Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગોંડલ સંપ્રદાયના સંપ્રદાય વરિષ્ઠા, શ્રમણી શ્રેષ્ઠા પૂ.ગુલાબબાઈ મ.સ.ની પાલખી યાત્રામાં શ્રાવક- શ્રાવીકાઓ જોડાયા

રાજકોટ શ્રી સદર સ્થા.જૈન સંઘમાં બીરાજમાન ૭૨ વર્ષના સંયમ પર્યાયધારી :કાલે સદર ઉપાશ્રયે ગુણાનુવાદ સભા યોજાશે

રાજકોટઃ ગોંડલ સંપ્રદાય વરીષ્ઠા પૂ.ગુલાબબાઈ મ.સા. ૭૨ વર્ષનું સંયમ જીવનનું પાલન કરીને તા.૧૪ને ગુરૂવારના સાંજે ૬: ૦૬ કલાકે સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે રાજકોટ સદર ઉપાશ્રયે કાળધર્મ પામેલ છે.

રત્નકુક્ષિણી માતા સમરતબાઈ અને ધર્મ પરાયણ પિતા ભુરાચંદભાઈના આંગણે આજથી ૯૨ વર્ષ પૂર્વે ખીરસરા ગામમાં એક બાળકીનું અવતરણ થયેલ.મુખાકૃતિ અને દેહાકૃતિ એકદમ સૌમ્ય અને ગુલાબ જેવી હોવાથી પરીવારજનોએ તેઓનું નામ ગુલાબ રાખ્યું. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે માત્ર ૨૧ વર્ષની ભર યુવાન વયે પોતાના આત્માને ૮ કર્મોથી આઝાદ કરવા ગોંડલની બાજુમાં આવેલ ''ખીરસરા''ની ધન્ય ધરા પર વિક્રમ સંવત ૨૦૦૪ મ.સુ.૧૩ ના તેઓએ પૂ.પ્રાણગુરૂના શ્રી મુખેથી ''કરેમિ ભંત''નો પાઠ ભણી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ.ગુરૂણી મૈયા ઉજમબાઈ મ સ.નું સાનિધ્ય પ્રાપ્ત કરેલ.

 તેઓએ પ્રથમ ચાતુર્માસ સાવરકુંડલા અને અંતિમ ચાતુર્માસ સદર સંઘમાં લાભ આપેલ. તેઓએ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બિહાર, બંગાલ વગેરે પ્રાંતોમાં વિચરણ કરી મહાવીરનો સંદેશો ફેલાવી અભૂતપૂર્વ શાસન પ્રભાવના કરેલ. ૯૨ વર્ષની ઉંમરમાં ૭૨ વર્ષના સુદીર્ઘ સંયમ જીવનમાં પૂ.પ્રાણ ગુરૂ સહિત અનેક જ્ઞાની પૂ.સંત - સતિજીઓનો ત્રિગુણ સ્થવિરા પૂ.ગુલાબ બાઈ મ.સ.ને અપૂર્વ મહા લાભ મળેલ. ગોંડલ સંપ્રદાયના અગ્રણી વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠ કહ્યું કે પૂ.ગુલાબબાઈ સમયક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતાથી શોભાયમાન હતાં. મોટા સંઘ અને સદર સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએર્ં જણાવ્યું કે લગભગ છેલ્લા ત્રણ દાયકાથી સદર સંઘને પૂ.ગુલાબબાઈ મ.સ.એ સ્થિરવાસનો લાભ આપી સદર સંઘને જંગમ તીર્થ બનાવેલ.

ગુરૂણી મૈયા પૂ.ગુલાબબાઈ મ.સ.ની પૂ.તારાબાઈ મ.સ.,પૂ.વિજયાબાઈ મ.સ., પૂ.કુંદનબાઈ મ.સ.એ અગ્લાન ભાવે અપૂર્વ સેવા - વૈયાવચ્ચ કરેલ. ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.ગુરૂણી મૈયા ગુલાબબાઈ મ.સ.એ તો ગોંડલ સંપ્રદાયનું ગૌરવ હતાં.જેઓનો સાત - સાત દાયકાઓના સંયમ પર્યાયના કારણે તેઓ સંપ્રદાય વરિષ્ઠા અને શ્રમણીઓમાં શ્રેષ્ઠા અને ચારિત્ર જયેષ્ઠા હતાં.

સદર સંઘના અગ્રણી કિશોરભાઈ દોશી, મધુભાઈ શાહ તથા જગદીશભાઈ કોઠારી કહ્યું કે પૂ.ગુલાબબાઈ મ.સ. છેલ્લી અવસ્થામાં પણ સ્વાધ્યાયમય રહેતાં. ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરનાર મુમુક્ષુ આત્માઓ જયારે પૂ.ગુલાબ બાઈ મ.સ.ના દર્શન કરવા પધારેલ ત્યારે પૂ.ગુલાબબાઈ અત્યંત હર્ષિત થઈ કૃપાશીષ આપતા કહેલ કે સંપ્રદાય અને જિન શાસનનું ગૌરવ વધારી સ્વ - પરનું કલ્યાણ કરજો.

પૂ.ગુલાબબાઈ મ.સ.એકદમ સરળતાની મૂર્તિ હતા. નિખાલસતામાં તેઓની તોલે કોઈ આવે નહીં. તેઓ કાયમ પ્રભુ મહાવીરનું આગમ વાકય દર્શનાર્થીઓને કહેતા કે જયાં સરળતા છે ત્યાં ધર્મનો વાસ છે,માટે જીવનમાં સદા સરળતાને અપનાવજો.ર્ં

સંપ્રદાય વરિષ્ઠા પૂ.ગુલાબબાઈ મ.સ.કાળધર્મ પામતા ગોંડલ સંપ્રદાય અને જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.

પાલખી યાત્રા

સંપ્રદાય વરિષ્ઠા,ચારિત્ર જયેષ્ઠા સાધ્વી રત્ના પૂ.ગુલાબબાઈ મ.સ.ની પાલખી યાત્રા આજ તા.૧૫ ના રોજ બપોર ૨ કલાકે શ્રી સદર સ્થા.જૈન સંઘ,૧૫ પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતેથી જય જય નંદા, જય જય ભદાના જયનાદ સાથે નીકળી પંચનાથ મંદિર, લીમડાચોક, શાસ્ત્રીમેદાન, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ભુપેન્દ્રરોડ, મોટા ઉપાશ્રય, કોઠારીયા નાકા થઈ રામનાથપરા મુકિત ધામ ખાતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક- શ્રાવીકાઓ, જૈન- જૈનેતર જોડાયા હતા.

કાલે ગુણાનુવાદ સભા

ગોંડલ સંપ્રદાયના વરિષ્ઠા, ચારિત્ર જયેષ્ઠા શ્રમણી શ્રેષ્ઠા સાધ્વી રત્ના ગુરૂણી મૈયા પૂ.ગુલાબબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા કાલે તા.૧૬ને શનિવારના રોજ સવારના ૯ થી ૧૧ દરમ્યાન રાજકોટ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત શ્રી સદર ઉપાશ્રયે, ૧૫ પંચનાથ પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે. તેમ સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવેલ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)