Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

માર્કેટ યાર્ડ નજીક કારે બાઇકને ઉલાળી દેતાં સદ્દગુરૂ સોસાયટીના મોહનભાઇ સરવૈયાનું મોત

રાજસમઢીયાળાની વાડીએથી પરત આવતા'તા ને રસ્તામાં કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૧૩: જુના માર્કેટ યાર્ડ નજીક રાંદરડા તળાવની સામેના ભાગે સ્વીફટ કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકસ્વાર સંત કબીર રોડ સદ્દગુરૂ સોસાયટી-૧માં રહેતાં કોળી પ્રોૈઢ મોહનભાઇ મેરામભાઇ સરવૈયા (ઉ.વ.૫૦)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ મોહનભાઇ સરવૈયા પોતાનું બાઇક જીજે૦૩કેડી-૬૪૫૯ હંકારીને રાજસમઢીયાળા ગામે આવેલી પોતાની વાડીએ ગયા હતાં. રવિવારે સાંજે ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતાં જુના યાર્ડના પુલ પહેલા રાંદરડા તળાવ સામે પહોંચ્યા ત્યારે સ્વીફટ કાર જીજે૦૧એચએમ-૧૨૭૮ના ચાલકે બાઇકને ઉલાળી દેતાં તેઓ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

મોહનભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિાવરમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસને જાણ થતાં એએસઆઇ યશવંતભાઇ ભગત સહિતે હોસ્પિટલે પહોંચી મૃત્યુ પામનારના પુત્ર અતુલભાઇ મોહનભાઇ સરવૈયા (ઉ.૩૧)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. અકસ્માત સર્જી ચાલક કાર મુકી ભાગી ગયો હતો.

મૃત્યુ પામનાર મોહનભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પાંચ બહેન અને બે ભાઇમાં નાના હતાં. તસ્વીરમાં ઘટના સ્થળે અકસ્માત સર્જનાર કાર, મૃતક મોહનભાઇનું બાઇક અને મોહનભાઇનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

(11:58 am IST)