Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી ન્યાયીક રીતે કરોઃ કોંગ્રેસ

પ્રમુખ મહેશ રાજપુતની આગેવાની હેઠળ કુલપતિને અપાયેલ વિસ્તૃત આવેદન

રાજકોટ : કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરીબેન દવેને આવેદન પાઠવતાં પ્રમુખ મહેશભાઇ રાજપુત, નરેશભાઇ સાગઠીયા, રાજુભાઇ આમરલીયા, પી.પી.શ્રી માળી સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરિયા)

 

રાજકોટ તા.૧૩: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા બાબતે આજે કોંગ્રેસે તંત્રતે ઢંઢોળીને ન્યાયીક પધ્ધતિથી શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોંગ્રેસ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કર્મચારીઓ નિવૃત થતા ખાલી જગ્યાઓ ઉપર કાયમી કર્મચારીઓ નિમવામાં આવતા નથી. રાજય સરકારે  મંજુર કરેલા મહેકમથી પણ વધુ કર્મચારીઓને ફિકસ પગારથી/ કોન્ટ્રાકટ પધ્ધતિથી નિમણૂંક આપવામાં આવે છે. રાજય સરકારના કાયદા મુજબ કોઇપણ ફીકસ પગાર પધ્ધતિથી કર્મચારી રાખવામાં આવે તો તે કર્મચારીને જાહેરાત આપી કોઇપણ પ્રકારની પસંદગીની પ્રકિયામાંથી પસાર કરવા જોઇએ. આ ઉપરાંત જે બેઠકો ભરવાની હોય તે બેઠકોમાં રાજય સરકારના અનામત ધોરણો લાગું પાડવા જોઇએ. એટલે કે ૧૦૦ કારકુનોને / અન્ય કર્મચારીઓને લેવામાં આવે તો તેમાં સરકારના નિયમોનુસાર અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ માટે અનામત ગણી અને નિમણૂંક કરવી જોઇએ. ત્યારબાદની બાકીની બેઠક પર નિમણૂંક કરી શકાય. હાલમાં યુનિવર્સિટીમાં લગભગ ૪૦૦ જેટલા કર્મચારી ફિકસ પગાર /કોન્ટ્રાકટ પધ્ધતિથી કાર્યરત છેે જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ એમ કોઇ ઉમેદવારોને તક આપવામાં આવી નથી. દેખીતી રીતે જ રાજય સરકારના તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કુલપતિએ અને સતામંડળના સભ્યોએ પોતાના મળતીયાઓને ખોટી રીતે લાભ અપાવ્યો છે. આમ સમાજના જરૂરીયાતવાળા લોકોને પોતાના અધિકાર મુજબની તક આપવામાં આવી નથી.

હાલમાં  યુનિવર્સિટીના કર્મચારીઓને કોઇ કંપની મારફતે લેવામાં આવ્યા હોય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા પણ રાજય સરકારના કાયદાઓનો ભંગ છે. પાછળના દરવાજેથી ભરતી કરી પોતાના અનુકુળ મળતીયાઓને સાચવવા માટેની ઉભી કરેલી વ્યવસ્થા છે.

આવેદનમાં જણાવેલ કે, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા વિષયમાં કરાર આધારીત વ્યાખ્યાતાઓ છે તેમને દર વર્ષે રીન્યુ કરી નાખે છે અને તેમાં કયાંક એસ.સી., ઓબીસીનો સમાવેશ થતો નથી. આ વર્ષે જુના રીન્યુ કેન્સલ કરી ફરી જાહેરાત આપીને કરાર આધારીત અધ્યાપકોની ભરતી કરવી જોઇએ.

ભારત સરકાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા બુધ્ધિપૂર્વક એ.સી., એસ.ટી., ઓબીસી અને મહિલા અને વિકલાંગને અનામતમાંથી દૂર કરવા માટે વિષયદીઠ અનામત રાખતા જે રોસ્ટર ક્રમાંક કયારેય પણ ફુલફીલ ન થતાં અનામત વર્ગના લોકોને નોકરીથી વંચીત રાખવાનું મોદી સરકારનું આ શડયંત્ર છે.

તાત્કાલીક અસરથી ખાલી રહેલી બેઠકો ઉપર નવેસરથી જાહેરાત આપીને કોન્ટ્રાકટ પધ્ધતિ / ફિકસ પગાર પધ્ધતિથી કર્મચારીઓને નિયુકત કરવામાં આવે જેથી કરીને અુનસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં તક ઉપલબ્ધ કરાવી શકાય.  અંતમાં તાત્કાલીક અસરથી પગલા ભરવામાં નહિ આવે તો આપની વિરૂધ્ધ આંદોલનના કાર્યક્રમ આપવાની ફરજ પડશે.  તેમ આવેદનપત્રના અંતમાં જણાવ્યું હતું.(૧.૨૩)

(3:49 pm IST)