Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રાજકોટને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વધુ એક ગીફટ

હવે લાલપરી RMC હસ્‍તકઃ ડેવલપમેન્‍ટના દ્વાર ખુલ્‍યા

લાલપરી-રાંદરડા ડેવલપમેન્‍ટ પ્રોજેકટ ઉડતી નજરે : હવે ૧ર લાખ ચો.મી. જમીનમાં લેઇક એરીયાનું ડેવલપમેન્‍ટ * બાગ-બગીચા લેન્‍ડસ્‍કેપીંગ થશેઃ તળાવમાં બોટીંગની સુવિધાઓ * રાજકોટનું નયનરમ્‍ય હરવા-ફરવાનું સ્‍થળ બનશે લાલપરી * પ્રદ્યુમન પાર્ક ઝુ અને યાયાવર પક્ષીઓના નિર્દેશનની યશકલગી * રસ્‍તાઓ પહોળા કરાશે

રાજકોટ, તા., ૧૪: મુખ્‍ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્‍માર્ટ સિટી બનવા ભણી આગળ ધપી રહેલ રાજકોટ શહેર હવે મેટ્રો સિટી બનવાની દિશામાં પણ આગળ વધી રહયું હોવાની પ્રતીતિ કરાવતા રાજકોટ શહેરને બેનમૂન શહેર બનાવવા આજે વધુ એક અનન્‍ય ભેંટ આપી શહેરીજનોને ખુશ કરી દીધા છે.

એક અત્‍યંત મહત્‍વપૂર્ણ નિર્ણયમાં રાજય સરકારએ અત્‍યાર સુધી પોતાના હસ્‍તક રહેલ લાલપરી તળાવ હવે રાજકોટ મહાનગરપાલિકાને સોંપી દેવાનું નક્કી કરેલ છે. રાજકોટના પનોતા પુત્ર એવા  મુખ્‍યમંત્રી શ્રીએ રાજકોટ પ્રત્‍યેનું ઋણ અદા કરતા શહેરીજનોને રાજકોટની પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ ઝોનમાં પણ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય પાસે સ્‍થિત લાલપરી તળાવ સાઈટને હરવા ફરવા માટેના વધુ એક અદભૂત સ્‍થળ તરીકે વિકાસ કરવાના ઉમદા આશય સાથે આ તળાવ હવે રાજકોટ મહાનગરપાલિકાને સોંપી દેતા લાલપરી-રાંદરડા તળાવ ડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટને પાંખો આવશે. બીજું રાજય સરકારશ્રીએ એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. અંતર્ગત રાજકોટની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે લાલપરી - રાંદરડા સાઈટ ડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટ માટે રૂ.૨૦ કરોડની ગ્રાન્‍ટ મંજુર કરેલ હોય હવે આ પ્રોજેક્‍ટ ફાસ્‍ટ ટ્રેક પર આગળ દોડશે તે  મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુનિશ્ચિત કરી આપતા રાજકોટવાસીઓમાં હર્ષની લાગણી જન્‍મી છે. દરમ્‍યાન આ નિર્ણય બદલ મેયર બિનાબેન આચાર્ય,અશ્વીન મોલીયા, ઉદય કાનગડ તથા ઉદીત અગ્રવાલ સહીતના પદાધિકારીઓ-અધિકારીઓએ મુખ્‍યમંત્રીનો આભાર વ્‍યકત કર્યો હતો.

રાજકોટ શહેરને રૈયા સ્‍માર્ટ સિટી એરીયામાં અટલ સરોવર સહિત કુલ ત્રણ સરોવર, રેસકોર-૨, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એમ્‍સ, નવી જી.આઈ.ડી.સી., ઙ્કસૌનીઙ્ઘ યોજના હેઠળ આજી-૧, ન્‍યારી-૧ અને ભાદર ડેમમાં નર્મદા નીર, મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ તેમજ શહેરની પરિવહન વ્‍યવસ્‍થાને વધુ મજબુત કરતા અને શહેરની ખુબસૂરતીમાં પણ વધારો કરતા વિવિધ બ્રિજ, આધુનિક બસ પોર્ટ બાદ હવે લાલપરી તળાવ સોંપવાના નિર્ણયથી રાજકોટ શહેરને એક એવા પ્રવાસન સ્‍થળની ભેંટ મળી છે કે, રાજકોટ શહેરના પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાલપરી-રાંદરડા તળાવ સાઈટ રૂપે હરવાફરવા માટેનું વધુ એક અદભૂત સ્‍થળ ઉપલબ્‍ધ બનશે.

રાજય સરકારશ્રીના આ ઉમદા નિર્ણયથી હવે લાલપરી - રાંદરડા સાઈટ પાસેના અનઅધિકૃત દબાણોની સમસ્‍યાનો પણ ઉકેલ લાવી શકાશે. લાલપરી - રાંદરડા સાઈટ અત્‍યાર સુધી રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તક નહી હોવાને કારણે આ સ્‍થળનો વિકાસ થઇ શકતો ન્‍હોતો. કુદરતી સૌંદર્યથી ફાટફાટ થઇ રહેલ આ સ્‍થળના વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સ આગળ ધપાવી શકાયા ન્‍હોતા.

