Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પુષ્ટિમાર્ગમાં માનસીપૂજા સર્વોત્તમઃ પૂ. વિશાલબાવા

નાથદ્વારાના ગાદીપતિ તીલકાયતજી ૧૦૮ શ્રી રાકેશબાવાના આત્મજ 'અકિલા'ના આંગણે મુઘલોએ 'ગોસ્વામી' ખીતાબ આપ્યો હતોઃ અકબર શ્રી ગુસાઈજીના શિષ્ય બન્યા હતાઃ પુષ્ટિમાર્ગની પરંપરા વિજ્ઞાનને આધીન છે

પૂ. વિશાલબાવા અકિલાના આંગણે : પૂ.પ.ગો.૧૦૦૮ શ્રી તિલકાયત શ્રી રાકેશકુમાર મહારાજશ્રીની આજ્ઞાનુસાર શ્રીનાથજીની ધ્વજાજીને સનાથ કરવા રાજકોટ પધાર્યા છે આજે અકિલાના આંગણે પૂ. વિશાલબાવાએ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રીનાથજી મંદિર અને વૈષ્ણવ સંપ્રદાય અંગે ગહન ચર્ચા કરી હતી તે પ્રસંગની તસ્વીર નજરે પડે છે આ પ્રસંગે જાણીતા સીએ ધીરેનભાઈ લોઢીયા, આરસીસી બેન્કના સીઈઓ પુરૂસોત્તમભાઈ પીપળીયા, મેહુલ ભગત અને ધર્મેશભાઈ પારેખ, મુંબઇ નિવાસી ભાવેશભાઇ પટેલ સહિતના અનુયાયીઓ દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૨૧.૨૫)

રાજકોટ, તા. ૧૨ :. દેશ-વિદેશના કરોડો ભાવિકોના આસ્થાના સ્થાન શ્રીનાથજી મંદિર - નાથદ્વારાના ગાદીપતિ પૂ. તીલકાયત શ્રી ૧૦૮ રાકેશબાવાશ્રીના સુપુત્ર પૂ. વિશાલબાવા આજે ધ્વજાજી સાથે રાજકોટ પધાર્યા છે. પૂ. વિશાલબાવા 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા અને દિવ્ય સત્સંગ કર્યો હતો.

પૂ. બાવા શ્રીએ જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગ ભકિતનો માર્ગ છે. આ માર્ગમાં માનસીપૂજાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભકિત કરતા - કરતા વૈષ્ણવનું સ્તર વધતુ જાય પછી તેમને મૂર્તિની કે જે તે સ્થાનની જરૂરીયાત રહેતી નથી. આવા ભકતને પરમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સાક્ષાત્કાર થઈ ગયો હોય છે.

જો કે પુષ્ટિમાર્ગ વિશેષ પ્રકારનો અલૌકિક માર્ગ છે. ભકતને જે ભાવ થાય એ ભાવથી પૂજી શકે છે. ઠાકોરજી પ્રત્યે પરમાત્માનો ભાવ થાય, મિત્રનો ભાવ થાય, ઠાકોરજી બાળક હોય તેવો ભાવ થાય તે મુજબ તેને ભજી શકાય છે. પ્રભુ પ્રત્યે જે ભાવ થાય એ ભાવથી તેની સાથે જોડાઈ શકો છો.

પૂ. વિશાલબાવાશ્રીએ કહ્યું હતું કે, મનુષ્ય પેદા થાય ત્યારે તેમા અગ્નિતત્વનો અંશ હોય છે. પરમ આનંદની સ્થિતિ હોય છે. જન્મ થયા બાદ મમતા અને અહંકાર તેમને ઘેરી વળે છે. માણસની દિશા આ બન્ને પ્રત્યેથી મુકત થવાની હોવી જોઈએ.

પૂ. બાવાશ્રીએ જણાવ્યું હતું કે, શ્રીનાથજી સ્વરૂપનું પ્રાગટય ગિરીરાજજી પર્વત પર થયું હતું. જયારે પ્રાગટય થયું ત્યારે જ પૂ. વલ્લભાચાર્યજીનો જન્મ થયો હતો. પપ૦ વર્ષો પૂર્વે ગિરીરાજજી પર બંનેનું અલૌકિક મિલન થયું હતું. અને શ્રી નાથજીબાવાએ પૂ. વલ્લભાચાર્યજીને સેવા પ્રદાન કરી હતી, જે પુષ્ટિ માર્ગ તરીકે પ્રસ્થાપિત થઇ છે.

