Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ડોકટર - વકીલ - સી.એ. - શાળા - કોલેજ -હોસ્પિટલ સહિતનાં પર૦૦ વ્યવસાય ધારકોને વેરો ભરવા નોટીસ

મ્યુ. કોર્પોરેશન દ્વારા કુલ ૧.ર૪ કરોડનું વ્યાજ માફ કરાયું: વ્યવસાય વેરામાં માફી યોજનાનો કુલ ૧પ૦૬ ધંધાર્થીઓએ લાભ લીધોઃ ૩૧ ઓગસ્ટ સુધી યોજના અમલી

રાજકોટ તા. ૧રઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી યોજના હોઇ વ્યવસાયવેરાની વસુલાત કરવા માટે સઘન રીકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વ્યવસાયવેરામાં નોંધાયેલ કુલ-પર૦૦ જેટલાં બાકીદારોને વ્યવસાયવેરો ભરપાઇ કરવા નોટીસો પાઠવવામાં આવેલ છે. જેમાં શોપધારકો, શો-રૂમ, કારખાનાં, કંપનીઓ, ભાગીદારી પેઢીઓ, બેંકો, શાળા-કોલેજો, હોસ્પીટલો, શરાફી મંડળીઓ, વિવિધ ટ્રસ્ટ, જોબવર્ક કરતી પેઢીઓ, ડોકટર, વકીલ, સી.એ., આર્કીટેકટ વિ. સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં નોંધાયેલ કરદાતાઓ પાસેથી વ્યવસાયવેરાની વસુલાત ન આવ્યેથી નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ વ્યવસાયવેરા વ્યાજ માફી યોજનાનો કુલ-૧પ૦૬ જેટલાં વ્યવસાયીકો/ધંધાર્થીઓ દ્વારા લાભ લીધેલ છે જેને કારણે રાજકોટ મહાનગરપાલિકાને વ્યવસાયવેરા પેટે રૂ. ૧.૬૭/- કરોડની આવક થયેલ છે તેમજ કુલ રૂ. ૧.ર૪/- કરોડનું વ્યાજ માફ કરેલ છે. ચાલું નાણાંકિય વર્ષની વ્યવસાયવેરાની કુલ આવક રૂ. ૧૦.૩પ/- કરોડ થયેલ છે.

વ્યવસાયવેરા વ્યાજ માફી યોજના પ્રથમ અને છેલ્લી વખત આવેલ છે તેમજ તા. ૩૧ ઓગસ્ટ સુધી જ અમલમાં હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ પેઢીઓ, વ્યવસાયીકોને ધંધા/વ્યવસાયના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવતી વોર્ડ ઓફિસનો રૂબરૂ સંપર્ક કરીને અને વ્યવસાયવેરાની આ રાહત યોજનાનો મહતમ લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:56 pm IST)