હવે રાજય સરકારશ્રીના નિર્ણયને પગલે રાજકોટ મહાનગરપાલિકા લાલપરી - રાંદરડા સાઈટ ખાતે બોટિંગ, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, શાનદાર ગાર્ડન, દ્યનિષ્ઠ વ્રુક્ષારોપણ, જળસંચય, બહારથી અહી આવતા વિવિધ પક્ષીઓનું નિરીક્ષણ જેવા અવનવા આકર્ષણો સહિતનું ભવ્‍ય પર્યટન સ્‍થળ વિકસાવી શકશે. આમ પણ રાજકોટ મહાનગરપાલિકાએ ક્‍લાઈમેટ ચેન્‍જ ક્ષેત્રે દ્યણું સારૂ કાર્ય કર્યું છે ત્‍યારે લાલપરી - રાંદરડા સાઈટ ડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટ થકી પર્યાવરણની દિશામાં હવે એક શાનદાર પ્રોજેક્‍ટને આગળ ધપાવવા ઝડપભેર આગળ દોડી શકશે.

રાજકોટ શહેરની ભાગોળે પ્રદ્યુમન પાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે ૧૦૦ વર્ષ પુરાણું રાંદરડા નયન રમ્‍ય તળાવ આવેલ છે. આ તળાવ ૧૬૭ પક્ષી પ્રજાતિનું દ્યર છે, તેમજ અહી ૬૦ જેટલી પ્રજાતિનાં યાયાવર પક્ષીઓ અહી જોઈ શકાય છે. આ તળાવનું બાંધકામ ૧૮૮૯ થી ૧૮૯૧ દરમ્‍યાન થયેલ છે. આ તળાવનો એરિયા ૧.૨૦ ચો. કિમી. છે. જયારે લાલપરી તળાવનું બાંધકામ ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્‍યાન થયેલ છે. આ તળાવનો કેચમેન્‍ટ એરિયા ૮૧.૯૨ ચો. કિ.મી. છે. આ કામગીરીમાં લેઈકમાં ચેકડેમનું બાંધકામ કરી પુરા વર્ષ દરમ્‍યાન ચોમાસાનાં પાણીનો સંગ્રહ કરવો. લેઈક આસપાસ રીક્રીએશનલ સ્‍પેસ ઉભી કરવી, તળાવનાં કાંઠે દબાણ ન થાય તે માટે રીટેઈનીંગ વોલનું નિર્માણ કરવું, લેઈક ડેવલપ કરવાથી તેનો જોગર્સ પાર્ક તરીકે પણ ઉપયોગ થઇ શકશે.

પ્રદ્યુમન પાર્ક પાસે આવેલ રાંદરડા અને લાલપરી તળાવને ડેવલપ કરવા માટે SJMMSVY UDP-૭૮ આગવી ઓળખ અંતર્ગત બજેટ જોગવાઈ રાખવામાં આવેલ. જે અંતર્ગત અંદાજે ૧૨૦ હેકટર (૧૨ લાખ ચો. મી.) એરિયામાં લેઈક ડેવલપમેન્‍ટ, લેન્‍ડ સ્‍કેપિંગ, લેઈકમાં બોટિંગ, ફાઉન્‍ટેશન શો, વગેરેનું પ્‍લાનીંગ કરવા માટે સ્‍ટેન્‍ડીંગ કમીટી ઠરાવ નં. ૩૮ તા. ૦૩ જુન ૨૦૧૯ ના ઠરાવથી મે. HCP ડીઝાઈન અને પ્‍લાનીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ પ્રા. લી.ની કન્‍સલ્‍ટન્‍ટ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે કામ માટે સદરહુ એજન્‍સીને તા. ૧૧ જુલાઇ ૨૦૧૯ થી વર્કઓર્ડર આપવામાં આવેલ છે. વિશેષમાં ઉપરોક્‍ત પ્રોજેક્‍ટ પૈકી રાંદરડા તળાવની માલિકી રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તક છે. જયારે લાલપરી ડેમ / તળાવની માલિકી ગુજરાત સરકારશ્રીના સિંચાઇ વિભાગ હસ્‍તક હોય સદરહુ ડેવલોપમેન્‍ટની કામગીરી જાહેર જનતાના હિતમાં કરી શકાય તે માટે લાલપરી ડેમ અને તળાવ તથા તેને સંલગ્ન તમામ જમીનનો કબજો રાજકોટ મહાનગરપાલિકા સોંપવા બાબતે ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત મોકલવામાં આવેલ તેને મુખ્‍યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અનુમોદન આપી લાલપરી ડેમ રાજકોટ મહાપાલિકા ને સોંપવાની જાહેરાત કરી છે.

(3:52 pm IST)