પુષ્ટિ માર્ગની પરંપરા વિજ્ઞાન આધારિત છે. આયુર્વેદમાં દર્શાવવામાં આવેલી શ્રેષ્ઠત્તમ ભોજન પધ્ધતિ પ્રમાણે જ પુષ્ટિમાર્ગમાં પ્રસાદ ધરવાની પરંપરા છે. આ ઉપરાંત આજે વિજ્ઞાન પણ ગાયના દૂધનું મહત્વ સ્વીકારે છે. પુષ્ટિમાર્ગમાં ગાયનું પારાવાર મહત્વ છે. ઠાકોરજીને ગાયનું દૂધ જ ધરવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજીના વંશજોએ કરેલી અનન્ય ગૌભકિતના કારણે મુઘલોએ આ વંશજ ને 'ગોસ્વામી' ખાતબ આપ્યો હતો.

અકબર પણ પુષ્ટિ સંપ્રદાયથી પ્રભાવિત થયા હતા અને શ્રી ગુંસાઇજીના શરણમાં આવ્યા હતાં. આ સમયે ગૌ-હત્યા પર પ્રતિબંધ લગાવીને બાદશાહ અકબરે શ્રી ગુંસાઇજીને ગુરુધારણ કર્યા હતાં.

પૂ. વિશાલબાવાએ જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગમાં ઉચ્ચ-નીચ કે જાતિ-વર્ણના ભેદ નથી. દિપાવલીના બીજા દિવસ અલૌકિક અન્નકુટના દર્શન નાથદ્વારામાં થાય છે. આ પરંપરામાં ભીલભાઇઓ અન્નકુટ પ્રસાદ લૂંટવા આવે છે. આજે પણ આ પરંપરા ચાલે છે. ભીલભાઇઓ અન્નકુટ લૂંટે નહિ ત્યાં સુધી પ્રભુએ પ્રસાદ ગ્રહણ કર્યો નથી તેવું માનવામાં આવે છે.(૨-૨૨)

નામાંકિત સીએ ધીરેનભાઈ લોઢીયાના આંગણે શ્રીનાથજીની ધ્વજાજી પધરામણી : સાંજે વચનામૃત

પંચવટી સોસાયટી ૨/૭  'પ્રશાંતદિપ'માં અલૌકિક દર્શન સાથે મંગળા દર્શન અને ફૂલફાગ ઉત્સવ

રાજકોટ તા. ૧૨ : શહેરના નામાંકિત સીએ ધીરેનભાઈ લોઢીયાના આંગણે શ્રીનાથજીની ધ્વજાજીની પાવન પધરામણી થઇ છે રાજકોટની વલ્લભ વૈષ્ણવ સૃષ્ટિ પર અસીમ કૃપા કરીને વૈષ્ણવોને શ્રી ધ્વજાજીના સનાથ કરવા ધીરેનભાઈ લોઢીયાના નિવાસ સ્થાને પંચવટી સોસાયટી ૨/૭ પ્રશાંતદીપ પ્લોટ નં. ૮/એ ખાતે અલૌકિક દર્શનનો અવસર પ્રાપ્ત થયો છે

પૂ.પ.ગો. ૧૦૦૮ શ્રી તિલકાયત શ્રી રાકેશકુમાર મહારાજશ્રીનીએ આજ્ઞા અનુસાર શ્રીનાથજીના શ્રી ધ્વજાજી સમસ્ત વલ્લભીય સૃષ્ટિ પર હેલી વરસાવવા પધાર્યા છે ત્યારે અલૌકિક દર્શન અને શ્રી ધ્વજાજીના ઉત્સવમાં સહભાગી થવા લોઢીયા પરિવારે સમસ્ત વૈષ્ણવ પરિવારને અનુરોધ કર્યો છે.

ધીરેનભાઈ લોઢીયાએ આ અંગે જણાવ્યું હતું કે શ્રીનાથજીની ધ્વજાજીના અલૌકિક દર્શન સાથે આજે સાંજે વચનામૃતનો પણ વૈષ્ણવોને લ્હાવો મળશે. ઉપરાંત ફૂલફાગ ઉત્સવ પણ ઉજવનાર છે અને કાલે મંગળા દર્શન સુધી શ્રી ધ્વજાજીના દર્શન ઈત્યાદિનો અવસર મળશે.(૨૧.૨૬)

