Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

જવાહર સોસાયટીમાં મનીષભાઈ ગોહેલના મકાનમાં ૧.૧૦ લાખની ચોરી

પત્ની નૈનાબેન ઘર પાસે કપડા લેવા ગયા'ને તસ્કરો હાથફેરો કરી ગયા

રાજકોટ, તા. ૧૨ :. એંસી ફુટ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા કડીયા આધેડના મકાનને નિશાન બનાવી તસ્કર કબાટમાંથી રોકડ તથા દાગીના મળી રૂ. ૧.૧૦ લાખની મત્તા ચોરી જતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ એંસી ફુટ રોડ પર જવાહર સોસાયટી શેરી નં. ૨ મા રહેતા અને કડીયાકામ કરતા મનીષભાઈ હરીભાઈ ગોહેલ (ઉ.વ.૪૩) ગઈકાલે કડીયાકામે ગયા હતા અને પત્ની નૈનાબેન સાંજે ઘરને આગરીયો મારીને ઘર પાસે કપડા જોવા અને લેવા માટે ગયા હતા. નૈનાબેન થોડીવાર બાદ પરત ઘરે આવ્યા હતા. દરમ્યાન પતિ મનીષભાઈ પણ ઘરે આવતા તેણે નીચેના રૂમમાં કબાટ ખુલ્લો જોતા તપાસ કરતા તિજોરીમાં રાખેલ થેલીમાંથી ત્રણ સોનાની વીટી, બે ચેઈન, ત્રણ સોનાના દાણા, ત્રણ જોડી ચાંદીના સાંકળા, ચાંદીનો ઘુઘરો, છ ચાંદીની માછલી, એક વાટકી અને ચમચી તથા પાકીટમાંથી રૂ. ૨૫ હજાર ગાયબ જોતા ચોરી થયાની ખબર પડતા તેણે જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ ડી.એન. વાજા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી મનીષભાઈ ગોહેલની ફરીયાદ  દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૨-૧૮)

(2:42 pm IST)