Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સૈન્યમાં આહીર રેજીમેન્ટ જરૂરીઃ અર્જુન આંબલિયા

સૈન્યમાં જોડાવાનું સપનુ તૂટતા આહીર યુવાને અભિયાન આદર્યું : આહીર રેજીમેન્ટ મુવમેન્ટઃ દેશમાં ૧૫૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ જામદેવળિયા ગામના આહીર યુવાનની પ્રેરક પ્રવૃત્તિ

રાજકોટ, તા. ૧૨ :. દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ જામદેવળીયા ગામના વતની અર્જુન આંબલીયા નાનપણથી સૈન્યમાં જવાના સપના જોતા દેશદાજ ખૂબ પણ સંજોગોવસાત પુરતો અભ્યાસ ન થઈ શકયો તેથી સૈન્યમાં જોડાવાનું સપનુ તૂટતા મનમાં દેશદાજનો જોશ અને જુસ્સો અકબંધ હોય સૈનિકો પ્રત્યે ખૂબ અહોભાવ. નાની વયથી સમાજ અને દેશ પ્રત્યેની અડગ ભાવના હોવાથી બાળકો અને યુવાનોમાં વ્યસન ન આવે તે માટે સતત જાગૃતિ અને પ્રયત્નો કરતા રહે છે.

પોતે આર્મીમાં ન જઈ શકયા પણ પોતાના ગામના વધુમાં વધુ યુવાનો શારીરિક રીતે સક્ષમ થાય તે માટે ગામ લોકોના સહકારથી સ્મશાનની બાજુમાં આવેલ ઉંડો ખાડોવાળા વિસ્તારમાં એક મેદાન તૈયાર કરેલ આ મેદાનમાં ૧૫ વૃક્ષો કાઢવા પડયા તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૦ વૃક્ષો વાવી ઉછેરેલ. મેદાન તૈયાર કરવાથી ફાયદો એ થયો છે તેની બાજુમાં સ્મશાન હતું ત્યાં ધોળે દિવસે જવાની કોઈ હિંમત ન કરતુ તેવું બિહામણુ ચિત્ર લોકોના માનસ પટ પર હતુ અર્જુન આંબલીયાની સતત હાજરી અને યુવાનોને પ્રેરણા આપવાથી આજે આ મેદાન રમણ્ય સ્થળ તરીકે તે ગામના લોકોની પ્રથમ પસંદગી છે. ગામ લોકોના મનમાંથી સ્મશાન પ્રત્યેની સુગ અને બીક કાઢવાનું કામ ધીમી અને મક્કમ રીતે કર્યુ.

રમત-ગમતનો ગજબનો શોખ તેથી વિવિધ રમતોમાં પુરા ઝનૂન સાથે ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરે છે. ખાસ કરીને લાંબો કૂદકો અને ક્રિકેટ. ટેનિસ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ. આ રમતમાં શ્રેષ્ઠ દેખાવ હોય છે. ૨૦૧૬માં લાંબા ગામે યોજાયેલ ટેનિસ ક્રિકેટની ટૂર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં એક ઓવરમાં ૭ સીકસર મારવાનો રેકોર્ડ ધરાવે છે. તેથી યુવાનોમાં રમત-ગમતની ભાવના વિકશે અને હાર અને જીત પચાવતા શીખે શરીર સક્ષમ થાય તે માટે પોતે આગેવાની લઈ રમત-ગમતોનું આયોજન કરે છે.

પોતાના ગામમાં લોક સહકારથી નેત્ર નિદાન અને સારવારનો કેમ્પ કરી લોક સેવા તો કરે જ છે સાથે સાથે લોકોને આંખની કાળજી કેવી રીતે રાખવી તે બાબતે જાગૃતતા વધે તે માટેના પ્રયત્નો કરે છે.

ગામની વસ્તી અંદાજે ૧૦,૦૦૦ લોકોની છે. આવડા મોટા ગામમાં માત્ર એક જ ગરબી છેલ્લા ૧૦૦ વર્ષથી થાય છે. ગામમાં વસતા તમામ કોમના લોકો સંપીને આ ગરબીનું આયોજન કરે છે. ૨૦૧૫થી આજ દિન સુધી આ ગરબીનું આયોજન અર્જુન આંબલીયા તથા જામદેવળીયા યુવા ગ્રુપના નેજા હેઠળ કરી રહ્યા છે. આ ગરબી દરમ્યાન વ્યસન મુકત સમાજ અને શિક્ષણ અને સંપ વધે તેવા પ્રયત્નો થાય છે.

