Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વારસાઇ આંબો / પેઢીનામુ કઢાવવા અંગેની સંપૂર્ણ વિગતો જાણો

જાહેર જનતા ઉપયોગી માહિતી ફોર્મેટ : રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ અહિંયા લગાવવી

કોરોના કાળ વિત્યા પછી ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તેમની મિલ્કતની વારસદારોમાં મિલ્કતની વહેંચણી માટે 'વારસાઈ આંબો' યાને કે મામલતદાર કચેરીમાંથી કઢાવવાનું થતું 'પેઢીનામું' એક ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે. હાલમાં પેઢીનામું કઢાવવા માટે માર્ગદર્શનની ઘરેઘરની જરૂરીયાત ઉભી થયેલી છે. તેવા સમયે વકીલની મદદ વગર વકીલની ફી ચુકવ્યા વગર જ કઈ રીતે જાતે જ પેઢીનામું કઢાવી શકાય છે તે બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન ફોર્મ / સોગંદનામાનો નમુનો તથા અરજી સાથે બીડવાનાં થતાં તમામ દસ્તાવેજી પુરાવાઓનું લીસ્ટ અત્રે ઉપલબ્ધ છે. અત્રે રજુ કરેલા ફોર્મેટ / સોગંદનામુ તથા તેમની સાથેનાં બીડાણનો અભ્યાસ કરી સંપૂર્ણ વિગતો સાથે નજીકની મામલતદાર કચેરીમાં રજુ કરવાથી આપને ૧૦ થી ૧૫ દિવસમાં વારસાઈ આંબો મળી જાય છે.

અરજી સાથે બીડવાનાં જરૂરી ડોકયુમેન્ટની યાદી

(૧) કોઈપણ એક સીધી લીટીના વારસદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા આધારકાર્ડ તથા રેશનકાર્ડની નકલ, (ર) સીધી લીટીના વારસદારોનાં નામ / સરનામા / ઉંમર / વ્યવસાય તથા આધારકાર્ડની નકલ તથા રેશનકાર્ડની નકલ. (૩) જો વારસદાર મૃત્યુ પામેલ હોય તો તેનો મરણ દાખલો. (૪) જે મિલ્કતનો આંબો કરવાનો હોય તે મિલ્કતનો દસ્તાવેજ / મિલ્કતના આધાર. (દા.ત. ખેતીની જમીન માટે આંબો જરૂરી હોય તો ૭-૧૨, ૮અ તેમજ જો બેંકના કામ માટે આંબો જરૂરી હોય તો બેંકની પાસબુક સાથે લાવવી) (૫) બે પંચોના આધારકાર્ડની નકલ. (૬) અત્રે રજુ રાખેલ ફોર્મેટ મુજબનું નોટરાઈઝડ સોગંદનામું.

નોંધઃ- આ સાથે સામેલ 'ફોર્મેટ' સંપૂર્ણ રીતે ભરીને ઉપરોકત પેપર સામેલ રાખવાથી વારસાઈ આંબાની અરજી તૈયાર થઈ જશે. જે નજીકની ગ્રામ પંચાયત અથવા મામલતદાર કચેરીમાં રજુ કરવી.

અરજી ફોર્મ

                                                અરજદારનું નામ....

                                                મોબાઇલનંબર.....

                                                સરનામું......

                                                તા.......

પ્રતિશ્રી,

તલાટીમંત્રીશ્રી,

મામલતદાર કચેરી,

તા....જી....

વિષય વારસાઇ આંબો/ પેઢીનામું કાઢી આપવા બાબત

હેતુઃ...............................................

જય ભારત સાથ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, અમો અરજદારને ઉપરોકત હેતુ માટે વારસાઈ આંબાની જરૂર હોય વારસાઈ આંબો કાઢી આપવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. મેં અરજી સાથે જરૂરી એવા તમામ દસ્તાવેજી પુરાવાઓની ખરી નકલ આ સાથે સામેલ કરેલી છે.

સ્થળ.......

તારીખ......

                                                         અરજદારની સહી....

