Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

શુક્રવારે પૂ. મોરારીબાપુના હસ્તે પ્રો. લાભશંકર પુરોહિત અને ભારતીબેન કુંચાલાને પ્રતિષ્ઠીત એવોર્ડ એનાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા : પ્રો. લાભશંકર પુરોહિતને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને ભારતીબેન કુંચાલાને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણઃ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં કાર્યક્રમ

રાજકોટ તા.૧૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રેરિત-અનુદાનિત 'શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર'ની સ્થાપના ઇ.સ.૨૦૧૧માં થયેલ છે. ત્યારથી આ કેન્દ્ર દ્વારા કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્યક્ષેત્રે ઉમદા સંશોધન કરનાર એક  સંશોધકોને 'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ' એનાયત કરવામાં આવે છે. અને ઇ.સ.૨૦૧૫ થી લોકગાયનક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર એક લોકગાયકને 'હેમુ ગઢવી લોકગાયક એવોર્ડ' એનાયત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ સ્થાપના વર્ષ નિમિતે બન્ને ક્ષેત્રે એટલે કે નવ સંશોધકો-સંપાદકો અને નવ લોકગાયક-લોકવાર્તાકાર તેમજ ભજનિકોને એવોર્ડ આપવાનો નિર્ણય થયેલ છે. આ વર્ષનો એવોર્ડ વિતરણ સમારોહ આગામી તા.૧૭-૧-૨૦૨૦ને શુક્રવારના બપોરના ૨:૩૦ વાગ્યે રૈયા રોડ ખાતે સ્થિત પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજાશે.

સમારંભમાં દીપપ્રાગટય અને આશિર્વચન પાઠવવા પં.સંત શ્રી મોરારિબાપુ, અધ્યક્ષસ્થાને કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેશાણી અને જૈન ઇન્ટરનેશનલગ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો. ઘેવરચંદજી બોહરા, અતિથિ વિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા જામનગરના સાંસદ પુનમબેન માડમ ઉપસ્થિત રહેશે. સમારંભમાં કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્યના સંશોધનક્ષેત્રે વિશિષ્ટ પ્રદા કરનાર સંશોધકશ્રી પ્રો.લાભશંકર પુરોહિત, 'શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ'' અને લોકગાયક, લોકવાર્તાકાર તરીકે જેમણે વિશેષ સિદ્ધિઓ મેળવી છે એવા શ્રી ભારતીબેન કુંચાલાને 'લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ' પ્રખર રામાયણી સંતશ્રી મોરારીબાપુના હસ્તે એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કુલસચિવ ડો.રમેશ પરમાર, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો.અંબાદાન રોહડિયા અને સહનિયામક ડો.જે.એમ. ચંદ્રવાડિયાએ નિમંત્રણ પાઠવેલ છે.

(4:06 pm IST)