Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

તરઘડી ખાતે જીલ્લા કક્ષાનો સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવાશેઃ અરૂણ મહેશ બાબુની ઉપસ્‍થિતિમાં શાનદાર રિહર્સલ

રાજકોટ, તા. ૧૩ : ભારત ૧પ મી એ આઝાદીના ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્‍સવ હેઠળ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે. ત્‍યારે રાજકોટ જિલ્લા કક્ષાના સ્‍વતંત્ર્ય પર્વની ઉજવણી શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્‍યક્ષ સ્‍થાને પડધરી તાલુકાના તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં થનાર છે. જે અન્‍વયે આજરોજ કલેકટર અરૂણ મહેશબાબુની ઉપસ્‍થિીતમાં સ્‍વાતંત્ર્ય દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્‍યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
વધુમાં કલેકટર અરૂણ મહેશબાબુ એ વિસ્‍તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્‍થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત સાંસ્‍કૃતિક કૃતિ રજુ કરનાર બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્‍સાહન પુરૂ પાડયું હતું. વધુમાં કલેકટરે સવેૃ અધિકારીઓને આઝાદીના ૭૬માં વર્ષેના મંગલ પ્રવેશને યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચનો પાઠવ્‍યા હતા.  આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર, રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીઓ જવાહર નવોદય વિદ્યાલયનો સ્‍ટાફ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:45 pm IST)