Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેક રિટર્ન કેસમાં લોન ડિફોલ્ટરને ૧ વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૨  : બેન્કમાંથી લોન ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરને માટે સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.

વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરીક સહકારી બેન્ક લિ. ની મવડી પ્લોટ શાખામાંથી અલ્પેશભાઇ રણછોડભાઇ રાઠોડને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયું હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો. જેથી બેન્કે તા. ૧૬/૦૭/૨૦૧૫ માં રાજકોટની નેગોશીએબલ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. અલ્પેશભાઇ રણછોડભાઇ રાઠોડે મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

રાજકોટના ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એન.એચ. વસવેલીયાની કોર્ટથી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ-૧૩૮ હેઠળ અલ્પેશભાઇ રણછોડભાઇ રાઠોડને ૧ વર્ષની જેલની સજા અને ચેક રીટર્નના વળતરરૂપે રૂા ૨,૨૧,૧૯૫/- ની રકમ ૧૦ દિવસમાં બેન્કને ચુકવવી. જો વળતર ૬૦ દિવસમાં ન ચુકવે તો આરોપીને બીજા ૬ માસની જેલની સજા ફરમાવી હતી.

ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેન્ક વતી એડવોકેટ શ્રી રવિભાઇ બી. ગોગીયા, ફરીયાદી ભાવીનભાઇ વેકરીયા રોકાયા હતા. ચેક રિટર્નના કેસમાં ૧ વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતા બેન્કના અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(3:39 pm IST)