Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વોર્ડ નં. ૪માં કૈલાશ નકુમને જીતાડવા આહવાન

ભાજપની કૂટનીતિ અને કોર્પોરેશનમાં આચરેલા પાપાચારને વોર્ડ નં. ૪ના લોકો તગેડી મુકશે : ઈન્દ્રનીલ રાજયગુરૂ

રાજકોટ, તા. ૧૪ : ભાજપની કુટનીતિ અને કોર્પોરેશનમાં આચરેલા પાપાચારને વોર્ડ- ૪ના લોકો તગેડી મુકશે, જાકારો આપશે તેમ જંગી જનસભામાં કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ જણાવ્યું હતું અને ભાજપની આકરી જાટકણી કાઢી કોંગ્રેસના સ્વચ્છ પ્રતિભાશાળી લોકસેવક કૈલાશ નકુમને જીતાડવા હાકલ કરી હતી.

વોર્ડ- ૪ની પેટા ચૂટણીમાં કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમની અલગ-અલગ વિસ્તારોમાં જનસભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, કોંગ્રેસના કોર્પોરેટર સીમીબેન જાદવ તેમજ રેખાબેન ગજેરા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેદ્યજીભાઈ રાઠોડ,ગોવિંદભાઈ સભાયા, મરીયમબેન દિવાન, ભીખુભાઈ પરમાર, હબીબ  કટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરૂએ જણાવેલ કે રાજકોટ મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચારના મુળિયા ખુબ ઊંડા છે મોટા-મોટા પ્રોજેકટમાં ભાજપના કોર્પોરેટરની ભાગીદારી હોવાનું જગજાહેર છે. લોકોના પ્રશ્નો માટે તંત્ર બોદું પુરવાર થયું છે. ગરીબોની વેદના તંત્ર સાંભળતું નથી. ગરીબોને સતત અન્યાય થઇ રહ્યો છે.

દરમ્યાન ભગવતીપરા અને જયપ્રકાશનગરમાં મરિયમબેન દિવાન અને ભીખુભાઈ પરમારે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતા તમામ લતાવસીઓએ કોંગ્રેસને જીતાડવા જણાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારની જીત નિશ્યિત છે તેવી બાહેંધરી પણ આપવામાં આવી હતી.

વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર અને મામકાવાદ સામે તીખી પ્રતિક્રિયા વ્યકત કરી હતી. કોર્પોરેશનમાં ભાજપના નગરસેવકો માત્ર ને માત્ર પોતાના દ્યર ભરવા માટે કામ કરી રહ્યા છે. રોડ-રસ્તામાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.ડામર રસ્તામાં મોટા-મોટા ગાબડા પડ્યા હતા તેની વિજીલન્સ તપાસ કરવાના બદલે અફસરોએ વરસાદને જવાબદાર ઠેરવ્યો હતો. અધિકારીઓ સામે કોઈ પગલા લેવાયા નથી. લોકોના પ્રશ્નો સમસ્યાનું નિરાકરણ માટે કોંગ્રેસ સતત લોકોની સાથે જ રહેશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. (૩૭.૧૩)

(4:15 pm IST)