતી ન હોય ઘરેથી નિકળ્‍યા બાદ પ્રેમી સાથે લગ્ન નહિ થઇ શકે તેમ માની બંન્નેએ આપઘાત કરી લીધાનું તારણ નિકળી રહયું છે.

દરમયાન આપઘાત કરનાર કોળી સગીરાના પરીવારજનોએ તેની પુત્રી ગૂમ થયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.  શાપર પોલીસે  આપઘાત કરનાર યુવક અને સગીરાની લાશને પીએમ માટે હોસ્‍પીટલે ખસેડેલ છે. તેમજ બંન્ને મૃતક પ્રેમી પંખીડાના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.

(11:12 am IST)