Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સમગ્ર દેશમાં ૨૦ લાખ કરોડના પેકેજથી એક નવો સંચાર આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ જાહેર કરેલ છે, જેને ચરિતાર્થ કરવા સૌ સંકલ્પ કરીએ : બિનાબેન, અશ્વિનભાઇ, ઉદયભાઇ, દલસુખભાઇ તથા અજય પરમાર

રાજકોટ તા. ૧૩ : સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ભારત દેશમાં પણ કોરોના મહામારીને મહાત કરવા સમગ્ર દેશમાં ત્રણ વખત લોકડાઉન અપાવામાં આવેલ છે. તેમજ કોરોના અંતર્ગત અનેક નિર્ણયો પણ કરવામાં આવેલ છે. ગઈકાલે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરેલ છે, જેને આવકારવામાં આવે છે. આ પેકેજથી કુટીર ઉદ્યોગ, ગૃહઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કિસાન, શ્રમિકો તેમજ જુદા જુદા અનેક ફેકટરને આવરી લેવામાં આવશે. આ નિર્ણયથી દેશમાં એક નવો સંચાર આવશે. તેમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમાર એક સયુંકત યાદીમાં જણાવ્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ભારત ભૂમિ અને ભારતમાં વસતા લોકો વિશ્વ કલ્યાણની ભાવના ધરાવે છે. દેશવાસીઓ સંકલ્પ કરે તેને પૂર્ણ કરવા કટીબદ્ઘ છે. આ મહામારીના અનુસંધાને આત્મનિર્ભર ભારત અભિયાનનો મંત્ર આપેલ છે. તેમજ દેશમાં લોકલ સે વોકલ બનશું અને આ માટે લોકલ વસ્તુનો ઉપયોગ કરશું અને એનો પ્રચાર-પ્રસાર કરશું. કોરોના મહામારીના કારણે જે વસ્તુનો ભારતમાં ઉત્પાદન ન થતું તેવી વસ્તુ જેમકે, એન-૯૫ માસ્ક અને પી.પી.ઈ.કીટનું ઉત્પાદન હવે ભારતમાં કરવામાં આવી રહ્યું છે. આજ બતાવે છે કે, ભારત પુરતી તાકાત ધરાવે છે. કોરોનાની આપદાને અવસરમાં બદલેલ છે.નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ જાહેર કરેલ છે. જેને ચરિતાર્થ કરવા આપણે સૌ સંકલ્પ કરીએ અને ૨૧મી સદીમાં વિશ્વમાં ભારતનું એક આગવું સ્થાન હશે જ, તેમ અંતમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવેલ.

(2:58 pm IST)