Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગાર્બેજ સેન્ટરમાં જીવલેણ અકસ્માત સર્જનાર ટીપરવાન ચાલકની ધરપકડ

રાજકોટ તા. ૧૪: ગઇકાલે રૈયાધાર ખાતેના આરએમસીના ગાર્બેજ સેન્ટર ખાતે કચરા ગાડી રિવર્સમાં આવતાં દબાઇ જતાં કર્મચારી રણજીતભાઇ રામજીભાઇ સાગઠીયા (ઉ.૪૫)નું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મકાન, નોકરી, આર્થિક સહાય ન મળે અને ગુનો દાખલ ન થાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો મૃતકના પરિવારજનોએ નિર્ણય લીધો હતો. તમામ માંગણી સ્વીકારી લેવામાં આવતાં લાશ સ્વીકારાઇ હતી. આ બનાવમાં ટીપરવેન (કચરા ગાડી)ના ચાલક સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે મૃતકના પત્નિ સોનલબેન રણજીતભાઇ સાગઠીયા (ઉ.૪૦)ની ફરિયાદ પરથી કચરા ગાડીના ડ્રાઇવર અનિલ ખીમજીભાઇ વાણીયા (ઉ.૨૫-રહે. વેજાગામ) સામે આઇપીસી ૨૭૯, ૩૩૭, ૩૦૪ (અ), એમવીએકટ ૧૭૭, ૧૦૪, ૧૩૪ મુજબ ગુનો નોંધ્યો છે અને ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેની પાસે લાયસન્સ ન હોવાના આક્ષેપો થયા હોઇ પોલીસે વિશેષ પુછતાછ આદરી છે. પીએસઆઇ એચ. બી. ગઢવીએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

(4:24 pm IST)