Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મહાશિવરાત્રી અને વ્યતિપાત યોગનો સંયોગઃ દાનનું ફળ અબજો ગણું

શ્રી બ્રહ્મા, વિષ્ણુ તથા માતા પાર્વતીએ ભગવાન શ્રી શંકરને પુછયું કે, કયા વ્રતથી સંતુષ્ટ થઈ આપ ભોગ તથા મોક્ષને આપો છો? ત્યારે શ્રી ભગવાન શંકર બોલ્યા કે ભોગ તથા મોક્ષ આપનારા મારા ઘણાં વ્રતો છે તેમાં મુખ્ય દસ જાણવા. આમા શિવરાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઈચ્છનારાઓએ આ વ્રત અવશ્ય કરવા જેવું છે.

મહાશિવરાત્રીનું વ્રતઃ- માધ માસ- કૃષ્ણપક્ષ- તિથિ તેરસ તા.૧૩ને મંગળવાર મહાનિશીથ કાળ રાત્રીના ૧૨ક.- ૩૬મિ. થી રાત્રીના ૧ક.-૨૬મિ.સુધી

શિવરાત્રીની વ્રત- વિધીઃ- શ્રી ભગવાન શંકર બોલ્યા કે, હે કેશવ ! તે (શિવરાત્રીના) દિવસ સવારથી માંડી જે ખાસ કરવું જોઈએ  તે હું તમને કહું છું. તેને મન લગાડીને ખૂબ પ્રેમથી તમે સાંભળો. બુધ્ધિમાન મનુષ્યે સવારમાં ઉઠીને પરમ આનંદયુકત અને આળસરહિત થઈ સ્નાનાદિ નિત્ય કર્મો કરવાં. પછી શિવાલયમાં જઈ વિધિપૂર્વક શિવ-પૂજન અને શ્રી ભગવાનને નમસ્કાર કરવાં તે વખતે શ્રી ભગવાન શંકર સમક્ષ આવો સંકલ્પ કરવો.

સંકલ્પઃ- હે દેવોના દેવ મહાદેવ ! હે નિલકંઠ! આપને નમસ્કાર હો, હે દેવ! હું આપનું શિવરાત્રી વ્રત કરવા ઈચ્છુ છું, હે દેવેશ્વર! આપના પ્રભાવથી આ વ્રત નિર્વિધન થાઓ અને કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુઓ મને પીડા ન જ કરો.

પછી પૂજાના દ્રવ્યો લેવા જવા વ્રત કરનારે શાસ્ત્રની આજ્ઞા મુજબ ઉપવાસ કરવો.

રાત્રીએ જાગરણ કરવું. શાસ્ત્રની આજ્ઞા મુજબ રાત્રીના ચારેય પ્રહરોમાં શિવની વિશેષ કરીને પૂજા કરવી. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બિલીપત્રથી શિવનું પૂજન કરવું. શકિત પ્રમાણે બ્રહ્મભોજન વગેરેનો સંકલ્પ કરવો. ભકિતભાવથી શિવના ગીતો, સંગીત, તાંડવ નૃત્ય વગેરે કરવાં.

શિવરાત્રીમાં આ મહોત્સવ, સૂર્યોદય થાય ત્યાં સુધીનો તે કાળ ભકત લોકો સાથે પસાર કરવો.

સૂર્યોદય પછી શાસ્ત્રની આજ્ઞા મુજબ સ્નાન, શિવ પૂજન, બ્રાહ્મણો- સાધુ- તપસ્વીઓને અન્નદાન- દક્ષિણા વગેરે ધર્મકાર્ય કરવાં.

શ્રી ભગવાન શંકરને પ્રાર્થના કરવી, ''...હે ભૂતપતિ ! મેં આજ્ઞાનથી કે જ્ઞાનથી જપ તથા પૂજા આદિ જે કર્યુ હોય તેને આપે જાણ્યું જ છે, તો આપ કૃપાના ભંડાર હોવાથી મારા પર પ્રસન્ન થાઓ. આ ઉપવાસથી જે ફળ થયું હોય તેથી શિવ સુખદાયક જ થઈ મારા પર પ્રસન્ન થાઓ...''

એ રીતે જેણે વ્રત કર્યુ હોય તેનાથી શ્રી ભગવાન શંકર કહે છે હું દૂર જ નથી. તેનું ફળ કહી શકાતું નથી, ઉત્તમ વ્રત જો આનાયાચાસે કર્યુ હોય તો તેનું મુકિત બીજ પ્રકટ થઈ જ ચુકયું છે એમાં કાંઈ વિચારવા જેવું નથી.

શિવરાત્રીના વ્રતનું ફળઃ- આ ભરતખંડમાં જે મનુષ્ય શિવરાત્રીનું વ્રત કરે છે, તે સાત મન્વંતરો સુધી શિવલોકમાં આંનદ કરે છે.

બિલીપત્રનું ફળઃ- જે મનુષ્ય શિવરાત્રીના દિવસે, જેટલા બિલીપત્રો શિવને ચડાવે છે તેટલા યુગો સુધી શિવલોકમાં આનંદ કરે છે.

મહાશિવરાત્રી અને વ્યાતિપાત યોગનો અનોખો સંયોગઃ- મંગળવારે તા.૧૩ના રોજ વ્યતિપાત યોગનો પ્રારંભ બપોરે ૨ : ૩૨ શરૂ થાય છે અને બુધવાર તા.૧૪ને બપોરે ૩:૧૩ પુરો થાય છે. આ વખતે શિવરાત્રી અને વ્યાતિપાત યોગનો અનોખો સંયોગ છે એટલે આ શિવરાત્રી અને વ્યતિપાત યોગમાં કરેલુ દાન મનુષ્યને અબજોગુણ ફળ આપનાર છે તેથી મનુષ્યે પોતાની શ્રધ્ધા શકિત અનુસાર ભગવાન શિવની પુજા અભિષેક, રૂદ્રી પાઠ, અન્નદાન, જલ દાન, વસ્ત્ર દાન, દિપ દાન વગેરે કરવા જોઈએ.

આ લેખમાં આપેલી માહિતી શ્રી શિવ મહાપુરાણ, સ્કંદ મહાપુરાણ, શ્રીમદ્ ભગવતી ભાગવત વગેરે પુરાણોમાંથી અતિ સંક્ષેપમાં સાર રૂપે લીધેલી છે. ભગવદ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય તે જ આ સંકલનનો લેખનો હેતુ છે.

સંકલનઃ નિશીથ ઉપાધ્યાય,

સ્પીરીચ્યુઅલ કન્સલટન્સ અને એસ્ટ્રોલોજર, મો.૯૨૨૭૫ ૪૬૫૫૫

(2:32 pm IST)