Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સોમનાથ- વેરાવળના શકિત સંમેલનમાં રાજકોટ આહિર સમાજ ઉમટી પડશે

ભગવાનભાઈ બારડનું સસ્પેન્શન રદ્ કરવામાં નહિ આવે તો જોયા જેવીઃ સરકાર વિરૂધ્ધ મતદાન કરવા સમાજ પાછી પાની નહિ કરે : રવિવારે સવારે પૂ.દેવાયતબાપુની પ્રતિમાને ફૂલહાર કરી આહિર સમાજ રવાના થશેઃ ભાઈ- બહેનોને ઉમટી પડવા વિજય વાંકની અપિલ

રાજકોટ,તા.૧૫: ઘણા સમયથી દ્વારા આહિર સમાજ ઉપર થતા અન્યાય સામે આગામી તા.૧૭ને રવિવારના રોજ સોમનાથ વેરાવળ ખાતે સોમનાથ દાદાના સાનિધ્યમાં એક આહિર સમાજનું શકિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ આહિર સમાજ સવારે ૯ વાગ્યે શ્રી વિર દેવાયતબાપૂ બોદરની પ્રતિમા પાસે, મવડી ચોકડી ખાતે રાજકોટ ખાતે એકત્ર થઈ અને પૂ.દેવાયતબાપુની પ્રતિમાને ફૂલહાર કરી સોમનાથ ખાતે રવાના થશે.

ઘણા સમયથી આહિર સમાજ ઉપર થતા અન્યાય જેમ કે યુવા ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, તેમજ ચારથી વધારે અન્ય પોલીસ કર્મચારી ભાઈઓની વિના કારણે બદલી તેમજ રાજકોટ મ.ન.પા.માં શાસકપક્ષના કોર્પોરેટર દ્વારા અભદ્ર ભાષામાં આહિર જ્ઞાતિ પ્રત્યેની ટીપ્પણી અને હાલમાં જ સમાજના સોરઠના સિંહ સ્વ.જશુભાઈ બારડના નાનાભાઈશ્રી ભગાભાઈ બારડ વિરૂદ્ધ પક્ષપાતી વલણ દાખવી હાલ રાજકીય દબાણ હેઠળ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરેલ છે. ત્યારે સમાજ ઉપર થતા વારંવાર અન્યાયની સામે જો આપણે ઝુકી ગયા તો આવનારા દિવસો સમાજ માટે ખુબજ કઠિન અને મુશ્કેલી ભર્યા હશે. તેમ રાજકોટના આહિર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

આગામી દિવસોમાં કોઈપણ રાષ્ટ્રીય પક્ષ આહિર સમાજ વિરૂદ્ધ હશે તો આહિર સમાજ તેને યાદવોની જુની પરંપરા મુજબ જવાબ આપશે, કારણ કે આહિર સમાજે દિકરાનું દાન દઈને ગુજરાતનું ગૌરવ વધારેલ છે,  આહિર સમાજ કાયમી માટે આશરા ધર્મ તેમજ દરેક સમાજના દિલમાં સમાજ પ્રત્યે રાષ્ટ્ર ભાવના દાખવનારો આ આહિર સમાજ છે.

આહિર સમાજનું નામ ઉજળુ કરનાર અમારા સાવજ સ્વ.જશૂબાપા બારડના ભાઈ ભગવાનભાઈ બારડનું સસ્પેન્શન જો રદ્ નહિં કરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારત રાષ્ટ્રના યાદવ સમાજ દ્વારા સરકાર વિરૂદ્ધ મતદાન કરવા પછી પાની નહીં કરે આ શકિત સંમેલનનાં સમર્થનમાં સમસ્ત રાજકોટ આહિર સમાજ તેમજ અખીલ યાદવ મહાસભા- અખીલ ભારતીય યદુવંશી મહાસભા દ્વારા મવડી ચોકડી, શ્રી દેવાયત બાપુ બોદરની પ્રતિમા ખાતે સવારે ૯ વાગ્યે બહોળી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરાઈ છે.

તસ્વીરમાં આહિર સમાજના આગેવાનો સર્વશ્રી વિજયભાઈ વાંક- ૯૮૨૪૫ ૮૦૯૮૦, હેમંતભાઈ લોખીલ- ૯૯૭૯૭ ૧૭૭૦૫, વિક્રમભાઈ બોરીચા- ૮૮૬૬૮ ૮૨૭૦૦, જય પ્રકાશભાઈ કાનગડ, રામભાઈ હેરભા, નિલેષભાઈ મારૂ, સુરેશભાઈ ગરૈયા, રવિભાઈ ડાંગર, દિલીપભાઈ પડેશા, ધર્મેશભાઈ વાળા, ખોડુભાઈ સોગલીયા, સુરજભાઈ ડેર, હિરેનભાઈ ખીમાણીયા, અજીતભાઈ વાંક, ભરતભાઈ મઠીયા, પ્રભાતભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, દિવ્યેશભાઈ બારડ, દાનાભાઈ હુંબલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)