ભારતીય સૈન્યમાં આહિર રેજીમેન્ટ હોવી જોઈએ તેવી પ્રબળ ભાવના અને લાગણી અર્જુનભાઈ ધરાવે છે. ૨૦૧૩થી ભારત લેવલે ચાલતી આહિર રેજીમેન્ટની મુવમેન્ટમાં જનુનભેર આગેવાની લ્યે છે. આજ દિન સુધીમાં ૧૫૦૦૦ કિ.મી. સુધીની દેશમાં અલગ અલગ ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ વિગેરે રાજ્યોમાં જઈ આ યાત્રાનું આયોજન અને આગેવાની લીધી છે અને લાખો લોકોને આહિર રેજીમેન્ટના મુદ્દે જાગૃત કરે છે.

સેન્યમાં ૧૯૬૨માં રેજાગંલાના યુધ્ધમાં શહિદ થયેેલ આહિર જવાનોના શોર્યને ઉજાગર કરવા અને તેની યાદમાં ૧૮ સપ્ટેમ્બર રેજાગંલા શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ૨૦૧૭માં દ્વારકાથી હરિયાણા (આહિર સ્મારક રેવાડી) સુધી ૨૦૦ કિલોમીટરની શહિદ સન્માન કાર યાત્રાનું સફળતા પુર્વક આયોજન કરેલ તેમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં આ યાત્રા દરમિયાન શહિદોના સ્વજનોનું (ર૦૫ લોકોનું) સન્માન કરેલ. યાત્રાના રસ્તામાં આવતા ગામોના આહિર બિરાદરીના લોકો સુધી આહિર રેજીમેન્ટ બાબતે જાગૃત કર્યા.

પર્યાવરણ પ્રત્યે નાનપણથી લગાવ હોય નગરંગ નેચર કલબ-રાજકોટ સાથે રહી ઓસમ પર્વત (પાટણવાવ) વર્ષ ૨૦૧૮માં પ્લાસ્ટીક વિણવાની ભગીરથ કામગીરીમાં પુરો સહકાર આપેલ ઉપરાંત સોેરાષ્ટ્રના વિવિધ ગામોમાં જઇ લોકો વૃક્ષ વાવતા થાય તે માટે યુવાનોને પ્રેરણા પુરી પાડે છે એન ચોમાસામાં ચાલતા રોપ વિતરણના કાર્યક્રમમાં સહકાર આપે છે.

વરસાદી પાણી ધરતીમાં ઉતરે તે માટે સોૈરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં નવરંગ નેચર કલબ સાથે રહી ખેડૂતો પોતાની જમીનની એક ખુણાઉપર સોષખાડા કરે અને કુવા અને બોરમાં વરસાદી પાણી ઉતારે તે માટે સતત પ્રયત્નો કરે છે.

લોકઉપયોગી પ્રવૃતિઓ અને આહિર રેજીમેન્ટની માંગ કરવા માટે ''આહિર એકતા મંચ-ગુજરાત'' ની સ્થાપના કરી છે અને હાલ પ્રમુખ સ્થાન ધરાવે છે.

તા.૧-૯-૨૦૧૮ થી તા. ૩-૯-૨૦૧૮ દરમ્યાન રાજુલાથી દ્વારકા સુધીની ૫૦૦ કિલોમીટર સુધીની બાઇક રેલીનું આયોજન સફળતાપુર્વક કરેલ જેમાં ૫૧૮ લોકોએ વિકટ રસ્તાઓ અને સતત વરસતા વરસાદમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ યાત્રાના રસ્તામાં આવતા આર્મીના નિવૃત અને કાર્યરત ૨૫૦ જવાનોનું સન્માન કરી ધન્યતા અનુભવી આજ દિન સુધી આવા કાર્યક્રમો કોઇએ કરેલ નથી. આ બાઇક રેલીમાં વ્યસન મુકિત, શિક્ષણ, અંધશ્રધ્ધા નિવારણ અને દરેક કોમમાં સંપ અને ભાઇચારો વધે તેવા પ્રયત્નો કરવામાં આવેલ.

આવી સારી પ્રવૃતિઓ કરતા યુવાનોને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ સન્માન કરી તેની કામગીરીને બિરદાવેલ છે. અર્જુન આંબલિયાનો સંપર્ક મો. ૮૪૬૯૧૭૮૯૮૧ નંબર પર થઇ શકે છે.

(4:09 pm IST)