Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જય આપાગીગા...ના નાદ સાથે જુનાગઢમાં જાહેર અન્નક્ષેત્રનો પ્રારંભ

મહાશિવરાત્રી પર્વ નિમિતે સત્તાધારધામ અને શ્રી આપાગીગાનો ઓટલો-ચોટીલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક આયોજનઃ સોમવારે સત્તાધાર જગ્યાના મહંતશ્રી વિજયબાપુ, શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ તેમજ અનેક સાધુ સંતોના હસ્તે ધર્મધ્વજાનું આરોહણઃ તા.૧૮ થી તા.૨૦ (મંગળથી ગુરૂ) સુધી દરરોજ રાત્રીના કલાકારો કિર્તીદાન ગઢવી, પૂનમબેન ગોંડલીયા, રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ વિગેરે કલાકારો દ્વારા ભજન અને સંતવાણીના વિવિધ કાર્ર્યક્રમોની રમઝટ બોલાવાશેઃ દેશભરમાંથી તમામ અખાડાઓના મહામંડલેશ્વરશ્રીઓ તેમજ : સાધુ-સંતો-મહંતોઓ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે

રાજકોટઃ તા.૧૫, ''કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઔર ભુખે કો અન્ન દે'' એ વાતને પ્રસિધ્ધ કરતું શ્રી આપાગીગાની જગ્યા - સતાધારધામ તેમજ શ્રી આપાગીગાનો ઓટલો - ચોટીલા દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે દર વર્ષની માફક આ વર્ષે ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જુનાગઢ ખાતે ૧૮ વરાણના લોકોની શ્રધ્ધા અને આસ્થા સમાન શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સમગ્ર જનતા માટે જાહેર અન્નક્ષેત્રનું આજથી જ શુભારંભ કરવામાં આવેલ છે. જમાં દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટેનું જાહેર જનતાને આમંત્રણ અપાયું છે. આ વર્ષે પણ સમગ્ર જુનાગઢમાં સર્વ પ્રથમ ભવનાથ ખાતે શ્રી લાલ સ્વામીની જગ્યા, મહંતશ્રી હરિગીરીબાપુ, ભગીરથ વાડીની સામે મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.

  જેમાં સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ તેમજ લાખોની સંખ્યામાં શ્રઘ્ધાળુ લોકો અહીંયા આગળ પૂણ્યનું ભાથુ બાંધવા માટે આવતા હોય છે તેમજ વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયા તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે, નવનાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગાણીઓ અને જેનાં શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દતાત્રેયનાં બેસણા છે અને જયાં સાક્ષાત માં જગદંબા અંબાજી માતા બીરાજે છે, એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં જૂનાગઢ વસેલું છે. આ ગીરનાર ક્ષેત્રમાં જયાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહા શિવરાત્રીના મેળા દરમ્યાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સતાધાર  શ્રી આપાગીગાની જગ્યા  અને શ્રી  આપાગીગાનો ઓટલો દ્વાર પરમ પૂજય સદગુરૂ દેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના આર્શીવચનથી અઢારે વરણના દરેક સમાજન લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ મેળામાં શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આજે આ વખતે તા.૧૫ના શનિવાર થી જ ભોજનરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ તા. ૧૭ના સોમવારના રોજ ધર્મધ્વજાનું દેશભરમાંથી ઉપસ્થિત મહામંડલેશ્વરશ્રીઓ, સાધુ-સંતા, મહંતશ્રીઓ, અને મહાનુભાવશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવશે અને અન્નક્ષેત્રનુ શુભ ઉધ્દ્યાટન કરવામાં આવશે.જેની હાલના તબકકે  જોર શોરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતી સમસ્ત જુનાગઢ, શ્રી શ્યામધામ મધુરમ ટીંબાવાડી તેમજ જુનાગઢ શહેર તેમજ જીલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ગુર્જર ક્ષત્રિય, કડીયા રાજકોટ શહેર ના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓની ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

  સમગ્ર મહોત્સવ દરમ્યાન તા. ૧૮  થી તા.૨૦ સુધી દરરોજ રાત્રીના નામી-અનામી કલાકારો કર્તિદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા, રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ વિગેરે કલાકારો દ્વારા ભજન અને સંતવાણીના વિવિધ કાર્યક્રમોની રમઝટ બોલાવાશે. જેમાં સાધુ-સંતો-મહંતો ઉપસ્થિત  રહી. આશિર્વચન પાઠવશે. તેમજ મહાશિવરાત્રીના શુભ દિને દરેક લોકો માટે સમગ્ર દિવસ દરમ્યાન ફરાળ રૂપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.

 આ મેળાની પૂર્ણાહુતી તા.૨૧  શુકવાર ના રોજ કરવામાં આવશે. આ મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો પધારી મેળાનો લાભ લેતા હોય છે. ત્યારે તમામ ભાવીક ભકતજનોને  ભોજન પ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે મહંતશ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ - સતાધારધામ, મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ આપાગીગાનો ઓટલો, ચોટીલા (મોલડી), શ્રી નરેન્દ્રભાઇ સોલંકી - ચેરમેનશ્રી, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ - ગુજરાત રાજય તેમજ સમગ્ર સતાધાર અને શ્રી આપાગીગાનો ઓટલાના સેવકગણ દ્વારા દરેક લોકોને  જાહેર નિમંત્રણ  પાઠવાયું છે.

(11:22 am IST)