Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પરિણીતાને દહેજ બાબતે મારકુટ કરવાના કેસમાં પતિ સાસુ અને સસરાને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૧૧: અત્રે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેના કેસમાં અદાલતે પતિ, સાસુ અને સસરાને બે વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અત્રે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી પરિણીતા  રસીલોબન અમિતભાઇ પોપટે રહે. જસદણ વાળાએ તેના પતિ અમિત પોપટ મકવાણા , સસરા પોપટભાઇ સગરામભાઇ મકવાણા અને સાસુ પાંચુબેન મકવાણા સામે દહેજ પ્રતિબંધિક ધારાની કલમ -૪ તેમજ શારીરિક માનસિક ત્રાસ મારકુટ કરી ખુનની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે પોલીસે તપાસ કરીને આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ મુકયું હતું. બનાવની વિગત મુજબ ફરિયાદી રસીલાબેન અમીતભાઇ મકવાણાને લગ્ન જીવન દરમ્યાન તેના પતિ અમીતભાઇ પોટપભાઇ સસરા પોપટભાઇ સગરામભાઇ, સાસુ પાંચુબેન પોપટભાઇએ ભયંકર માનસિક, શારીરિક ત્રાસ આપી મારા મારી કરી, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી તે અંગેનો કેસ ચાલી જતા ફરિયાદી રસીલાબેને સોગંદ ઉપર કોર્ટમાં જુબાની આપી જણાવેલ કે તેના લગ્નના ત્રણ વર્ષ થયા છે અને લગ્નબાદ તેઓ ગામ જીયાણા મુકામે તેના પતિ સાથે સંયુકત કુટુંબમાં રહેવા ગયેલા અને ત્યાં તેઓ ખેતીનું કામ કરતા પતિ તેને મારતો, સાસુ-સસરા મેણાટોણા મારતા અને પતિ છરી કાઢીને મારી નાંખવાની ધમકી આપતા હતા અને દહેજની માંગણી કરતા હતા અને મારકુટ કરતા તેમાં સાસુ, સસરા, પતિને સહકાર આપતા હતા વધુમાં ફરિયાદીએ જણાવેલ કે તેણીને લગન જીવનથી એક પુત્ર 'ખુશાલ' નો  જન્મ થયેલ અને પતિ સામે ખાદ્યા-ખોરાકીનો કેસ જસદણ કોર્ટમાં કરેલો અને હાલની ફરિયાદ કરતા પહેલા રાજકોટ મહિલા મંડળમાં પણ રજુઆત કરેલી અને મહિલા મંડળવાળાએ સમાધાન કરવાનું કહેલ પરંતુ આરોપીઓ સમાધાન માટે આવેલ નહી અને ફરિયાદી ઉપર સતત ત્રાસ ચાલુ હેલો ફરિયાદીને સગર્ભા અવસ્થામાં ત્રાસના કારણે પતિનું ઘર છોડવું પડેલું તેમજ ફરિયાદીએ સોગંદ ઉપર કોર્ટમાં જાહેર કરેલ કે પતિ તેને છરી લઇને મારવા દોડે છે અને જન્મથી આજ દિવસ સુધી સગીર પુત્રના ઉછેરમાં કોઇ ધ્યાન આપેલ નથી સગીર પુત્ર જન્મથી એકલા હાથે ફરિયાદી રસીલાબેને ઉછેરીને મોટો કરેલ છે તેવી સ્પષ્ટ સોગંદ ઉપર કોર્ટમાં જુબાની આપેલી.

ફરિયાદી તરફે આ કામમાં કુલ-૧૧ સાહેદો તપાસવામાં આવેલ છે જે બધાએ માનસીક દુઃખ ત્રાસને ફરિયાદીને સમર્થન આપેલ છે અને નામદાર કોર્ટે ફરિયાદીનો કેસ શંકારહિત સાબિત થયેલાનું માનેલ છે. આ કેસમાં સરકારી વકીલ શ્રી બી.એન. શુકલએ દલીલ કરી જણાવેલ કે સ્ત્રી વિરૂદ્ધનો ગુનો અત્યાચારનો સાબીત થયેલ છે તેમાં આરોપીને કોઇ પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં અને આરોપીઓના એડવોકેટની પ્રોબેશનના લાભ આપવાની મોૈખિક રજુઆતને કોર્ટે ફગાવી દીધી હતી.

કોર્ટે માનેલ છે કે સ્ત્રી ઉપર અત્યાચાર થયેલ છે અને સાસુ પાંચીબેન પોપટભાઇ મકવાણા પણ સ્ત્રી છે પરંતુ તેઓએ પણ ફરિયાદીની વિરૂદ્ધમાં મદદગારી કરી છે અને કોર્ટે પોતાના ૨૦ પાનાના ચુકાદામાં કાયદાની છણાવટ કરી આરોપી નં. ૧ અમીત પોપટભાઇ મકવાણા, આરોપી નંં.ર પોપટભાઇ સગરામભાઇ મકવાણા, આરોપી નં. ૩ પાંચુબેન પોપટભાઇ મકવાણાને તકશીરવાન ઠરાવી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮(ક), ૩૨૩,૧૧૪ન ગુનામાં બે-બે વર્ષની સજા ફટકારી રૂ. રપ૦૦/-નો પ્રત્યેક આરોપીઓને દંડ કરેલ છે અને દંડ ન ભરે તો એક માસની વધુ સજા ફરમાવેલ છે.

આ કામમાં સરકારી વકીલ શ્રી બી.એન. શુકલની મદદમાં ફરિયાદી રસીલાબેન અમીતભાઇ મકવાણાના પ્રાઇવેટ વકીલ તરીકે રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, વાસુદેવ પંડયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ એડવોકેટ તરીકે રોકાયેલ હતાં.

(3:49 pm IST)