Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમાજને પાઠવેલી નવા વર્ષની શુભેચ્છા : કચ્છને ઇઝરાયલ સમકક્ષ બનાવવાનો મુખ્યમંત્રીનો આશાવાદ : મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલો રાજકોટના કચ્છી ભાનુશાળી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા નૂતન વર્ષ સ્નેહ-મિલન

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજના કચ્છીઓના નૂતન વર્ષ નિમિત્તે રાજયભરના કચ્છી માડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટના અટલબિહારી બાજપાયી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કચ્છી નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી રૂપાણીએ રણથી આચ્છાદિત કચ્છની ભૂમિને નંદનવન બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો, અને આ માટે રાજયસરકારના તમામ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના તાજેતરના ઇઝરાયેલ પ્રવાસના સંસ્મરણો તાજા કર્યા હતા. અને આ સંદર્ભમાં તેમણે કચ્છને ઇઝરાયેલ સાથે સરખાવતાં કચ્છના વિકાસને આંતરરાષ્ટ્રીય ફલક સુધી લઇ જવાની કટિબધ્ધતા દોહરાવી હતી.

કચ્છમાં આવેલા વિનાશક ભુકંપ તથા ગોઝારી કુદરતી આપત્તિઓના સમયે કચ્છી માડુઓએ દાખવેલા ખમીરની મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પ્રશંસા કરી હતી. અને કચ્છીઓના વતનપ્રેમને બિરદાવ્યો હતો. દુનિયાના કોઇ પણ છેડે વસતો કચ્છી સમાજ વતનના વિકાસ માટે સતત દાન આપતો રહે છે, એ ભાવનાને મુખ્યમંત્રીએ કચ્છીઓની આગવી ઓળખ ગણાવી હતી, અને કપરા સમયમાં પણ કચ્છી બોલી તથા કચ્છી વાતાવરણ જાળવવા બદલ કચ્છી સમાજને અભિનંદન પાઠવ્યા હતા.

પોતાના પ્રવચનની શરૂઆત કચ્છી બોલીમાં કરીને મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત સૌ કોઇના દિલ જીતી લીધા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા જેવા સ્વાતંત્ર્યવીરોના પ્રદાનનો શ્રી વિજયભાઇએ નતમસ્તકે ઉલ્લેખ કર્યો હતો, તથા લાખો ફુલાણીએ અષાઢી બીજથી કચ્છી નૂતન વર્ષની ઉજવણીની શરૂઆત કરાવી હતી, એ વાતનું પણ સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ થકી કચ્છનો વિકાસ કરવા કચ્છીઓને ધરપત આપી હતી. વિષમ પરિસ્થિતિમાં પણ કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડયાનો મુખ્યમંત્રીએ દર્શાવેલો રાજીપો ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. અને કચ્છની સરહદ પર હનુમાનજીના મંદિરના ખાતમુહૂર્ત થકી કચ્છને વિશ્વના નકશામાં ચમકાવવાની મુરાદ પણ શ્રી રૂપાણીએ વર્ણવી હતી.  

અગ્રણી શ્રી સુરેશભાઇ કટારમલે મુખ્યમંત્રીનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ શ્રી વિજયભાઇને કચ્છી પાઘડી તથા ફૂલોના વિશાળ હારથી નવાજયા હતા, સ્વાગત ગીત બાદ મુખ્યમંત્રી રૂપાણી તથા આમંત્રિતોએ દિપ પ્રાગટય વિધિ સંપન્ન કરી હતી. કચ્છી ભાનુશાળી સમાજના તેજસ્વી છાત્રો તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા યુવાનોનું મુખ્યમંત્રી  વિજયભાઇએ પ્રમાણપત્ર તથા સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ  મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વશ્રી અરવિંદભાઇ રૈયાણી તથા  લાખાભાઇ સાગઠિયા, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડે.મેયર  અશ્વિનભાઇ મોલીયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ  ધનસુખભાઇ ભંડેરી,  કમલેશભાઇ મીરાણી સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ  ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ અધ્યક્ષ અગ્રણી  નીતિનભાઇ ભારદ્વાજ, પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગહલૌત, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, કોર્પોરેટર્સ, ભાનુશાળી સમાજ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ  અંજલિબેન રૂપાણી વગેરે ઉપસ્થિત રહયા હતા. 

(2:29 am IST)