Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રૂ. દોઢ લાખની લાંચના કેસમાં મોરબી નગરપાલિકાના સુપરવાઇઝરનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૧૩ :.. રૂ. દોઢ લાખની લાંચ કેસમાં પકડાયેલા મોરબી નગરપાલીકાના સુપરવાઇઝર હરેશ લાલુભાઇ પટેલ સામેનો કેસ ચાલી જતાં મોરબીનાં સ્પે. જજ શ્રી ઘોઘારી મેડમે  આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે આ કામમાં ફરીયાદી બાબુભાઇ ધરમશીભાઇ મેરજાએ પોતે મોરબી મુકામે સમાજ સેવા કેન્દ્રનાં ટ્રસ્ટી છે અને રવાપર રોડ ઉપર ખુલ્લી ગટર ઉપર છત ભરવા માટે લોકફાળાથી તથા સરકારશ્રીની મદદથી છત ભરવાનું કામ નકકી કરેલ હતું. તે અંગે નગરપાલીકામાં વર્કઓર્ડર લેવા માટે ચીફ ઓફીસર તથા સુપરવાઇઝરને મળતા તેઓએ રૂ. પ,૦૦,૦૦૦ ની માંગણી કરેલ હતી. તે પૈકી રૂ. ૩,૦૦,૦૦૦ પહેલા અને રૂ. ર,૦૦,૦૦૦ વર્ક ઓર્ડરની મંજૂરી મળી ગયા બાદ આપવાના તેવુ નકકી થતાં તે અંગે એ. સી. બી.ને જાણ કરતા છટકૂ ગોઠવવામાં આવેલ હતું.

બચાવ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવેલ હતી કે, હાલના ફરીયાદી અમદાવાદ ફરીયાદ કરવા ગયેલ ન હતાં. ફરીયાદ કરવા માટે તેમના ભાઇ ગયેલ હતાં. એ. સી. બી.ના અધિકારીના જણાવ્યા મુજબ તેઓને ફરીયાદી સાથે વાતચીત થયેલી અને તેના અનુસંધાને તેઓ હાલની રેડ કરવા આવેલ હતાં.  અમદાવાદના અધિકારી લીંબડીથી પંચો લઇ મોરબી મુકામે ટ્રેપ કરવા આવેલા હતા તે હકિકત જ ટ્રેપ અંગે શંકા ઉપજાવનારી હતી.

વધુમાં બચાવ પક્ષે એવી પણ રજૂઆત કરેલ કે વોંકળાની માલીકી સરકારશ્રીની હતી માટે તેનો વર્ક ઓર્ડર આપવાની નગર પાલીકામાં કોઇ અધિકારીને સત્તા ન હતી અને તેના માટેની તમામ કાર્યવાહીઓ કલેકટર કચેરીમાં કરવાની હોય છે. આરોપીએ કોઇ રકમ માંગેલ નથી કે સ્વિકારયેલ નથી કે તેના કબ્જામાંથી કોઇ રકમ રીકવર કરવામાં આવેલ નથી. કોઇ અગમ્ય કારણોસર ખોટી ટ્રેપનો ભોગ હાલના આરોપી બનેલ છે. ચીફ ઓફીસર સામે કોઇ કાર્યવાહી થયેલ નથી. 

ઉપરોકત તમામ દલીલોને લક્ષમાં લઇ મોરબીના સ્પે. જજ શ્રી રીઝવાના એ. ઘોઘારી મેડમે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કામમાં બચાવ પક્ષે ધારાશાસ્ત્રી શ્રી નિરંજનભાઇ એસ. દફતરી, ભાવીન એન. દફતરી, દિનેશભાઇ રાવલ, નેહાબેન બી. દફતરી, નુપુરબેન પી. દફતરી, મુકેશભાઇ કેશરીયા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા તથા મેઘાવીબેન ગજ્જર અને વિધીબેન ગોંડલીયા રોકાયેલ હતાં. (પ-પ)

(11:44 am IST)