પૂનમે માંગવા નહિ, દર્શન કરવા આવો

રાજકોટ તા. ૧ર :.. નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરે દર પૂનમાં ખૂબ ભાવિકો - વૈષ્ણવો ઉમટે છે. શ્રી તીલકાયતજીના આત્મજ પૂ. વિશાલબાવા કહે છે કે, નાથદ્વારા માં બધાંનું સ્વાગત સદૈવ છે, પરંતુ પૂનમે મોટાભાગનાં શ્રી ઠાકોરજી પાસે કંઇક માંગવા આવતા હોય છે. પુષ્ટિમાર્ગ શરણાગતિના માર્ગ છે. આપણે શ્રી ઠાકોરજીનું શરણ લઇ લીધા બાદ જે તે ભકત-વૈષ્ણવ માટે ઉત્તમ સ્થિતિનું નિર્માણ શ્રી ઠાકોરજી કરી રહ્યા છે. આપણી જરૂરીયાતો - આપણી સમસ્યાઓ અંગે તેમને ખ્યાલ છે જ. જે તે ભકત-વૈષ્ણવ માટે જે યોગ્ય હશે તે જ શ્રી ઠાકોરજી કરી રહ્યા છે. શરણાગતિ બાદ કંઇ જ માંગવાની જરૂરત નથી.

પૂનમે શ્રી ઠાકોરજી પૂર્ણકક્ષાએ ખીલેલા હોય છે કંઇ માંગવા માટે નહિ, પરંતુ આ અલૌકિક દર્શન માટે જરૂર પધારો. (પ-૩૩)

નાથદ્વારા મંદિરમાં હોલી ઉત્સવની અલૌકિક ઝલક

મૂર્તિના દર્શન ન થાય તેટલો ગુલાલ ઉડે છે, આરતી સમયે માત્ર જયોત દેખાય : બીજા દિવસે મંદિર સંપૂર્ણ કલીન : નવનીત પ્રિયાજી મંદિરે ઠાકોરજીને ગાળો પણ દેવાય છે

રાજકોટ તા. ૧૨ : રાજકોટની વલ્લભ વૈષ્ણવ સૃષ્ટિ પર અસીમ કૃપા કરીને વૈષ્ણવોને શ્રી ધ્વજાજીના સનાથ કરવારાજકોટના આંગણે પૂ.પ.ગો.૧૦૦૮ શ્રી તિલકાયત શ્રી રાકેશકુમાર મહારાજશ્રીનીએ આજ્ઞા અનુસાર શ્રીનાથજીના શ્રી ધ્વજાજી સમસ્ત વલ્લભીય સૃષ્ટિ પર હેલી વરસાવવા પધાર્યા છે. આજે અકિલાના આંગણે પૂ. વિશાલબાવાએ નાથદ્વારા મંદિરમાં ખુબ જ પ્રચલિત હોલી ઉત્સવની અલૌકિકતા અંગે જણાવ્યું હતું.

પૂ. વિશાલબાવાએ નાથદ્વારાના હોલી -ધુળેટી ઉત્સવ અંગેની ઝલક વર્ણવતા કહ્યું હતું કે ખુબ જ પૌરાણિક ઉત્સવ એવા હોળી ઉત્સવની અનેરૂ મહાત્મ્ય છે. હોળી ઉત્સવ મુખત્વે ૪૦ દિવસ સુધી ઉજવાય છે તેમાં છેલ્લા આઠ દિવસ નાથદ્વારામાં ગુલાલની છોળો નિરંતર જોવા મળે છે.

આ ઉત્સવ વેળાએ મૂર્તિના દર્શન ન થાય તેટલો ગુલાલ ઉડે છે અને આરતી સમયે માત્ર જયોત જ દેખાય છે નાથદ્વારાના માર્ગો ગુલાલથી રંગાય છે જોકે બીજા દિવસે મંદિર સંપૂર્ણ ચોખ્ખુંચણાક થઇ જાય છે આ પરંપરા છે.

વધુમાં હોલી ઉત્સવ અંતગર્ત વ્હાલા વૈષ્ણવો ભગવાન સાથે મસ્તી પણ કરે છે અને સખા ભાવનો પરિચય આપે છે. પૂ.વિશાલબાવાએ કહ્યું કે નવનીત પ્રિયાજી મંદિરે ઠાકોરજીને ગાળો પણ દેવાય છે. આ અંગે સ્પષ્ટતા કરતા પૂ. વિશાલબાવાએ જણાવ્યું હતું કે માનવીના વિકારને નિર્મૂલન માટે તેઓ વૈષણવો ઠાકોરજી સમક્ષ આ ભાવ પણ વ્યકત કરતા હોય છે.(૨૧.૨૬)

 

(3:43 pm IST)