Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

શુક્રવારે મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં વિદ્યાભારતી મેઘાવી છાત્રોનું સન્માન

ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા : વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો - મેઘાવી છાત્રોનો સન્માન - રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર : યજમાન પદે રાષ્ટ્રને કર્તવ્યનિષ્ઠ નાગરિકનું પ્રદાન કરવામાં વિદ્યાભારતી અગ્રેસર : પત્રકાર પરિષદમાં માહિતી આપતા ટ્રસ્ટી અપૂર્વભાઇ મણીયાર અને ડો. બળવંતભાઇ જાની

રાજકોટ તા. ૧૨ : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા તા. ૧૪ સપ્ટે. બપોરે ૩ કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં યજમાન પદ હેઠળ આયોજીત કરવામાં આવ્યો છે. વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ કાર્યક્રમનાં સમારંભ અધ્યક્ષ તરીકે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી મહામંત્રી નીતિનભાઈ પેથાણી, બીએપીએસ સંત સાધુ અપૂર્વ મુનિદાસ, ઉદ્યોગપતિ જયંતીભાઈ જાકાસણીયા તેમજ વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાભારતીની ગુજરાતમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થા અને તેમનાં તેજસ્વી તારલાઓનું સમ્માન કરશે. ગુજરાતનાં શૈક્ષણિક જગતમાં આ પ્રકારનો શૈક્ષણિક સંસ્થા અને મેઘાવી વિદ્યાર્થી સન્માન સમારોહ નોંધનીય, પ્રશંસનીય અને અનુકરણીય પ્રસંગ બની રહેશે.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત સંકુલોનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે પત્રકારોને જણાવ્યું હતું કે, ભારતીય શિક્ષણ સેવા સમાજ વિદ્યાભારતી અર્ધી સદીથી શૈક્ષણિક અને બૌદ્ઘિક જયોત પ્રજવલિત કરીને સમાજને ઉમદા કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું પ્રદાન કરી રહી છે. ભારત અને કદાચ વૈશ્વિક કક્ષાએ આ સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા હશે જેના દરેક પ્રાંતમાં શૈક્ષણિક સંકુલો આવેલાં છે. સ્વયં સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી પણ આ સંસ્થા સાથે સંબંધ ધરાવતા. છેલ્લા કેટલાંક દસકોથી ભારતભરનાં અલગ-અલગ રાજયોમાં અને ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી વિદ્યામંદિર સંકુલની વિવિધ શાખાઓ યોગ આધારિત શિક્ષણ પદ્ઘતિ સાથે માતૃભાષામાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની શ્રેષ્ઠ કામગીરી સાથે સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી રહી છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનાં જતન અને સવર્ધન સાથે બાળકોનાં સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સમાજનાં દરેક વર્ગ, જાતિ અને કક્ષાનાં બાળકોએ અહીંથી ઊંચનીચ કે નાતજાતનાં ભેદભાવ વિના શિક્ષણ પ્રાપ્ત કરી સુંદર કારકિર્દી ઘડી છે. આ સંસ્થા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા અસંખ્ય મહાનુભાવો પોતાનો વ્યકિતગત અનુભવ, જ્ઞાન અને સમય વર્ષોથી સરસ્વતી વિદ્યામંદિર સંકુલને આપતા આવ્યા છે. આ સંસ્થા અને સંસ્થા સાથે જોડાયેલા શ્રેષ્ઠી-સ્નેહીઓની પ્રગતિને ધ્યાને લઈ આ વર્ષથી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ ઉજવવાનું નક્કી કર્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં આવેલા સરસ્વતી વિદ્યામંદિર સંકુલ અને તેમના છાત્રોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સન્માન કરશે. ગુજરાતમાં આવેલા સરસ્વતી વિદ્યામંદિરનાં શૈક્ષણિક સંકુલો અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે છતાં પણ તેમાના ઘણા શૈક્ષણિક સંકુલો બોર્ડની પરીક્ષાઓમાં ૧૦૦ ટકા પરિણામ મેળવે છે. દર વર્ષે બોર્ડ પરિણામમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલોનાં વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં ઝળકે છે. વ્યાજબી ફી સાથે માતૃભાષામાં શિક્ષણ આપતા આ સંકુલોનાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક ઉપરાંત ઈતર પ્રવૃત્ત્િ।માં પણ સ્થાનિક, રાજય અને રાષ્ટ્ર કક્ષા સુધી વિજેતા બની સંસ્થા, પરિવાર અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. જેમાં રાજકોટની સરસ્વતી વિદ્યામંદિર સંકુલ તો છેલ્લાં પાંચ વર્ષથી બોર્ડ પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ લાવી રહી છે. આથી જયારે વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને વિદ્યાર્થીઓને સન્માનવાની એક પરંપરાની શરૂઆત થઈ રહી છે ત્યારે તેનું સૌ પ્રથમ યજમાન બનવાનું સૌભાગ્ય પણ સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટને પ્રાપ્ત થઈ રહ્યું છે. વળી, આ સંસ્થાનાં જ ભૂતપૂર્વ વાલી અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષરૂપે ઉપસ્થિત રહેવાના હોય આ કાર્યક્રમ કોઈ એક સંસ્થાનો ન બની રહેતા સમગ્ર શૈક્ષણિક જગત માટે મહત્વનો અને મિશાલરૂપ બનશે એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપતા કહ્યું હતું કે, વિદ્યાભારતી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે નિસ્વાર્થભાવે કાર્ય કરતી શૈક્ષણિક સંસ્થા છે. ભારતનાં પ્રત્યેક બાળકનાં શારીરિક, માનસિક, બૌદ્ઘિક, સામાજિક તથા નૈતિક એમ સર્વાંગી વિકાસનાં ઉદ્દેશ સાથે અમો કાર્યરત  છીએ. રાજકોટની અંદર પ્રાચિનતમ સંસ્કારો અને આધુનિકતમ શિક્ષણ એમ બંને વિચારધારાઓનો સમન્વય સાધવના હેતુસર ડો. પી.વી. દોશી અને પ્રવીણકાકાએ સરસ્વતી શિશુમંદિર સંકુલની સ્થાપના આજથી ત્રણ દસક અગાઉ કરેલી. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આ સંસ્થામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડો. વલ્લભભાઈ કથીરિયા, ડો.શેઠથી લઈ ઘણાબધા મહાનુભાવોનાં સંતાનો અભ્યાસ કરી ચૂકયા છે. શિશુમંદિરનાં વિદ્યાર્થીઓ માત્ર વિદ્યા જ નહીં કલા અને રમતગમત ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાનો પરચો અવારનવાર આપતા રહે છે અને અંતે તો આ બધું સમગ્ર શૈક્ષણિક સંસ્થા અને તેમનાં વિદ્યાર્થીઓ-વાલીઓનાં સહિયારા પ્રયત્નોનું પરિણામ હોય વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.  સંસ્થાનાં વ્યવસ્થાપક કમિટીનાં સદસ્યો ખંતીલભાઈ મહેતા, નીલભાઈ ગોવાણી, સમીરભાઈ પંડિત અને ભાવિકભાઈ મહેતા તેમજ પ્રધાનચાર્ય અને આચાર્યગણ પણ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:07 pm IST)