Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કોરોના કાળમાં ઈમ્યુનિટી માટે વિટામીન - ડી અમૃત તૂલ્ય

વિટામીન ડી જેને ઘટે છે તેઓ માટે અચૂક વાંચવા જેવું : માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે ૪ મહિનાનું વિટામીન ડી વિનામૂલ્યે મેળવો : ભારત અને યુરોપિયન દેશો વચ્ચે કોરોનાના સ્વરૂપના તફાવતનું કારણ સૂર્યદેવ જ છે

હિન્દુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણી સાથે કોઈને કોઈ વૈજ્ઞાનિક અભિગમ હોય જ છે. આજે આપણે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે થતા હેલ્થ બેનીફીટ વિશે જાણીશુ.

વિટામીન ડી ની ઉણપ લગભગ ૮૦% લોકોને હોય છે તો આજે હું તમને એવી વાત જણાવીશ કે તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ હોય તો ખૂબ સરસ પરિણામ આપશે.

આપણે સૌ જાણીએ છીએ કે વિટામીન ડી આપણા શરીરમાં સૂર્ય પ્રકાશની મદદથી જ બને છે.

વિટામીન ડી ઓસ્ટીઓપોરોસીસ (અસ્થીભંજકતા), હતાશા (ડીપ્રેશન), પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે સામે રક્ષણ આપે છે. એટલુ જ નહિં ડાયાબીટીસ અને વધુ પડતા વજનમાં પણ મદદગાર થાય છે.

પોષક તત્વોમાં કદાચ વિટામીન ડી જ એક માત્ર એવુ પોષક તત્વ છે જેના પર જરૂરી ભાર મૂકવામાં આવ્યો નથી. એનું કારણ કદાચ એ મફત જ મળે છે તે હશે. જો કે અત્યારના સંજોગોમાં હર કોઈ કોરોના દર્દીને વિટામીન ડીની ગોળી અચૂક અપાય છે.

આપણી ત્વચાનો જયારે સૂર્યપ્રકાશ સાથે સંપર્ક થાય છે ત્યારે શરીર એ બનાવે છે. દવાની કંપનીઓ તમને સૂર્યપ્રકાશ વેચી તો ન શકે. આથી જ તો એનાથી થતા ફાયદાઓની જાહેરાત કોણ કરે ! ખરેખર મોટાભાગના લોકો વિટામીન ડીના સ્વાસ્થ્ય લાભ અંગે ખરી હકીકત જાણતા નથી.

આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણના દિવસે સૂર્યનો મકર રાશીમાં પ્રવેશ થાય છે. મતલબ કે સૂર્યનું પૃથ્વીની સામે ઉત્તર તરફનું પ્રયાણ થતુ હોય છે.

આ દિવસે સૂર્યના કિરણે આપણે આખો દિવસ શરીર પર લઈ શકીએ એટલા માટે અગાસી પર કે ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવા જતા હોઈએ છીએ. (જો આપ પતંગ ના ચગાવો તો પણ ખુલ્લા મેદાનમાં અથવા અગાસીએ જયાં સૌથી વધુ સૂર્યપ્રકાશ મળે ત્યાં રહેવુ જોઈએ.)

આ દિવસ દરમિયાન આપણે તલના લાડુ, તલની ચીકી, તલનું કચરીયું, શેરડી અને ચણા જેવો ખોરાક ખાસ લેવો જોઈએ. (ઉંધીયુ ખાઈને તમે તમારા શરીરને બગાડવા કરતા એક દિવસ આવુ ચટાકા પટાકાવાળુ ખાવાનું બંધ રાખવું.)

સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામીન ડી તો બનશે જ પણ એ માટે શરીરમાં જો કેલ્શીયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય તો પુષ્કળ માત્રામાં બનશે. આ માટે જ તલને ઉત્તરાયણના દિવસે ખાવા જોઈએ. કારણ કે ૧૦૦ ગ્રામ તલમાં ૯૭૫ મી.ગ્રા. કેલ્શીયમ હોય છે. (જે તમારી રોજના કેલ્શીયમની જરૂરીયાતના ૯૮% થાય છે.) આ ઉપરાંત મેગ્નેશિયમ ૩૫૧ મી.ગ્રા. (શરીરને રોજની જરૂરીયાના ૯૯%) ફોસ્ફરસ ૬૨૯ મી.ગ્રા. (શરીરને રોજની જરૂરીયાતના ૯૦%), લોહતત્વ ૧૪.૬ મી.ગ્રા. (શરીરની રોજની જરૂરીયાતના ૧૧૨%) હોય છે. આ ઉપરાંત બીજા બધા વિટામીન્સ અને ઝીંક, પોટેશીયમ જેવા મિનરલ્સ તો ખરા જ.

એક સલાહ એ છે કે આપ આ દિવસે તલમાંથી બનાવેલી વાનગીઓ જ આરોગજો. એમાં પણ ગોળમાં બનાવેલી હોય તો સૌથી ઉત્તમ કારણ કે ગોળમાં પણ મેગ્નેશિયમ, લોહ તત્વ, મેગ્નેશીયમ, પ્રોટીન, સુક્રોઝ અને બીજા ફાયદાકારક વિટામીન્સ હોય છે.

કેલ્શીયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને લોહતત્વથી ભરપૂર ખોરાક લઈને સાથે મફતમાં મળતુ 'વિટામીન ડી' કમ સે કમ થોડા મહિના તો ચાલશે જ.

નોંધ : સૂર્યપ્રકાશમાંથી વિટામીન ડી ભરપૂર માત્રામાં મળી રહે છે. પરંતુ સવાર કરતા બપોરના સૂર્યપ્રકાશમાં વધુ મળી રહે છે.

ટૂંકમાં કહું તો તડકામાં આપણો જેટલો પડછાયો લાંબો એટલુ વિટામીન ડી ઓછુ. જેટલો પડછાયો ટૂંકો એટલુ વિટામીન ડી વધુ. કમસે કમ જયારે તડકે જવાનુ થાય ત્યારે વધુમાં વધુ સૂર્યપ્રકાશ શરીરને મળે એવા કપડા પહેરવા.

વિશેષ નોંધ : જો તમે આખા વર્ષના ૩ દિવસ આવો ખોરાક લઈને તડકામાં રહેશો તો સંભવતઃ આખા વર્ષનું વિટામીન ડી તમારા શરીરમાં જમા થઈ જશે, કારણ કે શરીર વિટામીન ડી સ્ટોર કરી રાખે છે અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે છે.

ડો.નિલેશ નિમાવત

એમ.એસ. સર્જન, રાજકોટ.

મો.૯૨૬૫૧ ૮૨૮૨૪

(3:58 pm IST)