Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટમાં બનેલ કામાખ્યા મંદિરે બુધવારથી ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહા મહોત્સવ

શોભાયાત્રા, ગૃહ શાંતિ હોમ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો : આસામ જેવી જ પ્રતિકૃતિ

રાજકોટ તા. ૧૫ : પૂર્વ ભારતના કામરૂદેશ તરીકે જાણીતા આસામમાં આવેલ શ્રી કામાખ્યા માતાજીના મંદિર જેવું જ મંદિર રાજકોટમાં નિર્માણ કરાયુ છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૭ થી ૧૯ યોજાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે ૫૧ શકિત પીઠ પૈકી ૧૮ મું શકિત પીઠ તરીકે સ્થાન ધરશાવતુ શ્રી કામાખ્યા મંદિર ટ્રસ્ટની મંજુરી લઇને તેના જેવું જ મંદિર રાજકોટના લાપાસરી રોડ, કોઠારીયા ગામ, રણુજા મંદિર સામે નિર્માણ કરવામાં આવેલ છે.

બે એકર જગ્યામાં પાંચેક વર્ષ પહેલા ગૌ શાળા શરૂ કરવામાં આવી હતી. બાદમાં છેલ્લા એક વર્ષથી મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ હતુ. ૨૧*૨૧ ના ગર્ભ ગૃહ સાથે તૈયાર થયેલ આ શ્રી કામાખ્યાધામનો પ્રાણ પ્રતિષ્ઠા આગામી તા. ૧૭ ના બુધવારથી તા. ૧૯ ના શુક્રવાર એમ ત્રિ દિવસીય આયોજીત કરાયો છે.

પ્રથમ દિવસે તા. ૧૭ ના બુધવારે સાંજે ૪ વાગ્યે સામૈયા, શોભાયાત્રા, ધાન્યાધિવાસ, દેશ શુધ્ધિ, બીજા દિવસે તા. ૧૮ ના ગુરૂવારે સવારે ૭ વાગ્યે ગણપતિ સ્થાપન, ગ્રહ શાંતિ હોમ, તા. ૧૯ ના નિત્ય પુજા ધ્વજારોહણ અને મુર્તિ સ્થાપન સહિતા કાર્યક્રમો થશે.

પંચધાતુમાંથી મુરાબાદ ખાતે બનાવવામાં આવેલ ૩ાા ફુટની મુર્તિનું અહીં સ્થાપન કરાશે. અહી કોળાની બલી, કેળાનું સ્થંભ (પ્રસાદ) ચડાવાશે. દરરોજ સવારે ૬ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે આરતી થશે. દરરવિવારે સાંજે ૪ વાગ્યે ખાસ પૂજા કુશ્માંડ બલી પુજા અને બાદમાં મહાપ્રસાદ વિતરીત થશે.

વધુ માહીતી માટે મો.૯૮૨૫૫ ૭૯૫૭૪, મો.૯૯૦૯૩ ૮૦૧૨૪, મો.૯૭૨૩૬૫ ૦૦૮૬૩ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા પુજારી શાસ્ત્રી શ્રી વિશાલભાઇ જાની, આનંદભાઇ હાપલીયા, કમલેશભાઇ ભુવા, સંજયભાઇ આડેસરા, અંકુરભાઇ હાપલીયા, વિનુભાઇ હાપલીયા, પ્રતિક જાની નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:42 pm IST)