Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

'તારામાં ખામી હોવાથી દીકરીને જન્મ આપ્યો છે' કહી સોહમનગરમાં મીરા જાદવને સાસરીયાનો ત્રાસ

પતિ વિક્રમ, સાસુ હેમી, સસરા હર્ષદ, નણંદ ચંદ્રીકા, નણદોયા વિપુલ, જેઠ અનિલ અને જેઠ કિશોર સામે ગુનો

રાજકોટ તા. ૧૩ : મોરબી રોડ ફાટક પાસે સોહમનગરની વણકર પરિણીતાને પતિ, સાસુ, સસરા, નણંદ - નણદોયા તથા બે જેઠ ઘરકામ બાબતે તથા 'દીકરીને જ કેમ જન્મ આપ્યો' કહી શારીરિક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવા થોરાળા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં માવતરના ઘર રહેતી મીરા વિક્રમ જાદવ (ઉ.વ.૨૯)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મોરબી રોડ ફાટક પાસે સોહમનગર શેરી નં. ૩માં રહેતો પતિ વિક્રમ જાદવ, સાસુ હેમીબેન જાદવ, સસરા હર્ષદ વિઠ્ઠલભાઇ જાદવ, ગાંધીનગર ચીલોડાની નણંદ ચંદ્રીકા અને નણદોયા વિપુલ મનુભાઇ ખંડવી અને આરટીઓ પાછળ નરસિંહનગરનો જેઠ અનિલ કાળાભાઇ જાદવ તથા કેસરી પુલ પાસે મોટાવાસમાં રહેતો જેઠ કિશોર પાલાભાઇ જાદવના નામ આપ્યા છે.

મીરા જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે હાલ માતા - પિતાના ઘરે છેલ્લા બે વર્ષથી પુત્રી માહી સાથે રહે છે. પોતાના ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં રહેતા હર્ષદભાઇના દીકરા વિક્રમ સાથે લગ્ન થયા હતા. આ લગ્નજીવન દરમિયાન પોતાને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. લગ્ન બાદ પોતે સાસરીયામાં સંયુકત કુટુંબમાં રહેવા ગયેલ ત્યારે થોડો સમય મને મારા સાસરીયાઓએ સારી રીતે રાખેલ બાદ સાસુ મારા સાસુ મને ઘરકામ જેવી નાની - નાની બાબતમાં ઝઘડો કરતા અને મારા પતિને મારા વિરૂધ્ધમાં ચઢામણી કરતા જેથી મારો પતિ મારી દીકરીને પણ સારી રીતે રાખતો ન હતો. અને મારા સસરા પણ આ બધુ જાણતા હોવા છતાં કાંઇ બોલતા ન હતા અને મારા કૌટુંબિક જેઠ કિશોર પાલાભાઇ જાદવ મારા પતિને કહે કે 'તું મારી ઘરવાળીને છોડી દે આપણે બીજી લઇ આવશી' તેવી ચઢામણી કરતા હતો અને મારા કૌટુંબીક જેઠ અનિલ કાળાભાઇ જાદવ પણ આ બધાનો સાથ આપતા અને મેં દીકરીને જન્મ આપ્યો તે બાબતે મને કહે કે, તારામાં ખામી હોવાથી તે દીકરીને જન્મ આપ્યો છે. જે બાબતે સાસરીયાઓ શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. આ અંગે વણકર પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. એસ.કે.ડામોરે તપાસ હાથ ધરી છે.

(4:17 pm IST)