Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

સિવિલ હોસ્પિટલમાં ઉપલેટાના મહિલાનું સ્વાઇન ફલૂથી મોતઃ કુલ મૃત્યુઆંક ૩૮

કુલ ૩૭ દર્દી સારવાર હેઠળઃ સિવિલ હોસ્પિટલમાં ૧૮ દર્દી, જેમાંથી પાંચનો રિપોર્ટ આવવાનો બાકી

રાજકોટ તા. ૧૫: સ્વાઇન ફલૂથી વધુ એક મોત નિપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઉપલેટાના ચરેલીયા ગામના ૪૭ વર્ષના મહિલાનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. તે સાથે મૃત્યુઆંક ૩૮ થયો છે.

જાણવા મળ્યા મુજબ ચરેલીયા ગામના ૪૭ વર્ષના મહિલાને સ્વાઇન ફલૂ લાગુ પડ્યાની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા. ૧૧ના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સારવાર સઘન બનાવાઇ હતી. દરમિયાન ગત મોડી રાત્રે પોણા એકાદ વાગ્યે તેમણે દમ તોડી દીધો છે. સિવિલ હોસ્પિટલમાં આજે કુલ ૧૮ દર્દી દાખલ છે, જેમાંથી ૧૩ દર્દીના રિપોર્ટ પોઝિટીવ છે અને પાંચ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે.

ગત સાંજે પણ મોરબી રોડ પર રહેતાં ૫૩ વર્ષના મહિલાએ જિનેસીસ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. તેમનો રિપોર્ટ પણ પોઝિટીવ હતો. આજના દિવસે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ૩૬ દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાં જસદણ, જેતપુર, વિછીયા, લોધીકા, પડધરી, ધોરાજી, રાજકોટ, જામકંડોરણા, કોટડા સાંગાણી, ગોંડલ, જુનાગઢ, કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના ગામોના દર્દીઓનો સમાવેશ થાય છે. (૧૪.૭)

(11:36 am IST)