Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સંતોષીનગરમાંથી નયન ઠાકરને દેશી તમંચા સાથે એસઓજીએ પકડી લીધો

અગાઉ ખેડા જીલ્લામાં હત્યામાં સંડોવાયો હોઇ હથિયાર સાથે રાખતો હોવાનું રટણઃ માંડા ડુંગરના નિલેષ ભૈયા પાસેથી લાવ્યાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧૫: શહેર એસઓજીની ટીમે રેલનગર સંતોષીનગર પાણીના ટાંકા પાસેથી રેલનગર સમર્પણ પાર્ક-૪માં રહેતાં નયન હર્ષદરાય ઠાકર (ઉ.૩૧) નામના બ્રાહ્મણ શખ્સને રૂ. ૫ હજારની કિંમતના દેશી તમંચા સાથે દબોચી લીધો છે.

કોન્સ. ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલની ફરિયાદ પરથી નયન સામે ડીસીબી પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. એસઓજીની ટીમ ગેરકાયદે પ્રવૃતિ કરતાં અને ગેરકાયદે હથીયારો રાખતાં શખ્સોને શોધવાની કામગીરીમાં નીકળી હતી ત્યારે મોહિતસિંહ, ક્રિપાલસિંહ અને નરેન્દ્રભાઇને બાતમી મળી હતી કે અગાઉ મર્ડરમાં સંડોવાઇ ચુકેલો શખ્સ સંતોષીનગર પાણીના ટાંકા પાસે હથીયાર સાથે ઉભો છે. તેના આધારે સમર્પણ પાર્કના નયન ઠાકરે સકંજામાં લેતાં તેની પાસેથી તમંચો મળ્યો હતો. પ્રાથમિક પુછતાછમાં તેણે માંડા ડુંગર પાસે રહેતાં નિલેષ ભૈયા નામના શખ્સ પાસેથી આ તમંચો લીધાનું રટણ કર્યુ છે. અગાઉ ૨૦૦૬માં તે ખેડા જીલ્લાના હત્યાના ગુનામાં સંડોવાયો હોઇ અને હાલ એ ગુનામાં છુટી ગયો હોઇ છતાં હજુ ભય હોવાથી હથીયાર સાથે રાખતો હોવાનું કહ્યું હતું. તે છુટક ડ્રાઇવીંગ કરે છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશન સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, એચ. એમ. રાણા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ ગીડા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, જીજ્ઞેશભાઇ અમરેલીયા અને યુવરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:39 pm IST)