Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થના આંગણે

પ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી દાદાનો ૯૯મો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

પૂજયશ્રીના શિષ્યરત્ ન આ.શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી (કે.સી) મ.સા. આદિ સાધુ- સાધ્વીજી મ.સા.ની પાવન નિશ્રામાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ગુણાનુવાદ યોજાશે

રાજકોટ,તા.૧૪: શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાતીર્થના પ્રેરક  પ.પૂ.તપાગચ્છાપતિ આ.શ્રી વિજય પ્રેમસુરીશ્વર મ.સા.નો ૯૯મો જન્મોત્સવ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થના આંગણે શ્રી ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક, આ.શ્રી વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી (કે.સી.) મ.સા. આદિ ઠાણા તથા રાજકોટમાં બિરાજમાન સર્વે  પૂ.સાધુ- સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં આગામી તા.૧ માર્ચના ગુરૂવારે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે. આ પ્રસંગે ગુરૂપ્રેમના ૭ થી ૮ હજાર ભકતો ઉપસ્થિત રહેશે. તા.૧લી માર્ચ ગુરૂવારે ૯ વાગે પૂ.પ્રેમ સુરીશ્વરદાદાના ગુણાનુવાદ સાથે ધર્મિક અનુષ્ઠાનોનો શુભારંભ થશે.

પ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી દાદા એટલે જૈન શાસનના નભોમંડળમાં શુક્ર સમાન આરાધક, અમી દૃષ્ટી, ચમકતી ચાંદની જેવા ગાલ, કમળપત્ર જેવા હોંઠ અને કંબુ (નભ) શંખ જેવી ગરદન, જેનું સ્મરણ કરતા જ પરમ આદરણીય, આદર્શ ધર્મ પુરુષની છબી અંતરમય પર ઉપાસી આવે. પૂ.પ્રેમસુરી દાદા આપણી વચ્ચે પ્રત્યક્ષરૂપે નથી પરંતુ પરોક્ષ રૂપે સદાય આર્શીવાદની અમીવર્ષા કરતા રહે છે. તાજેતરમાં જ જુનાગઢમાં ગિરનાર તીર્થના આંગણે પૂજય પ્રેમસૂરી દાદાની ૧૭મી માસિક પુણ્યતિથી નિમિતે સામુહિક મંત્રજાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજય પ્રેમસૂરી દાદાનો જન્મ વિ.સં ૧૯૭૬માં ફાગણ સુદ પૂનમ- ૧૫ (ધૂળેટી)ના દિવસે વિજયનગરમાં થયો હતો. તેમનું સંસારી નામ પન્નાલાલ હતું. તેમને અમદાવામાં પૂ.આગમોધ્ધારક આ.શ્રી આનંદસાગર સૂરીજીના વરદ હસ્તે વિ.સં.૧૯૮૭ના અષાઢ વદ ૬ના માત્ર ૧૧ વર્ષની ઉંમરે દિક્ષા ગ્રહણ કરી હતી. વિ.સં.૨૦૧૦માં  અમદાવાદમાં પૂજય શ્રી ૩૪ વર્ષના થયા ત્યારે પન્યાસ પદવી પ્રાપ્ત થઈ.

ગુરૂદેવ શ્રી આ.ભગવંત શ્રી ભકિત સૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાને ચરિતાર્થ કરવા પૂ.આ.શ્રી ચંદ્રસાગર સૂરીજી મ.સા.ના વાસક્ષેપ અને આજ્ઞાથી પાટણના મુખ્ય સકલ શ્રી સંઘની સમક્ષ મહોત્સવ રચીને સવંત ૨૦૧૪ વૈશાખ સુદ-૬ના પૂ.શ્રી પ્રેમવિજયજી મ.સ તથા પૂ.શ્રી સુબોધવિજયજી મ.સ. (પ્રેમ સુરિદાદા મોટાભાઈ) ને આચાર્ય પદવી આપવામાં આવી અને આ.શ્રી પ્રેમસૂરી દાદાને આ.શ્રી ભકિતસૂરીજી મ.સા.ના પટ્ટધર જાહેર કરવામાં આવ્યા હતા. પૂજય શ્રી જૈનઆચાર્ય હોવા છતાં સંસ્કૃતિરક્ષા અને રાષ્ટ્રીય અસ્મિતાની સુરક્ષાના પ્રખર હિમાયતી હતા.

આ જન્મોત્સવ અવસરે ભાવિકોને પધારવા ગુરૂ પ્રેમ જન્મોત્સવ કમિટી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(4:26 pm IST)