અરજી સાથે જોડવાના થતા કાગળો 

(૧) રૂ.૫૦ના ઈ-સ્ટેમ્પીંગ પર કોઈપણ એક સીધી લીટીના વારસદારનું ફોટાવાળું સોગંદનામું. (ર) સોગંદનામું કરનારનો ફોટો આઈ.ડી. પ્રુફની નકલ. (૩) બધા જ વારસદારોની રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ તથા આઈ.ડી. પ્રુફની નકલ. (૪) જે હેતુ માટે આંબો જરૂરી હોય તેના આધારો જોડવા. (૫) જે વારસદાર મૃત્યુ પામેલ હોય તેના મરણ દાખલા. (૬) પંચોના આઈ.ડી. પ્રુફની નકલ. -

સોગંદનામામાં ફરજીયાત ઉલ્લેખ કરાવવાની થતી બાબતો

(૧) મૃત્યુ પામેલ બધા જ વારસદારોનો ફરજીયાત ઉલ્લેખ કરવો. (ર) તમામ સીધી લીટીના વારસદારના નામો દર્શાવવા ફરજીયાત ઉંમર અને સંબંધ સાથે.  (૩) ખેતીના કામ માટે આંબો જોઈતો હોય તો લગત જમીનની સંપૂર્ણ વિગતો લખવી. (૪) બેંકના કામ માટે બેંક અંગે ઉલ્લેખ કરવો તથા બેંકનો કાગળ લેવો. (૫) હેતુ ફરજીયાત દર્શાવવો. (દા.ત. મિલ્કતની વહેંચણી / રેવન્યુ એન્ટ્રી / પ્રોબેટ / હેરશીપ)  (૬) સોગંદનામું ફોટાવાળું હોવું ફરજીયાત. (૭) આ સિવાય કોઈ વારસદારો રહી જતા નથી કે ખોટા ઉમેરાયેલ નથી એ વાકય ફરજીયાત દર્શાવવું.

નોટરાઇઝડ- સોગંદનામું

 (સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે) રૂ. ૫૦ ના ઈ-સ્ટેમ્પીંગ પર)

આથી અમો સહી કરનાર ..................  ઉ.વ.આ. ....... ધર્મે ........ ધંધો ......... રહે. ...............  તે અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે,

અમો ઉપરના સરનામે રહીએ છીએ, અમારા પિતા / માતા / પતિ / પત્નીનું તા. ..................... ના રોજ અવસાન થયેલ છે મહુંમની માલિકીની / કબજા ભોગવટાની સ્થાવર મિલ્કત નીચે મુજબ છે.

અમો તેઓના કાયદેસરના નીચે મુજબના વારસદારો છીએ.

અ.નં.          નામ      ઉ.વ.    સંબંધ          રહેવાસી

૧.

ર.

૩.

આમ અમો ઉપર મુજબના ..........  મરનારના કાયદેસરના  વારસદારો છીએ. જેમાં પરિણિત / અપરિણિત દિકરીઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેની અમો  ખાત્રી આપીએ છીએ. આ સિવાય કોઈ વારસદારો રહી જતા નથી કે અન્ય કોઈ છુપા વારસદાર નથી કે ખોટા ઉમેરાયેલ નથી. તે સોગંદ ઉપર જાહેર કરીએ છીએ.

આ સોગંદનામામાં જણાવેલ હકીકત ખરી અને સત્ય છે. જો કોઈપણ હકીકત ખોટી જણાય તો તે માટે હું જવાબદાર થઈશ. ખોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુન્હો બને છે. તે હુ જાણું છું.

સ્થળ ઃ

તારીખઃ

ઓળખ આપનાર

                                                   સહી.........

                                                   રૂબરૂ

                                                   નોટરી

 (એડવોકેટશ્રીનું નામ/સહી અને સરનામું)

  વારસાઈ આંબો હયાત વ્યકિત અથવા અવસાન પામેલ વ્યકિતનો પણ કઢાવી શકાય છે. હાલમાં સ્થાવર તથા જંગમ મિલ્કત માટે સરકારી કચેરીઓ જેવી કે બેન્ક, આર.ટી.ઓ., મામલતદાર કચેરી, કોર્ટ, વેચાણ દસ્તાવેજ, સબ રજીસ્ટ્રાર કચેરી, તાલુકા-જીલ્લા પંચાયત કચેરી, ટ્રેઝરી ઓફીસ, પેન્શન કચેરી, કલેકટર કચેરી, ગ્રામ પંચાયત કચેરી જેવી વિવિધ સરકારી - અર્ધ સરકારી કચેરીઓમાં વારસાઈ આંબો રજુ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થાય છે. વારસાઈ આંબાને અંગ્રેજીમાં   Heirship Channel Certificate કહેવામાં આવે છે.  (૪૦.૧૦)

આલેખન

નીલ આર. ઘોડાસરા

એડવોકેટ

મો.૯૬૮૭૮ ૭૩૭૭૭, રાજકોટ

(12:06 pm IST)