Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સત્તામાં લાવનાર પાટીદાર આગેવાનોને જ ભાજપે હાંસીયામાં ધકેલી દીધા: સરદારના કાર્યો પર પોતાનું રાજકારણ ચલાવે છે

સરદાર પટેલ હંમેશા કોંગ્રેસના આદરણીય નેતા રહ્યા છે અને રહેશે : ભટ્ટી - વોરા

રાજકોટ તા. ૧૫ : લોકસભા રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટીની સંયુકત અખબારી યાદી જણાવે છે કે વર્તમાન રાજકારણ અને ભાજપના વલણની આકરી ટીકા કરીને કેટલાક મહત્વના સવાલો પૂછ્યા છે. એમણે કહ્યું છે કે દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસના નેતાઓ અને સંખ્યાબંધ કાર્યકરોનું યોગદાન છે. ભાજપ તો ત્યારે કયાંય નહોતો એટલે હવે કોંગ્રેસના નેતાઓના નામ વટાવીને રાજનિતી કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ હંમેશા કોંગ્રેસના આદરણીય નેતા રહ્યા છે અને રહેશે. પણ ભાજપ પાસે એનો જવાબ નથી કે એમણએ કેટલા પાટીદારને અન્યાય કર્યો.

હિતેશભાઈ વોરાએ યાદીમાં જણાવ્યું કે વારંવાર ભાજપ કહે છે કે કોંગ્રેસે સરદારને ભુલાવી દીધા. અરે ભાઇ અમદાવાદના એરપોર્ટને પણ એમનું નામ આપ્યું છે, અને આઇએએસ-આઇપીએસ તૈયાર કરતી સ્પિપા સંસ્થા પણ આદરણીય સરદાર સાહેબના નામે છે. સરદાર સ્મારકો પણ છે. સરદાર તો રાષ્ટ્રીય નેતા હતા એમને આમ ટૂંકા કરવાનું પાપ ભાજપ કરી રહ્યો છે. ભાજપ પાસે ભૂતકાળના કોઇ રાષ્ટ્રીય નેતા નથી. એટલે એમણે સરદારનું નામ લેવું પડે છે. આજે પણ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને કે ધમકી આપીને લઇ જાય છે. અને મંત્રી બનાવે છે. કોંગ્રેસમાં તૈયાર થયેલા લોકો જ ભાજપમાં મહત્વનું સ્થાન પામે છે.

સૌથી અગત્યનો મુદ્દો જશવંતસિંહ ભટ્ટીએ કહ્યુ કે ભાજપ પાટીદાર સમાજને ઉશ્કેરે છે અને એમની લાગણીનો લાભ લે છે કે કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો છે. એક સમયે ભાજપને સત્ત્।ામાં  કેશુભાઇ પટેલને ભાજપ દ્વારા સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના શાસનમાં કોને શું વાંધો પડ્યો કોના હીત જોખમાયા કે એમને પણ ઉતારી મુકાયા, આનંદી બહેન પછી નિતિનભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી હતું પણ કોના ઈશારે ઝૂકી ગયા, કઇ મજબૂરી હતી, છેલ્લા વીસ જ વર્ષમાં ત્રણ-ત્રણ પાટીદાર અગ્રણીને અન્યાય કરનાર ભાજપ કયા મોઢે સરદારને કોંગ્રેસે ભુલાવી દીધા એમ કહે છે.

હિતેશભાઈ વોરા અને જશવંતસિંહ ભટ્ટીની અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે કે કોંગ્રેસ તો પહેલેથી સર્વસમાજની પાર્ટી છે. અને આ દેશના ઘડતરમાં, મજબૂતીમાં સરદારનો જે ફાળો છે એને ભાજપના પ્રમાણપત્રની જરૂર કયાં છે તેવું યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:39 pm IST)