Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કિસાનપરા ચોકમાં સવારના પ્હોરમાં ટ્રાફિક જામની સમસ્યાઃ એક તરફ વોકીંગ ઝોન ખાલીખમ્મ, બીજી તરફ વાહનોની કતારોઃ શાળા,કોલેજ,નોકરીએ જનારા પરેશાન

વોકીંગ કરનારા માટે વન-વેનો સમયગાળો સવારે ૭:૩૦થી ઘટાડીને ૭:૦૦નો કરવો જરૂરીઃ ટ્રેન આવવાને કારણે આમપ્રાલી ફાટક તરફથી ભરપુર વાહનો રેસકોર્ષ તરફ આવે છેઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તાકીદે સમસ્યાનું નિવારણ લાવે તેવી લોકોની માંગણી

રાજકોટઃ રંગીલા રાજકોટીયનોની સુખ-સુવિધા માટે અલગ-અલગ તંત્રો સતત સતર્ક રહેતાં હોય છે. લોકોને કોઇ હેરાનગતિનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. પરંતુ ઘણી વખત લોકોની સુવિધા માટે જ ઉભી કરાતી વ્યવસ્થા તેઓ માટે મુશિબત કે હાડમારીનું કારણ બનતી હોય છે. ખાણીપીણીના શોખીન રાજકોટીયનો તબિયતને પણ ટનાટન રાખવામાં કસર છોડતા નથી. એ કારણે જ શહેરના હાર્દ સમા રેસકોર્ષ રીંગ રોડ પર વેહલી સવારે સાડા ચારથી જ જાણે કિડીયારૂ ઉભરાયું હોય તેમ વોકીંગ કરનારા લોકો અહિ ઉમટી પડે છે. વોકર્સ માટે પોલીસ તંત્ર તરફથી ખાસ સુવિધાના ભાગ રૂપે રેસકોર્ષ રીંગ રોડનો અંદરની તરફનો રસ્તો સવારના ૫:૩૦ થી ૭:૩૦ સુધી વન-વે જાહેર કરવામાં આવ્યો છે. આ માટે શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સવારે બે કલાક માટે લોકો શાંતિ પૂર્વક વોકીંગ કરી શકે તે માટે એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવે છે અને વોકીંગ ઝોનમાં કોઇ વાહન ચાલકો આવી ન જાય તે માટે સવારે બે કલાક માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. લોકોની સુખ-સુવિધા માટે પોલીસ તંત્રનું આ પગલું યથા યોગ્ય જ છે. પરંતુ વોકર્સ માટેની આ સુવિધા બીજા કેટલાક લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાની ફરિયાદો કેટલાક સમયથી ઉઠવા પામી છે!

મુશ્કેલી એ ઉભી થઇ છે કે સવારે સવા સાતથી સાડા સાતની વચ્ચે આમ્રપાલી ફાટક પરથી ટ્રેન પસાર થાય છે. આ સમયે બંને તરફ નાના મોટા ટુવ્હીલર, ફોરવ્હીલરનો ખડકલો થઇ જાય છે. આ સમયે શાળા, કોલેજ કે નોકરીએ જનારો મોટો વર્ગ હોય છે. તેમને એક તો ફાટક પર સમય બગડે છે અને બાદમાં ત્યાંથી કિસાનપરા ચોકમાં આવે ત્યારે રસ્તો વન-વે હોવાથી ત્યાં ટ્રાફિક જામમાં અટવાવું પડે છે. આ કારણે શાળા-કોલેજ કે નોકરીના સ્થળે સમયસર પહોંચવામાં મોડુ થઇ જાય છે. આ સમયે દરરોજ આ રસ્તેથી પસાર થતાં લોકોની માંગણી છે કે વોકર્સ માટે વન-વેનો સમય સવારે ૭:૩૦નો છે તેને બદલે તે ઘટાડીને ૭:૦૦નો કરી નાંખવો જોઇએ. જેથી કરીને આ સમયે ટ્રેન આવતી હોય તેના ટ્રાફિકને વન-વેનો નિયમ નડે નહિ. મોટા ભાગના વોકર્સ તો સાત સુધીમાં જતાં રહ્યા હોય છે. એકલ-દોકલ વોકર્સ માટે વધારાનો અડધો કલાક સુધી રોડ બંધ રાખીને બીજા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી કરવી યોગ્ય નથી. તેવી લાગણી સવારે સવા સાતથી સાડા સાત વચ્ચે રૈયા રોડથી કિસાનપરા ચોક તરફ આવતાં વાહનચાલકોની છે. જાગૃત મહિલા સેજલબેન બક્ષી (ઇન્સેટ તસ્વીર)એ આ સમસ્યાને ઉજાગર કરતી તસ્વીરો મોકલી છે. જેમાં સવારના સાડા સાત આસપાસ જે રોડ વન-વે જાહેર કરાયો છે તે લગભગ ખાલીખમ્મ જણાય છે (ઉપરની તસ્વીરો), જ્યારે આ જ સમયે ટ્રેન પસાર થયા બાદ આમ્રપાલી ફાટક ખુલતાં ત્યાંથી આવતા વાહનો વન-વેને કારણે ટ્રાફિક જામમાં અટવાય છે તે દ્રશ્યો (નીચેની તસ્વીરો) જોઇ શકાય છે. પોલીસ કમિશ્નરશ્રી ગહલૌત આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવે તેવી તેમની રજૂઆત અને લાગણી છે.

(4:01 pm IST)