Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નવા થોરાળા કસ્તુરબાવાસમાં થયેલ હત્યાના કેસમાં આરોપીની વચગાળાની જામીન અરજી રદ

આરોપી સામે ખુનનો ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહિં

રાજકોટ તા. ૧૩: અહીંના નવા થોરાળામાં આવેલ કસ્તુરબા વાલ્મીકીવાસ રામાપીરના મંદિર સામે મહેશ ડાયાભાઇ ચૌહાણની ધોકા-પાઇપ-તલવાર વડે હત્યા કરવાના ગુનામાં પકડાયેલ  અને જેલહવાલે થયેલ અને અહીંના નવા થોરાળા વાલ્મીકીનગરમાં રહેતા આરોપી અજય અશોકભાઇ નારોલાએ ૬૦ દિવસ માટે વચગાળાના જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી યુ. ટી. દેસાઇએ રદ કરી હતી.

આ બનાવ અંગે મરનારના પત્નિ કાજલબેન મહેશભાઇ ચૌહાણે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીમાં દિયર આરોપીની પત્નિ સાથે આડાસંબંધ હોય જેનો ખાર રાખીને તા. ૧૦-૬-૧૭નાં રોજ ધોકા, પાઇપ તલવાર વડે હુમલો કરીને હત્યા કરી હતી.

આ ગુનામાં આરોપી જેલહવાલે હોય માતા-પિતાની સારવારનું કારણ બતાવી ૬૦ દિવસ માટે વચગાળાનાં જામીન પર છુટવા અરજી કરી હતી.આ અરજીના વિરોધમાં સરકારી વકીલ મુકેશ પીપળીયાએ રજુઆત કરેલ કે, ખુન જેવો ગંભીર ગુનો છે, નજરે જોનાર સાહેદ છે. કેસ દલીલના તબકકે છે ત્યારે આરોપીને વચગાળાના જામીન પર છોડી શકાય નહિં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને મુખ્ય સેસન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ આરોપીની વચગાળાની ૬૦ દિવસ માટે જામીન પર છુટવાની અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મુકેશ જી. પીપળીયા રોકાયા હતાં.

(3:02 pm IST)