Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ૯૪ દિવસની સારવારને અંતે બાળકીને મળ્યું નવું જીવન

શાપરની ૧૦ વર્ષની બાળાના પગ અચાનક જકડાઇ ગયાઃ નિદાન થતાં મસલ્સનું પેરાલિસીસ હોવાની ખબર પડીઃ તબિબોની સારવારથી બાળાના વાલીઓ ગદગદિત

રાજકોટ તા.૧૪: સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળ દર્દીઓને ખુબ જ સારી સારવાર મળે છે. ૧૦ વર્ષની પાયલ (ભૂમિ) નામની બાળાને અહિના પીઆઇસીયુ (પિડીયાટ્રીક આઇસીયુ)માં સતત ૯૪ દિવસ સુધી ડોકટરોએ સારવાર આપી નવું જીવન બક્ષ્યું છે. ડોકટરોની અને સ્ટાફની સતત મહેતન અને લગનથી બાળાના પરિવારજનો અત્યંત ગદ્દગદીત થઇ ગયા હતાં. મુળ સોમનાથ વેરાવળના અને હાલ શાપર (વે)માં સ્થાયી થયેલા મનસુખભાઇ અમરાભાઇ રાઠોડની ૧૦ વર્ષની પુત્રી પાયલ કે જે ધોરણ-૫માં ભણે છે તેને એક દિવસ શાળાએથી છુટીને ઘરે આવી અને એકાએક પગ જકડાઇ જતાં તેમજ ચાલવાનું પણ બંધ થઇ જતાં તે રડવા માંડી હતી. પરિવારજનોને એક થયું કે રમતાં-રમતાં પગ મચકોડાઇ ગયો હતો. બાદમાં ચિકનગુનીયા સમજી સ્થાનિક ડોકટરની દવા લેવાઇ. પણ ફેર ન પડતાં રાજકોટ ૧૩/૧૦/૧૭ના રોજ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

અહિ ડોકટરોએ તપાસ કરતાં લીમ્બ વિકનેસ સ્નાયુની નબળાઇ ગણી સારવાર ચાલુ કરી હતી. પણ બાદમાં લેબ ટેસ્ટ, એમઆરઆઇ, સીએસએફ, મગજનું ઇસીજી,  એનસીવી કર્યા પછી જીબીએસ (ગુલેન બાર સિન્ડ્રોમ) હોવાની ખબર પડી હતી. આ એક વાયરસનું નામ છે. જેને સરળ શબ્દોમાં મસલ્સનું પેરાલિસીસ કહી શકા. આ રોગમાં હાથ-પગ અને શરીરના બધા અવયવો જકડાઇ જાય અને છેલ્લે શ્વસન ક્રિયા પર અસર થવા માંડે છે. પાયલની હાલત ખુબ બગડી રહી હતી, એમ કહો કે મોત તરફ તે ધીમે-ધીમે ધકેલાઇ રહી હતી.

એ પછી કે. ટી. ચિલ્ડ્રનના ઇન્ચાર્જ ડો. યોગેશ પરીખની રાહબરીમાં ડો. ઝલક, ડો. આરતી મકવાણા, ડો. પુનિત, ડો. જીજ્ઞેશ, નસિંગ સ્ટાફ સતત આ બાળકીને બચાવવા કામે લાગ્યો હતો. ખાસ ઇન્જેકશન જેની બજારમાં કિંમત ૧૫૦૦ છે તે પુરા પાડવા તૈયારી થઇ સતત પાંચ દિવસ રોજના ૧૦ આવા ઇન્જેકશન લેવા પડે, અધવચ્ચે મુકી શકાય નહિ. આ ગણીએ તો ઇન્જેકશનનો ખર્ચ જ ૧ાા લાખ થતો હતો.   ડો. પરીખે ખાસ રસ લઇ સિવિલ સર્જન ડો. મનિષ મહેતાની મંજૂરી લઇ સારવાર ચાલુ કરી હતી. અંતે ૯૪ દિવસની સઘન સારવાર બાદ આ બાળકીને નવું જીવન મળ્યું હતું.

પાયલને વેન્ટીલેટર ઉપર રાખવી પડી હતી. એક તબક્કે તો તેને બીજા દવાખાને લઇ જવાની તૈયારી પણ મનસુખભાઇએ પોતાના શેઠની મદદથી કરી હતી. પરંતુ વેન્ટીલેટરમાંથી તેને હટાવવી એ જોખમી હતું. સતત ૩૫ દિવસ વેન્ટીલેટર પર રહ્યા બાદ આ બાળકીની તબિયતમાં સુધાોર થયો હતો. છેલ્લે ૧૩/૧/૧૮ના રોજ તે સંપુર્ણ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. માનવ સેવા સાર્વજનીક ટ્રસ્ટના માંકડભાઇ આ બાળકીને બચાવવા સતત મદદરૂપ થયા હતાં.

(4:55 pm IST)