Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મહામારીમાં મ.ન.પા.એ ધંધો શરૂ કર્યોઃ અમૃત ઘાયલ હોલમાં શરૂ થનાર હોસ્પીટલમાં વિનામૂલ્યે સારવાર થવી જોઈએઃ કોંગ્રેસ

પ્રજાના પૈસે નિર્માણ થયેલ હોલમાં હોસ્પીટલ બનાવી મળતિયાઓને સંચાલન સોંપી દેવુ અમાનવિયઃ પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાના આક્ષેપો

રાજકોટ, તા. ૧૩ :. શહેરમાં કોરોના કેસ અનહદ વધી રહ્યા છે. હોસ્પીટલોમાં બેડ ખૂટી પડયા છે ત્યારે મ.ન.પા.એ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કામચલાઉ હોસ્પીટલ ઉભી કરી તેનુ સંચાલન ખાનગી કોવિડ હોસ્પીટલને સુપ્રત કરવા નિર્ણય લીધો છે તે અમાનવિય હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ કર્યો છે.

આ અંગે ડો. વસાવડાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે રાજકોટ મ્યુ. કોર્પોરેશને હાલની મહામારીમાં લાચાર જનતાને લૂંટવા મહામેળો ચાલુ કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશન પ્રજાને સવલત આપી શકી નથી ત્યારે આ નિર્ણયથી ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ વધુ મુશ્કેલીમાં મુકાશે.

કેમ કે કોર્પોરેશનના કોમ્યુનીટી હોલ 'અમૃત ઘાયલ' મળતીયાઓને આપી દર્દીઓને રોજના સાત હજારથી સાડા નવ હજાર રૂપિયા ચૂકવવા મજબુર કરી રહી છે અને મળતીયાઓને સરકારી માધ્યમના ઉપયોગ દ્વારા લાખો રૂપિયા કમાવાની તક આપી રહી છે. એવુ સાંભળવામાં આવ્યુ છે કે ડોકટરોને કમાવાની તક આપ્યા બાદ કોર્પોરેશન પણ લાચાર દર્દીઓ પાસેથી મહિને ૪૫ લાખ (પીસ્તાલીસ લાખ) વસુલવાની છે ત્યારે અમારી માંગણી છે કે અમૃત ઘાયલ હોલમાં કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર દર્દીઓની સારવાર કરવામાં આવે તે હાલની પરિસ્થિતિમાં માનવતા ભર્યુ કાર્ય કહેવાશે.

(3:45 pm IST)