Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ચેક રિટર્ન કેસમાં ફયુઝન ઇન્ડસ્ટ્રીઝના માલીકને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૩: રાજકોટની ફયુઝન ઇન્ડસ્ટ્રીઝના માલીકને ધંધાકીય હેતુ માટે આપેલા નાણાં પરત ન આપતા થયેલ ચેક રીટર્નની ફરીયાદમાં ૧ વર્ષની સજા આરોપીને કોર્ટે ફરમાવી હતી.

સદર બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી નરેન્દ્રભાઇ ડુંગરભાઇ ઝાલાવડીયા (શીવભોલે એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર) એ રાજકોટની ફયુઝન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર ડેરેનભાઇ શૈલેશભાઇ ગોહેલ ને ધંધાકીય હેતુ માટે નાણાંની જરૃરીયાત હોય રૃા. ૬,૦૦,૦૦૦/- અંકે રૃપિયા છ લાખ પુરા ચેકથી આપેલા. અને જે રકમ ફરીયાદી નરેન્દ્રભાઇ ડુંગરભાઇ ઝાલાવડીયાએ આપતી વખતે આરોપી ડેરેનભાઇ શૈલેશભાઇ ગોહેલે એવી ખાતરી આપેલી કે આ રકમ નિયત સમયમાં હું આપી દઇશ. જેથી ફરીયાદી નરેન્દ્રભાઇ ડુંગરભાઇ ઝાલાવડીયાએ જયારે રકમ પરત માંગતા આરોપી ડેરેનભાઇ શૈલેષભાઇ ગોહેલે ફરીયાદીને લેણી રકમ રૃા. ૬,૦૦,૦૦૦/- અંકે રૃપિયા છ લાખ પુરાનો ચેક આપેલો અને જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ પોતાના એડવોકેટ શ્રી રક્ષિતભાઇ કલોલા મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં આરોપીએ રકમ પરત ન ચુકવતા ફરીયાદીએ રાજકોટની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલી.

આ કામમાં કોર્ટ દ્વારા આરોપી ને સમન્સ ઇસ્યુ કરેલ અને જે સમન્સ ધોરણસર રીતે આરોપીને બજી ગયેલ અને નામદાર કોર્ટ દ્વારા આરોપીની પ્લી લીધેલ ત્યારબાદ આ કામના આરોપીએ તેમના વકીલ મારફતે કેસ ચલાવેલ જેમાં તેમના વકીલ મારફતે અમો ફરીયાદીની ઉલટતપાસ લેવામાં આવેલ પરંતુ આરોપી પોતાનો બચાવ સાબીત કરી શકેલ નહીં. ત્યારબાદ આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવેલ અને તયારબાદ અમો ફરીયાદીના એડવોકેટની મુખ્યત્વે દલીલ એવી રહી હતી કે આ કામના આરોપીને ફરીયાદીએ ચેકથી રૃપીયા આપેલા હતા અને આરોપીએ જે વાતનો સ્વીકાર કરેલ છે. આમ આરોપી પોતે સ્વીકાર કરે છે કે અમારૃં લેણું કાયદેસરનું છે તે રેકર્ડ ઉપર આવેલ છે. જે નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલ અને ત્યારબાદ ગત તા. ૦૪/૦પ/ર૦રર ના રોજ નામદાર કોર્ટ દ્વારા આખરી હુકમ આપવામાં આવેલો જેમાં આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ અને આરોપી ડેરેનભાઇ શૈલેષભાઇ ગોહેલ ને ૧ વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ અને ફરીયાદી નરેન્દ્રભાઇ ડુંગરભાઇ ઝાલાવડીયાને ચેક મુજબની રકમ રૃા. ૬,૦૦,૦૦૦/- અંકે રૃપિયા છ લાખ પુરા વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલો અને જો આ વળતરની રકમ ફરીયાદીને હુકમની તારીખથી એક માસની અંદર પરત ન ચુકવે તો વધુ ૧ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદી નરેન્દ્રભાઇ ડુંગરભાઇ ઝાલાવડીયા તરફથી રાજકોટના એડવોકેટ રક્ષિત વી. કલોલા, રાહુલ બી. મકવાણા, અશ્વિન ડી. પાડલીયા, રવિરાજ રાઠોડ, ભાર્ગવ બોડા રોકાયેલા હતા.

(3:28 pm IST)