Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મવડીની જમીન અંગે વચગાળાની મનાઇ હુકમની અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા.૧૨: મવડીના રેવન્યુ સર્વે નં.૯૯ તથા ૧૦૦ના બિનખેડવાણ પ્લોટ નં.૨૬ની જમીન સંબંધે વાદીના કાયદેસરના હકક-અધિકારોને અસર પહોંચાડવાના બદઆશયથી ગેરકાયદેસર કૃત્યો કે કાર્યવાહી હાથ ધરનાર વિરુધ્ધ કરેલ દાવામાં વચગાળાના મનાઇ હુકમની અરજી અદાલતે મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે રાજકોટ તાલુકાના ગામ મવડીના રેવન્યુ સર્વે નં.૯૯ તથા ૧૦૦ના બિનખેડવાણ અને ઇમારત બાંધવાની મંજૂરીવાળા જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં.૨૬ની જમીન ચો.વા.આ.૭પ૦-૦, ચો.મી.આ.૬૨૭-૦૯ વાદી જગદીશભાઇ બચુભાઇ પટેલ (ઢોલરીયા)ની કાયદેસરના હકક-હિત-અધિકારની આવેલ છે.

વાદી જગદીશભાઇ બચુભાઇ પટેલ જોગનો રજીસ્ટર્ડ સાટાખત કરાર અમલમાં અને અસ્તિત્વમાં હોવા છતાં તેમજ સાટાખતની રૂઇએ પ્લોટમાં કાયદેસરનો હકક-હિત-અધિકાર આવેલ હોવાનું જાણતા હોવા છતાં શકિતરાજસિંહ દિપસિંહ જાડેજા અને મુકેશભાઇ બચુભાઇ દોંગાએ મિરલભાઇ શૈલેષભાઇ પટ્ટણી સાથે ગેરકાયદેસર રીતે મિલાપીપણું રચી વાદી જગદીશભાઇ પટેલના હકક-અધિકારોને અસર પહોંચાડવાના બદઆશયથી સવાલવાળો વ્યર્થ વેચાણ દસ્તાવેજ ઉભો કરેલ. સવાલવાળા વેચાણ દસ્તાવેજથી કોઇ રાઇટ, ટાઇટલ, ઇન્ટરેસ્ટ, કે માલિકી હકકો શકિતરાજસિંહ દિપસિંહ જાડેજા અને મુકેશભાઇ બચુભાઇ દોંગાને પ્રાપ્ત થયેલ નથી અને આવા ગેરકાયદેસરના કૃત્યોની વાદીને જાણ થતાં વાદી જગદીશભાઇ પટેલએ રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો કરી વાદી જોગના કરારનું વિશિષ્ટ પાલન કરવા તથા કહેવાતા વ્યર્થ સવાલવાળા વેચાણ દસ્તાવેજ સંબંધિત વિજ્ઞાપન અને કાયમી મનાઇહુકમ મળવા અંગેનો દાવો પ્રતિવાદી નં.૧ મિરલભાઇ શૈલેષભાઇ પટ્ટણી, પ્રતિવાદી નં.૨ શકિતરાજસિંહ દિપસિંહ જાડેજા, પ્રતિવાદી નં.૩ મુકેશભાઇ બચુભાઇ દોંગા અને પ્રતિવાદી નં.૪ મનસુખભાઇ ભીમજીભાઇ રાવળ વિરૂદ્વ દાખલ કરેલ.

વાદીએ રે.દિ.કે.નં.૧૨/૨૦૧૮ના દાવાના કામે વાદગ્રસ્ત પ્લોટ નં.૨૬ સંબંધે ઉપરોકત પ્રતિવાદીઓ વિરૂદ્વ કામચલાઉ મનાઇહુકમની માંગણી કરી વાદગ્રસ્ત પ્લોટ અન્ય કોઇને વેચાણ, ગીરો, બક્ષીસ ટ્રાન્સફર, એસાઇન કે તબદીલ કરે-કરાવે નહીં કે કોઇ બાંધકામ કે ચણતરકામ કે અન્ય કોઇ કાર્યવાહી કરે-કરાવે નહીં તેવી અરજી મુજબની દાદ સાથેની માંગણી કરેલ અને વાદગ્રસ્ત તકરાર અદાલતમાં પેન્ડીંગ હોવા છતાં ગેરકાયદેસર રીતે બાંધકામની ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લાગેલ.

અદાલતે કામચલાઉ મનાઇહુકમની અરજી સંબંધિત વાદી અને પ્રતિવાદીઓની રજૂઆતો અને દલીલો ધ્યાને લઇ વાદીની રે.દિ.કે.નં.:૧૨/૨૦૧૮ના કામે કામચલાઉ મનાઇહુકમની અરજી મંજૂર કરી વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ સંબંધે યથાવત પરિસ્થિતી જાળવી રાખવાનો હુકમ ફરમાવેલ છે.

વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ સંબંધિત વાદીએ દાખલ કરેલ ઉપરોકત દાવાના કામે વાદી વતી વકીલ તરીકે શ્રી હરેશ બી દવે તથા મેહુલ વિ.મહેતા રોકાયેલા છે.

(3:36 pm IST)