Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કોઇપણ છોકરા કે છોકરીનો વાંક નથી...ચિઠ્ઠી લખી હોસ્પિટલના કર્મચારી પ્રશાંત ચાવડાએ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

મુળ જેતપુરનો યુવાનઃ દોશી હોસ્પિટલનો નર્સિંગ વિભાગનો કર્મચારી હતોઃ આ હોસ્પિટલની બાજુમાં જ ફલેટ ભાડે રાખી અઠવાડીયાથી રહેતો હતોઃ કારણ જાણવા માલવીયાનગર પોલીસે તપાસ આદરી

તસ્વીરમાં પ્રશાંત જે રીતે લટકતો હતો તે દ્રશ્ય અને તેણે લખેલી ચિઠ્ઠી જોઇ શકાય  (ફોટોઃ અશોક બથગરીયા)

રાજકોટ તા. ૧૩: 'હું ચાવડા પ્રશાંત, મારા હોશો અવાજમાં કહુ છું કે હું જે આ કરી રહ્યો છું એમાં કોઇનો પણ વાંક નથી, આમાં કોઇપણ છોકરા કે છોકરીનો વાંક નથી, પાછળ જે થાય એમાં કોઇને પણ દોષ દેતા નહિ. એવી માર ઇચ્છા છે'...આવી ચિઠ્ઠી લખી દોશી હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતાં એક યુવાને આજે ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

એચ. જે. દોશી હોસ્પિટલની બાજુમાં જ આવેલા જય એપાર્ટમેન્ટમાં અઠવાડીયાથી રહેવા આવેલા મુળ જેતપુરના પ્રશાંત ભરતભાઇ ચાવડા (ઉ.વ.૨૨) નામના યુવાને આજે ફલેટમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ રૂમ પાર્ટનર બહારથી આવ્યો ત્યારે થઇ હતી. ૧૦૮ને ફોન કરવામાં આવતાં ઇએમટી કિશનભાઇ રાજાણી અને પાઇલોટ મનિષભાઇ ગોંડલીયા પહોંચ્યા હતાં. ઇએમટીની તપાસમાં તેનું મોત નિપજ્યાનું સ્પષ્ટ થતાં પોલીસને જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણા અને પ્રશાંતસિંહે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અઠવાડીયા પહેલા જ પ્રશાંત આ ફલેટમાં રૂમ પાર્ટનર સાથે રહેવા આવ્યો હતો. તે દોશી હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં કામ કરતો હતો. આજે તેને રજા હતી. તેના રૂમ પાર્ટનરે નાઇટ હોઇ તે પુરી કરી રૂમ ખાતે આવ્યો ત્યારે દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં બારીમાંથી જોતાં પ્રશાંત લટકતો મળ્યો હતો. ચિઠ્ઠીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને તેના વાલીને જેતપુરથી બોલાવ્યા છે. હાલ આપઘાતનું કોઇ કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. 

(4:09 pm IST)