Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગોંડલ અક્ષર મંદિરે પૂ.મહંત સ્વામીની અધ્યક્ષતામાં ગુણાતીત સ્વામીનો જન્મોત્સવ ઉજવાયોઃ આરતી દ્વારા સંતો-હરિભકતો દ્વારા અર્ધ્ય અર્પણ

રાજકોટઃ સુપ્રસિદ્ઘ તીર્થધામ ગોંડલ અક્ષર મંદિર ખાતે પરમ પૂજય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩૫ મો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભાવભેર ઉજવાઈ ગયો. આ મહોત્સવનો લાભ લેવા દેશ અને પરદેશથી હજારો હરિભકતો નો પ્રવાહ ગોંડલ ભણી આવ્યો હતો. સવારે મહંત સ્વામીની પ્રાતઃ પૂજા બાદ યોજાયેલી કળશ યાત્રામા દેશ-વિદેશથી પધારેલા સંતો અને હરિભકતો જોડાયા હતા. અક્ષર દ્યાટ પર પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનને આ વર્ષે ચાર વર્ષ પુરા થતા હોય અક્ષર દ્યાટ પર પૂજય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા નુ આયોજન કરવામાં આવ્યું હતું. શરદપૂનમની મુખ્ય સભા સાંજે ૬:૦૦ થી ૯:૦૦ દરમિયાન યોજવામાં આવી હતી. આ વર્ષે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત 'વચનામૃત' મધ્યવર્તી વિચાર સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આજનો આ સમગ્ર ઉત્સવ એ મહા પુરુષને સમર્પિત કરવામાં આવ્યો હતો જેણે પોતાનું સમગ્ર જીવન સમાજ માં રહેલા દુષણો - બદીઓ દૂર કરી સમાજ ઉદ્ઘરના કર્યા માં વિતાવ્યું હતું. મૂળ અક્ષરમૃતી ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ વચનામૃત નો મહિમા ચોટદાર સંવાદ, અને નૃત્ય દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. સંસ્થાના વરિષ્ઠ સંતોએ પણ વચનામૃતનો મહિમા તેમજ વચનામૃતમાં શ્રીજી મહારાજે કરાવેલી ગુણાતીતાનંદ સ્વામીની અક્ષરબ્રહ્મ તરીકેની ઓળખાણ વિષયક પ્રેરક વકતવ્યો દ્વારા બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભકિત કરવાં માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવક મંડળ અને બાળમંડળ દ્વારા થયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉપસ્થિત સહુ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. કાર્યક્રમના અંત ભાગમાં પરમ પૂજય મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત સૌ કોઈને આશીર્વાદથી લાભાન્વિત કર્યા હતાં. આ અવસરે કુલ પાંચ આરતીના અર્ઘ્ય દ્વારા સંતો - ભકતોએ વિશિષ્ટ ભકિત અદા કરી હતી. આરતી દરમ્યાન રંગબેરંગી આતિશબાજી દ્વારા ગગન રંગાઈ ગયું હતું. આશરે ૧૫૦૦૦થી વધુ  ભાવિભકતોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. અત્રે ઉપસ્થિત સહુ કોઈને દૂધ પૌવાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

(4:20 pm IST)