Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા બાળ દર્દીઓ માટે કાલથી બે દિવસનો કેમ્પ

રાજકોટની ગુરૂકુળ હોસ્પિટલમાં આયોજનઃ તા. ૧૩ના શહેરના અને તા.૧૪ના બહાર ગામના બાળકોની તપાસ થશે. દરેક બાળકને સંસ્થા દ્વારા રૂ. ૧૨૦૦ના મુલ્યની સીરીઝ-નીડલ-સ્ટ્રીપની કીટ ગીફટરૂપે અપાશે

રાજકોટ તા. ૧૨ : જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્ડેશન - રાજકોટ છેલ્લા  વર્ષોથી બાળકોમાં થતા અત્યંત ખર્ચાળ પીડાદાયક એવા (ટાઇપ-) ડાયાબીટીસ સામે લડત આપવાનુ ભગીરથ કાર્ય કરે છે.  ડાયાબીટીસ બાળકોને દિવસમાં ત્રણ થી પાંચ વખત ઈન્સ્યુલીનના ઈન્જેકશન લેવા પડે છે. અને બે થી પાંચ વખત ડાયાબીટીસ ચેક કરાવવુ પડે છે. જે બાળક અને તેના માતા પિતા  માટે જે અત્યંત કષ્ટદાયક અને ખુબ જ ખર્ચાળ છે તેવી સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન ચાર થી છ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમા બાળક તથા વાલીઓનુ મનોબળ જળવાઇ રહે તે માટે એવરનેસ કેમ્પ , મનોરંજન માટે પીકનીક, આંખ -દાતના તથા કીડની ચેકઅપ કેમ્પ તથા મેગા ચેકઅપ કેમ્પ જેમા બાળકનું સંપુર્ણ નિદાન , સુગર રીપોર્ટ તથા નિઃશુલ્ક સીરીંન્જ, પેન  નીડલ ,સ્ટ્રીપ વગેરેનું વિતરણ કરવામાં આવે છે. અત્યંત જરૂરિયાતમંદ બાળકોને ડાયાબીટીસને લગતી (ઈન્સ્યુલીન/સીરીઝ/પેનનીડલ/ગ્લુકોમીટર/સ્ટ્રીપ વગેરે) પણ પુરા પાડવામાં આવે છે.

કાલે તા. ૧૩ અને તા ૧૪ના  આવો કેમ્પ આયોજીત થયો છે. કેમ્પમાં અશોક ગોંધીયા મેમો. ટ્રસ્ટ તથા સ.સા. ધર્મજીવનદાસજી હોસ્પિટલ( ગુરૂકુળ હોસ્પિટલ) નો અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયેલ છે. કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત એન્ડોક્રાઇનોલોજીસ્ટ  ડોકટરે નીલેષ દેત્રોજા (હાર્મની હોસ્પિટલ) તથા ડો. પંકજ પટેલ (એપેક્ષ હોસ્પિટલ) તથા ડો.ઝલક ઉપાધ્યાય (પીડીયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટ) તથા ડોકટર ટીમ ૧૩-૧૪ બંન્ને દિવસ સંપુર્ણ સ્ટાફ સાથે સેવા આપશે.

આ પ્રસંગે પૂસ્વામી શ્રી હરીપ્રિયદાસજી (શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ- રાજકોટ) ઉપસ્થિત રહી આશિષ આપશે.

કેમ્પમાં ઉદઘાટન પ્રસંગે શ્રી ઈન્દુભાઇ વોરા(પ્રમુખ અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટ), શ્રી ચંદુભાઇ વીરાણી - (ડાયરેકટરશ્રી બાલાજી વેફર્સ), જયદેવ ઉનડકટ (ખ્યાતનામ ક્રિકેટર) ઉપસ્થિત રહેશે.

તા. ૧૩ના શનિવારે બપોરે ૨: વાગ્યાથી શ્રી ધર્મજીવનદાસજી (ગુરૂકુળ હોસ્પિટલ) ખાતે રાજકોટ શહેરના અને તા. ૧૪ના રવિવાર સવારથી સમગ્ર  સૌરાષ્ટ્રના બાળ દર્દીઓને તપાસવામાં આવશે. બહારથી આવનારા દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી  છે.

સંસ્થા વતી દર વખતની જેમ આ પ્રસંગે પણ સંસ્થાના ટ્રસ્ટી દ્વારા વ્યસનમુકિતના શપથ લેવડાવવામાં આવશે.

દરેક બાળકોને સંસ્થા વતી ડાયાબીટીસમાં અતિ ઉપયોગી ગીફટ (સીરીઝ/ નીડલ/ સ્ટ્રીપ/ લાનસેટ) અંદાજે કિંમત રૂ. ૧૨૦૦ના મુલ્યની તથા બહારગામથી આવેલા ડાયાબીટીક બાળકો અને તેના પરિવારને જમવા તથા નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે. રાજકોટ લોકલ બાળકોને નાસ્તાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી છે.

કેમ્પમાં આગામી આંખ-દાંતના કેમ્પની તારીખની જાહેરાત કરવામાં આવશે.

(1:23 pm IST)