Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૧૫ જાન્યુઆરી - રાષ્ટ્રીય સેનાદિન

ભારતીય સેના વિશ્વની સૌથી તાકાતવાન ૪ નંબરની સેના : વીરજવાનો આપણું ગૌરવ

આપણો દેશ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે વિદેશી શાસનમાંથી આઝાદ થયો પરંતુ તે વખતે દેશમાં બ્રિટીશ ભારતીય સેના કાર્યરત હતી. સેનાનો કમાન્ડ બ્રિટીશ કમાન્ડર ઇન ચીફ જનરલ રોય બુશરના હાથમાં હતો. ત્યારબાદ ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ના દિવસે આપણી સેના પુર્ણપણે આઝાદ થઇ અને ભારતીય સેનાની કમાન્ડ એક ભારતીયને સોપાઇ. આપણા પહેલા કમાન્ડર ઇન ચીફ કે.એમ.કરિયપ્પા બન્યા ત્યારથી ૧૫ જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય સેના દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ.

ભારત શાંતિચાહક દેશ છે પણ પોતાના વિસ્તાર કે વહીવટમાં દખલગીરી થાય તો સાંખી લેવા તૈયાર નથી. શાંતિ જાળવી રાખવી હોય તો મજબૂત અને શસ્ત્રસજજ સેના તૈયાર રાખવી પડે. ઉપરાંત દેશના આર્થિક વિકાસ, સમાજ સુધારણા, વૈજ્ઞાનિક સિધ્ધિઓ વગેરે માટે પણ મજબૂત લશ્કર જોઇએ. શસ્ત્રથી રક્ષિત રાજયમાં જ શાસ્ત્રાભ્યાસ થઇ શકે છે તેવુ મહાભારત ગ્રંથમાં કહેવાયુ છે.

ભારતીય સેનાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવાદ દ્વારા એકતા અને અખંડીતતા સુનિશ્ચિત કરવી, રાષ્ટ્રને બહારના આક્રમણો તથા આંતરીક જોખમોથી બચાવવુ અને આપણી સીમાઓ ઉપર શાંતિ અને સલામતી બનાવી રાખવાનો છે. ઉપરાંત દેશમાં કુદરતી આફતો સમયે તથા અન્ય આંતરીક અશાંતી સમયે જાનમાલના બચાવ અભિયાનો પણ ચલાવે છે.

ભારતીય સેનાનો ઇતિહાસ ગૌરવવંતો અને જવલંત વિજયોથી ભરેલો છે. આઝાદી વખતે ર લાખ સેનાકર્મીઓ ધરાવતી આપણી સેનામાં અત્યારે કુલ ૧૩.૬૨ લાખથી વધુ સક્રિય સૈનિકો તથા ૨૮.૪૪ લાખથી વધુ રીઝર્વ ફોર્સ સહિત કુલ ૪૨.૦૭ લાખથી વધુ સૈનિકબળ છે. ઉપરાંત મીરાજ ૨૦૦૦, સુખોઇ એન-૩૦, મીગ, જેગુઆર જેવા ૨૧૮૫ યુધ્ધ વિમાનો, ૫૯૦ ફાઇટર એરક્રાફટ, ૨૯૫ યુધ્ધ જહાજો જેમાં આઇએનએસ વિક્રમાદિત્ય જેવા અત્યાધુનીક જહાજનો સમાવેશ થાય છે. ૧૫ પન્ડુબીઓનો સમાવેશ થાય છે. ૭૨૦ યુધ્ધ હેલીકોપ્ટર્સ, ૪૪૨૬ ટેન્કો, ૬૪૦૪ બખ્તર ગાડીઓ, ૭૪૧૪ તોપો જેમાં ૨૯૦ ઓટોમેટીક તોપ, ૨૯ રોકેટ પિનાક જેવા રોકેટ લોન્ચર ઉપરાંત બ્રહ્મોસ, પૃથ્વી, આકાશ, અગ્નિ, નાગ, સુર્યા જેવી સુપરસોનીક ક્રુઝ તથા ગાઇડેડ મિસાઇલો કે જેની રેન્જ ૧૫૦ કીમીથી ૧૬૦૦૦ કીમીની છે. કોર્ટોસેંટ અને રીસેકટ પ્રકારના રડાર અત્યાધુનીક રાઇફલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

આપણી સેના પાકિસ્તાન સાથે ચાર યુધ્ધો તથા ચીન સાથે એક યુધ્ધ લડી ચુકી છે. ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ મુખ્ય અભિયાનોમાં ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેનશ બ્લુસ્ટાર, ઓપરેશન કેૈકટસ, ઓપરેશન ઓલઆઉટ વગેરેનો સામેલ છે. સંયુકત રાષ્ટ્રના શાંતિ મિશનોમા પણ ભારતીય સેના સક્રિય ભાગીદાર રહી છે. આપણી સેના જળ જમીન અને આકાશમાં યુધ્ધ માટે હંમેશા તૈયાર રહે છે.

ભારતીય સેનાના વિરજવાનોનો ઇતિહાસ સંપુર્ણ રાષ્ટ્રવાદ અને માભોમ પ્રતિ સમર્પણ ભાવથી તરબોળ ભરેલો છે. જીવને મુઠીમાં લઇ ટાઢ, તડકો, વરસાદ, કાદવ કિચડ, બરફ અને કુદરતી તોફાનોની વચ્ચે પણ રાતદિન અડીખમ રહી દેશ સેવા કાજે ફરજ બજાવતા આપણા વીરજવાનો આપણુ ગૌરવ છે અને ખરાઅર્થમાં રીયલ હીરો છે.

ભારતીય સેના પ્રતિ દેશવાસીઓમાં સન્માન, આદરભાવ વધે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઇએ એજ સેના દિનની સાચી ઉજવણી હોઇ શકે.

:: સંકલન :: મનસુખ કાલરીયા

મો.૯૪૨૬૯ ૯૪૪૫૦ કોર્પોરેટર રાજકોટ મનપા (ઇન્ડિયન આર્મી કેપ્ટન ડો.પાર્થિકના પિતાશ્રી)

(12:14 pm IST)