Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ન્યારી (૧) છલકાવી દેવાનો છેઃ નીચાણવાળા ૯ ગામો સાવચેત રહેઃ બંછાનીધી

નદીનાં પટમાં ગેરકાયદે દબાણકર્તાઓને સલામત સ્થળે ખસી જવા મ્યુ. કમિશ્નરની તાકીદ

રાજકોટ, તા., ૧૩: ચોમાસુ હવે આવી ગયું છે ત્યારે આ વર્ષે ન્યારી (૧) ડેમને તેની નવી રપ ફુટની સપાટી સુધી ભરીને છલકાવી દેવાનું આ આયોજન હોઇ ન્યારી (૧) ડેમનાં નિચાણવાસનાં ગામોને તથા નદીના પટમાં દબાણ કરીને રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ તાકીદ કરી છે.

આ અંગે શ્રી પાનીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ હસ્તકના ન્યારી-1 પાણી પુરવઠા યોજનાની જળાશયની સપાટી માં વધારો તથા યાંત્રિક દરવાજાઓ સાથેના નવા છલતીબંધ લગત કામગીરી પૂર્ણ થયેલ હોય, ચાલુ સાલ સને 2019 નવી સપાટી સુધી પાણી ભરવાનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલ છે.

જેને ધ્યાને લઈ જળાશયની ઉપરવાસના અસરગ્રસ્ત આ આસામીઓ તેમજ જમીન તથા મિલકત ધરાવતા આસામીઓ તેમજ અગાઉ સંપાદન કરાવેલ સરકારી તેમજ ખાનગી જમીનમાં જે આસામીઓ જળાશયની નવી સપાટી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે. તે સમગ્ર લાગતા વળગતા આસામીઓને આ નોટિસથી જણાવવામાં આવે છે કે આવા દબાણો દૂર કરી અને તેઓના માલ-મિલ્કતને ખસેડી સલામત સ્થળે લઈ જવા તાત્કાલિક અસરથી કાર્યવાહી થવા મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા ચેતવણી આપવામાં આવેલ છે.

કમિશનરશ્રીએ વધુમાં જણાવતા કહેલું કે, આ ઉપરાંત જાહેર રસ્તાઓ તથા સીમતળના ગાડા માર્ગ વગેરેમાં પણ ત્યાં આગળ અસર થવા પામશે, જેને ધ્યાને લઇ જાહેર જનતાને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવે છે. નદીના નીચાણવાળા એરિયામાં પણ જયાં આગળ નદીના ભાગમાં ગેરકાયદેસર રીતે સ્થાયી તથા અસ્થાયી દબાણ કરેલ હોય અને વસવાટ કરેલ હોય તેવા આસામીઓ તાત્કાલિક અસરથી તેઓના ઢોરઢાંખર તથા માલમિલકત સાથે સલામત સ્થળે સ્થળાંતર કરે તેવી ચેતવણી આપવામાં આવે છે. જેથી દરવાજાઓમાંથી છોડનાર પાણીથી નુકસાન થવા ન પામે.

નોંધનીય છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના વાજડી વિરડા ગામ પાસે ન્યારી નદી ઉપર ન્યારી-1 પાણી પુરવઠા યોજના દરવાજા વાળી યોજના છેવર્ષ 2019 માં જુન 2019 થી ઓકટોબર 2019 ના ચોમાસા દરમ્યાન બંધમાં ગમે ત્યારે વરસાદ થતા પાણી આવશે, આથી બંધના ઉપરવાસના રાજકોટ તાલુકાના ગામો રામનગર, કણકોટ, કૃષ્ણનગર તથા લોધિકા તાલુકાના ગામો વાગુદડ, જશવંતપુરની દબાણમાં આવતી જમીનમાંથી માલમિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ દબાણ વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ ઢોર નહીં લઈ જવા જણાવવામાં આવે છે.

બંધમાં નિર્ધારિત લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવશે. નીચાણવાળા એરિયામાં નદીમાં ગમે ત્યારે પાણી આવે જેથી ડેમના હેઠવાસના રાજકોટ તાલુકાના ગામ વાજડી (વીરડા), વેજાગામ, વાજડી (ગઢ), તથા લોધિકા તાલુકાના વાજડી (વડ), હરીપર(પાળ) તથા પડધરી તાલુકાના ગામ ઈશ્વરયા, ખંભાળા, રોકડિયા, ન્યારા વગેરે ગામોના લોકોને નદી પટમાં અવરજવર નહીં કરવા તેમજ જાનમાલની સલામતી માટે સાવચેતીના તમામ પગલાં લેવા આથી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા જણાવવામાં આવેલ છે.

(3:32 pm IST)