Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જ્યાં - ત્યાં બાંધકામનો કાટમાળ ફેંકનારાઓને ૫૦ હજારથી ૧ લાખનો દંડ ફટકારાશે

બાંધકામ - કાટમાળ નાંખવા માટે રૈયાધાર અને કોઠારીયા વિસ્તારો નક્કી કરાયા છે ત્યાં જ કાટમાળ નાંખવા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની અપીલ

રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકા દ્વારા 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ જનજાગૃતિ અભિયાનની સાથોસાથ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં જયાં ત્યાં બાંધકામ વેસ્ટ (કાટમાળ) ફેંકનારા લોકો સામે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલ બે સ્થળો સિવાય અન્યત્ર બાંધકામ વેસ્ટ ફેંકનારા લોકોને રૂ.૫૦,૦૦૦ થી માંડીને રૂ.૧,૦૦,૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે અને બાંધકામ વેસ્ટ માટે વપરાયેલું વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.

મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આ અંગે વધુ વાત કરતા કહ્યું હતું કે, બાંધકામ વેસ્ટ જયાં ત્યાં ફેંકવામાં આવ્યા બાદ અન્ય લોકો પણ ત્યાં બીજો કચરો ફેંકવા લાગે છે અને તેના કારણે એ સ્થળ ન્યુસન્સ પોઈન્ટ બની જાય છે. આ સ્થિતિ પર અંકુશ મુકવા બાંધકામ વેસ્ટનો યોગ્ય સ્થળે નિકાલ થાય તે ખુબ જ જરૂરી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયાધાર પાસે અને કોઠારિયા સોલવન્ટ પાસે જગ્યા નક્કી કરવામાં આવેલી છે. બિલ્ડરો, ડેવલપરો અને અન્ય નાગરિકો તેમના બાંધકામ વેસ્ટનો આ સ્થળોએ જ નિકાલ કરે તેવી વિનંતીસહ જાહેર અપીલ કરવામાં આવે છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં રોજ કુલ ૫૭૭ ટન કચરામાં બાંધકામ વેસ્ટનું પ્રમાણ સરેરાશ ૪૦ ટન જેવું રહેતું હોય છે. અન્ય કચરાની સાથોસાથ બાંધકામ વેસ્ટનો પણ યોગ્ય ઢબે નિકાલ થવો જોઈએ પરંતુ કેટલાક લોકો તેને અનુસરતા નહી હોવાને કારણે શહેરમાં કયાંક કયાંક બાંધકામ વેસ્ટનું ન્યુસન્સ જોવા મળતું રહે છે. આ સ્થિતિ બદલવા માટે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

બાંધકામ વેસ્ટનો નિકાલ કરનારી એજન્સીઓએ હવે મહાનગરપાલિકાની ટી.પી. શાખામાં ફરજીયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બિલ્ડરો અને ડેવલપરોએ પણ બાંધકામ વેસ્ટના નિકાલ માટે આ રજીસ્ટર્ડ એજન્સીના આવશ્યક ડોકયુમેન્ટ મહાનગરપાલિકામાં રજુ કરવાના રહેશે, અન્યથા તેમના પ્લાનની મંજુરી અટકાવી દેવામાં આવશે.

(3:57 pm IST)