Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રવિવારે મા ઉમા જયંતિ : ૧૮ કિ.મી. લાંબી શોભાયાત્રા

ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાઆરતી લોકસાહિત્ય ડાયરા સહિતના કાર્યક્રમો : વ્યસનમુકિત, પાણી બચાઓ સહિત ૧૫ ફલોટ, ૫૦૦ બુલેટ, બે હજાર બાઈક, કાર સાથે યુવાનો - સમાજના શ્રેષ્ઠીઓ જોડાશે : માતાજીના મુખ્ય રથને સુશોભિત કરાશે : પાટીદાર પરિવારોને વોર્ડવાઈઝ આમંત્રણ : પશુપતિનાથ મંદિરેથી શોભાયાત્રાનો થશે પ્રારંભ, કર્ણાવતી : પાર્ટી પ્લોટ ખાતે મહાઆરતી સાથે સમાપન : લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો કસુંબલ ડાયરો : ઉમિયા પરિવાર સંગઠન સમિતિ અને કલબ યુવીની ટીમમાં યુવાઓને જોડાવવા આહવાન

રાજકોટ, તા. ૧૩ : કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતિ નિમિતે આગામી તા.૧૭ના રવિવારે શ્રી ઉમિયા પદયાત્રિક પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમા જયંતિનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ શહેરમાં વ્હેલી સવારથી બપોર સુધીની ૧૮ કિ.મી. લાંબી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં ૫૦૦ બુલેટ, ૨૦૦૦ બાઈક સાથે યુવાનો અને કાર સાથે સમાજના શ્રેષ્ઠીઓ જોડાશે. સાંજે મહાઆરતી, તેમજ લોકસાહિત્ય અને લોકગીતોની રમઝટ બોલાવતો લોકડાયરા જેવા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમિયા પરીવાર સંગઠન સમિતિ અને કલબ યુવીના સથવારે વોર્ડવાઈઝ નિમંત્રણ પત્રિકાઓ પાટીદાર પરીવારોને વિતરણ કરવામાં આવી રહી છે.

કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જન્મજયંતિ ઉજવણી દર વર્ષે જેઠ સુદ ચોથના દિવસે થાય છે. આજથી વર્ષો પૂર્વે ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાજી મંદિર ખાતેથી અખંડ જયોત ઉમિયા માતાજી મંદિર સીદસર ખાતે લાવી પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યાંથી આ અખંડ જયોત પદયાત્રા દ્વારા સીદસરથી રાજકોટના શ્રી કોલોની ખાતે આવેલ પશુપતિનાથ મંદિરે બિરાજતા શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. ત્યારથી આ અખંડ જયોત પ્રજવલિત રહી છે. અત્રે નોંધનીય છે કે ઉમા જયંતિના પ્રસંગે પાટીદાર પરીવારોમાં પ્રસાદરૂપે ખીર અને રોટલી બને છે. માં ઉમિયાના વ્રત માટે પરિવારના સભ્યો ઉપવાસ કરી આ પ્રસાદી લે છે. આ અખંડ જયોતને માં ઉમિયાના દિવ્યરથ સાથે પ્રસ્થાપિત કરી માતાજીના જય જયકાર સાથે છેલ્લા ૧૯ વર્ષથી ઉમિયા પદયાત્રિક પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા શરૂ કરાઈ છે.

શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભૂત, ખજાનચી ભુપતભાઈ જીવાણી, મંત્રી ધર્મેન્દ્ર ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ટ્રસ્ટી કાન્તિભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયાના જણાવ્યા અનુસાર આગામી તા.૧૭ને રવિવારના રોજ યોજાનાર શ્રી ઉમિયા માતાજી તથા અખંડ જયોત સાથેની શોભાયાત્રાનો દિવ્ય દર્શનનો લાભ લેવા અપીલ કરાઈ છે. આ વર્ષે ૫૦૦ પાટીદાર યુવાનો બુલેટ સાથે તો ૨૦૦૦ જેટલા યુવાનો બાઈક સાથે તેમજ વડીલો સમાજ શ્રેષ્ઠીઓ કાર રેલી સ્વરૂપે શોભાયાત્રામાં જોડાશે. તા.૧૭ને રવિવારના રોજ સવારે ૭:૩૦ કલાકે શ્રી પશુપતિનાથ મંદિર શ્રી કોલોની ખાતેથી પ્રસ્થાન કરશે.

