Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જનરલ બોર્ડમાં શાસકોએ ગેરકાયદે પોલીસ બોલાવી વિપક્ષી સભ્યોને બહાર કાઢયા હતાઃ વિપક્ષી નેતાની સરકારમાં ફરિયાદ

૧૯ઓકટોબરના જનરલ બોર્ડ વખતે મેયરે સભાગૃહમાં પોલીસને બોલાવી કોંગી સભ્યોની ટીંગાટોળી કરીને બહાર કાઢી જી.પી.એમ.સી. એકટનો ભંગ કર્યો છે : વશરામ સાગઠીયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩ : મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧૯ ઓકટોબરે યોજાયેલા જનરલ બોર્ડમાંથી પોલીસને બોલાવી વિપક્ષી સભ્યોની ટીંગાટોળી કરીને સભાગૃહની બહાર કાઢીને શાસકોએ જી.પી.એમ.સી. એકટનો ભંગ કર્યાની ફરિયાદ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠિયાએ રાજય સરકારના શહેરી વિકાસ સચિવને કરી છે.

આ અંગે શ્રી સાગઠિયાની યાદીમાં જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સભા સંચાલનના નિયમોની ઉપર વટ જઈ રાજકોટના પ્રથમ નાગરિક એવા સભા અધ્યક્ષ તેવા મેયરશ્રી દ્વારા સભા સંચાલનના નિયમોનું છળે ચોક ઉલ્લંદ્યન કરાઈ રહ્યું છે વિપક્ષ દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં ન જીપીએમસી એકટ ભંગ કરી અન્ય કોર્પોરેટરના ઈશારા ઉપર ગેરબંધારણીય રીતે બોર્ડ ચલાવી રહ્યા છે તેના બે દાખલા મોજુદ છે.

બોર્ડમાં કોઈપણ વ્યકિતને પ્રવેશવાની મનાઈ કરી જીપીએમસી એકટ ભંગ કરેલ હતો જેમાં હાઈ કોર્ટમાંથી હુકમ લાવી એક નાગરિકે સાબિત કરી દીધું કે અંતે તો લોકશાહીમાં બંધારણ જ મહાન છે જીપીએમસી એકટની કલમનો જે તે સમયે મેયર દ્વારા ભંગ કરીને નાગરિકોનો હક્ક છીનવ્યો ત્યારે પણ કોંગ્રેસે લેખિત અને મૌખિક રજૂઆત હોવા છતાં ભાજપના શાસકોએ નાગરિકોની પરવાહ કર્યા વગર પોતાની મનસુફી પ્રમાણે નિયમોનો ભંગ કર્યો અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રજાના લાખો રૂપિયા ખર્ચાયા હતા.

જીપીએમસી એકટમાં ચોખ્ખો ઉલ્લેખ હોવા છતાં ભાજપ દ્વારા મેયરને હુકમ કરી આ કાયદાનો ભંગ કરાવ્યો તો પ્રજાના પરસેવાના રૂપિયા જે હાઈકોર્ટમાં  આ કેસ પાછળ ખર્ચેલ છે તે તમામ નાણા મેયર શ્રી પાસેથી સરકારે રીકવર કરી કોર્પોરેશનમાં જમા કરાવવા કોંગ્રેસે  સરકારશ્રીમાં માંગણી કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર (સભા અધ્યક્ષ) દ્વારા  જ ફરીવાર જીપીએમસી  એકટનો ભંગ કરાયો  પ્રકરણ – ૨ની  કલમ -૨ (કાઉન્સિલરને જતા રહેવાના હુકમ કરવાની સત્ત્।ા) અને રાજકોટ મહાનગરપાલિકાના સભા સંચાલનના નિયમોની કલમ-૭ મુજબ અધ્યક્ષ સ્થાન લેનાર પ્રાધિકારીએ કોઈ સદસ્યને ચાલ્યા જવા નિર્દેશ કર્યો હોય કે; કોર્પોરેશનની સભામાં હાજરી આપવાની ઉપર જણાવ્યા મુજબ મનાઈ (સસ્પેન્સન) ફરમાવી હોય તેવા સદસ્ય અધ્યક્ષ સ્થાન લેનાર પ્રાધિકારીના હુકમનો અમલ ના કરે, તેમને માર્શલની મદદથી શારીરિક રીતે દુર કરવાનો કે ગૃહમાં પ્રવેશ કરતા રોકવાના નિર્દેશ કરવાના અધ્યક્ષ સ્થાન લેનાર પ્રાધિકારીને અધિકાર રહેશે, આ હેતુ માટે અગ્નિશામક દળ માંથી ચાર માર્શલની મેયર નિમણુંક કરશે કોઈ માર્શલની ગેરહાજરીમાં તેમને સ્થાને અવેજી મુકાશે. આવો સ્પષ્ટ ઉલ્લેખ નિયમમાં છે.

આ નિયમ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગમાંથી ચાર માર્શલોની તા.૧૦ ઓકટોબરના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સાધારણ દ્વિ માસિક મીટીંગ અને તા.૧૯ઓકટોબર માટે સ્પેશિયલ નિમણુંક કરેલ હતી તેમ છતાં આ જનરલ બોર્ડમાં રાજકોટ પોલીસ કમિશ્નરના તાબા નીચે આવતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો , ક્રાઈમ બ્રાંચના જવાનો એક અંદાજ મુજબ ૧૭-૧૮ વર્ધીમાં અને વર્ધી વગરના જનરલ બોર્ડમાં આવી કોંગ્રેસના કોર્પોરેટરોને જીપીએમસી એકટ  ઉપરવટ જઈ ગેરબંધારણીય રીતે માર્શલના બદલે રાજકોટ પોલીસ દ્વારા અમુક સભ્યોને ટીંગાટોળી કરી જે રીતે કોઈ ગુન્હેગાર હોય તેવી રીતે ચાલુ સભાએ બોર્ડની બહાર ઉચકીને ફેંકી દેવામાં આવ્યા અને તે પણ પ્રજા માટેના પ્રશ્નોની ચર્ચા કરવા અને લોકોને આરોગ્યની ચર્ચા માટે સમય માંગવાની કોંગ્રેસના કોર્પોરેટરોએ માંગ કરી હતી તે વખતે કોઇ ગુન્હો ન કર્યો હતો. લોકશાહીમાં અમારો અધિકાર છે કે અમે લોકોના સાચા પ્રશ્નોની જનરલ બોર્ડમાં ચર્ચા કરવી પરંતુ ભાજપના શાસકો દ્વારા તમામ પ્રકારના નીતિ નિયમો નેવે મૂકી આ પ્રકારે ગેરબંધારણીય રીતે સભાનું સંચાલન થઇ રહ્યું છે તેની વિરુદ્ઘ આજે સરકાર શ્રી અને શહેરી વિકાસ સચિવને મેયર  બીનાબેન આચાર્ય વિરુદ્ઘ યોગ્ય પગલા લેવા માંગ કરેલ છે તેવું વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ યાદીનાં અંતે જણાવ્યુ છે.

(3:44 pm IST)