Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ચોમાસામાં ડ્રેનેજની ફરિયાદનો નિકાલ કરવા તંત્ર સજ્જ : પાની

શહેરીજનોને પાણી ભરાવાની ફરિયાદ ફોન નં. ૨૪૫૦૦૭૭ તથા ઝોનની ડ્રેનેજની ઓફિસમાં નોંધાવવા મ્યુનિ. કમિશ્નરનો અનુરોધ

રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આગામી ચોમાસાને નજર સમક્ષ રાખી થોડા સમય પૂર્વે તૈયાર કરાવેલ પ્રિમોન્સૂન એકશન પ્લાન હેઠળ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને વરસાદ દરમ્યાન સ્ટોર્મ વોટરનો ઝડપભેર નિકાલ થતો રહે તે માટે ડ્રેનેજ મેનહોલ અને સ્ટોર્મ વોટર મેનહોલની સફાઈ કામગીરી શરૂ કરાવી હતી. જે ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં ઓલમોસ્ટ પૂર્ણ થઇ ચુકી છે. વિશેષમાં ચોમાસા દરમ્યાન પણ નાગરિકોને ડ્રેનેજ સંબંધી કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે કમિશનરશ્રીએ ડ્રેનેજની ફરિયાદોનો નિકાલ લાવવા માટે પણ ખાસ વ્યવસ્થા તંત્ર કાર્યરત્ત કરેલ છે.

નાગરિકો ડ્રેનેજ સંબંધી ફરિયાદો નોંધાવવા માટે સર્વપ્રથમ રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટર ( ફોન નંબર – ૨૪૫ ૦૦૭૭ ) અથવા પોતપોતાના ઝોનમાં આવતા ડ્રેનેજ ફરિયાદ સેન્ટર ખાતે તેમની ફરિયાદ નોંધાવી શકશે.

નાગરિકોની વિશેષ સુગમતા માટે ત્રણેય ઝોન હેઠળના દરેક વોર્ડના કોન્ટ્રાકટર, વોર્ડ એન્જિનિયર, તેમજ જે તે ઝોનના સિટી એન્જિનિયર અને ડેપ્યુટી કમિશનરના મોબાઈલ નંબર પણ જાહેર કરેલ છે. નાગરિકો તેમની ડ્રેનેજ સંબંધી ફરિયાદો નોંધાવ્યા બાદ જરૂર જણાયે વોર્ડ એન્જિનિયરને મોબાઈલ ફોન પર કોન્ટેકટ કરી રજૂઆત કરી શકશે. આનાથી પણ વિશેષ જરૂરિયાત પડે તો નાગરિકો સિટી એન્જિનિયરને અને ત્યારપછી પણ કોઈ પ્રશ્ન રહે તો ડેપ્યુટી કમિશનરને મોબાઈલ ફોન પર રજૂઆત કરી શકશે. પૂર્વ ઝોન (ઈસ્ટ ઝોન)ના સિટી એન્જિનિયર તરીકે કે.એસ.ગોહેલ (૯૬૨૪૭ ૧૮૨૩૬) અને ડેપ્યુટી કમિશનર તરીકે  ચેતન બી. ગણાત્રા (૯૭૧૪૫ ૦૩૭૦૩), મધ્ય ઝોન (સેન્ટ્રલ ઝોન)ના એડી. સિટી એન્જિનિયર તરીકે એમ.આર.કામલીયા (૯૭૧૪૫ ૦૩૭૦૯) અને ડેપ્યુટી કમિશનર તરીકે ચેતન કે. નંદાણી (૯૭૧૪૫ ૦૩૭૦૪) તથા પશ્ચિમ (વેસ્ટ) ઝોનના એડી. સિટી એન્જિનિયર તરીકે ભાવેશ જોશી (૯૭૧૪૫ ૦૩૭૦૬) અને ડેપ્યુટી કમિશનર તરીકે ડી.જે.જાડેજા (૯૪૦૯૭ ૦૦૧૨૩)નો સંપર્ક કરી શકાશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં ઉમેર્યું હતું.(૨૧.૨૯)

(3:53 pm IST)