ઉમિયા માતાજીના જાજરમાન રથ સાથેની આ શોભાયાત્રામાં વિવિધ સામાજીક સંસ્થાઓના ફલોટ્સનું પણ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન સામાજીક સંદેશા આપતા ફલોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉમાજયંતિની શોભાયાત્રા સવારે ૭:૩૦ કલાકે પશુપતિનાથના મંદિરથી પ્રારંભ થઈ, ૭:૪૦ લક્ષ્મીનગર, ૭:૫૦ આનંદ બંગલા ચોક, ૮ કલાકે સ્વામીનારાયણ ચોક, ૮:૧૫ ગુરૂ પ્રસાદ, ૮:૩૦ ગોકુલધામ, ૮:૪૦ કલાકે દ્વારકાધીશ, ૮:૫૦ જલજીત, ૯ ઉમિયાજી ચોક, ૯:૧૦ મવડી ચોકડી, ૯:૩૦ બાલાજી હોલ, ૯:૩૫ નાનામૌવા સર્કલ, ૯:૪૫ કે.કે.વી. ચોક, ૯:૫૦ કલાકે ઈન્દીરા સર્કલ, ૧૦ કોહીનૂર એપા., ૧૦:૦૫ રવિરત્ન પાર્ક, ૧૦:૨૦ પટેલ કન્યા છાત્રાલય, ૧૦:૩૦ ધોળકીયા સ્કુલ, ૧૦:૪૦ સાધુ વાસવાણી રોડ, ૧૦:૫૦ જનકપુરી મંદિર, ૧૧ યોગેશ્વર પાર્ક, ૧૧:૧૫ આલાપ એવન્યુ, ૧૧:૩૦ કલાકે ચિત્રકૂટ મહાદેવ, ૧૧:૪૫ રાણી ટાવર, ૧૧:૫૫ પરિમલ સ્કુલ, ૧૨:૦૫ સત્ય સાંઈ હોસ્પિટલ, ૧૨ કલાકે આલાપ હેરીટેઝ, પ્રદ્યુમન પાર્ક, ૧૨:૧૫ સૌરભ બંગ્લોઝ, ૧૨:૩૦ આલાપ ટ્વીન ટાવર, ૧૨:૪૦ અલય પાર્ક, ૧૨:૫૦ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, ૧ શ્યામલ સ્કાય લાઈફ, ૧:૧૫ કલાકે શ્યામેશ્વર મહાદેવ મંદિર, ૧:૩૦ કલાકે કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આરતી સાથે સમાપન કરાશે.

ઉમિયા પદયાત્રિક પરીવાર દ્વારા ઉમા જયંતિ નિમિતે કર્ણાવતી પાર્ટી પ્લોટ કાલાવડ રોડ ખાતે મહા આરતી તેમજ પ્રખ્યાત લોક સાહિત્યકાર અને લોકગીતોની રમઝટ બોલાવતા કલાકાર રાજભા ગઢવીનો લોક સાહિત્યનો કસુંબલ ડાયરો યોજાશે. ઉમા જયંતિ નિમિતે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સિદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ઉદ્દઘાટક તરીકે ગુજરાત રાજય બિન અનામત આયોગના ચેરમેન બાબુભાઈ ઘોડાસરા, અતિથિ વિશેષ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરીયા, વલ્લભભાઈ વડાલીયા, ઉમિયા માતાજી મંદિર સીદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, અરવિંદભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, શિવલાલભાઈ આદ્રોજા, જે.ડી. કાલરીયા, મૌલેશભાઈ ઉકાણી, ઉમિયા માતાજી મંદિર સિદસરના મંત્રી જયેશભાઈ પટેલ, મુળજીભાઈ ભીમાણી, જેન્તીભાઈ કાલરીયા ઉપસ્થિત રહેશે. ઉમિયા પદયાત્રિક પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૦ વર્ષથી ભાદરવા સુદ પૂનમે રાજકોટથી સીદસર સુધીની પદયાત્રા યોજે છે. જેમાં હજારો પદયાત્રિકો જોડાય છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૫થી વધુ રકતદાન શિબિરો યોજી આર્થિક રીતે જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રકત આપવામાં મદદરૂપ થાય છે. ત્યારે ઉમા જયંતિના કાર્યક્રમ દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.

ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા એક વર્ષમાં ૨૫ રકતદાન કેમ્પના કાર્યક્રમ યોજેલ છે.

શોભાયાત્રાને સફળ બનાવવા માટે સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ બરોચીયા, મંત્રી પિનલભાઈ ટીલવા, સહમંત્રી કનકભાઈ મેંદપરા, ખજાનચી નિરજભાઈ મણવર, વિશાલ બોડા, મોહનભાઈ ફળદુ, ભરતભાઈ દેત્રોજા, પ્રવિણભાઈ સંતોકી, પ્રવિણભાઈ કગથરા, નિલેશભાઈ હિંશુ, દિપકભાઈ ભૂત, ફર્નાન્ડીઝ પાડલીયા, અર્જુન બરોચીયા, મયુરભાઈ ડેડકીયા, અશ્વિન ભાડોલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગેની વધુ વિગતો માટે રાજુભાઈ ત્રાંબડીયાનો મો. ૯૪૨૬૪ ૫૯૫૦૦ ઉપર સંપર્ક કરવો.

ઉપરોકત તસ્વીરમાં ઉમિયા પદયાત્રિક પરીવાર ચેરીટેબલટ્રસ્ટના આગેવાનો સર્વેશ્રી પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભૂત, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ટ્રસ્ટી રાજુભાઈ ત્રાંબડીયા, કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, સુરેશભાઈ ઓગણજા, ઉમિયા પરીવાર સંગઠન સમિતિના કન્વીનર કાંતિભાઈ ઘેટીયા, મહામંત્રી પ્રફુલભાઈ કાથરોટીયા તથા મીડીયા ઈન્ચાર્જ રજનીભાઈ ગોલ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:42 pm IST)