Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

૧૬ કરોડના માર્કેટ યાર્ડના બારદાન કાંડમાં ગોડાઉન મેનેજરના બે કેસમાં જામીન મંજુર

રાજકોટ, તા. ૧ર :  કોથળા કાંડ પ્રકરણે ગુજરાત સરકારને ભીસમાં લેતા માત્ર સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ પુરા ગુજરાત સતત ચર્ચાના એરણે રહેલ ૧૬ કરોડના બારદાન કાંડમાં ગોડાઉન મેનેજર પરેશ હંસરાજભાઇ સંખાવરા સામે નોંધાયેલ બંને કેસોમાં અદાલતોને જામીન પર મુકત કરતા હુકમો ફરમાવેલ છે.

બંને કેસોની હકીકતો લક્ષમાં લેવામાં આવે તો અરજદાર સહિતનાઓએ સરકારની કંપની ગુજકોટ દ્વારા ખેડૂતોના ટેકાના ભાવમાં ખરીદ કરવામાં આવતા પાકને ભરવા માટે ઉપયોગમાં લેવા માટે ખરીદ કરવામાં આવેલ બારદાનનો જથ્થો રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ ખાતેના બે સેડોમાં રાખેલ જેમાં અચાનક આગ લાગવાથી બારદાનો બળી ગયેલ પૈકી બચેલ બારદાની સરકારી કંપનીના એજન્ટો હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કરી પ્રથમથી જ ઠગાઇ કરવાના ઇરાદાથી પોતાના અંગત આર્થિક લાભ માટે એકબીજાએ ભેગા મળી ગુનાહિત કાવતરૂ રચી રૂ.  ૧૬ કરોડ ના બારદાનોનો વેચાણ કરી સરકારી રેકર્ડ સાથે ચેડા કરી રજીસ્ટરના પાના ફાડી નાખી નાશ કરી એકબીજાએ બદદાનતથી કપટ પૂર્વક બારદાનો ખસેડી ગુનાહિત રીતે આર્થિક લાભ મેળવી ગુનો કર્યા સંબંધે મગનભાઇ ઝાલાવડીયા સહિતનાઓ વિરૂધ્ધ જુદી જુદી બે ફરીયાદો દાખલ રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી.

ઉપરોકત બંને કેસોના કામે અરજદાર પરેશ હંસરાજભાઇ સંખાવરાએ રાજકોટની સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજીઓ દાખલ કરી રજૂઆતો કરેલ કે અરજદાર માત્ર ગોડાઉન મેનેજર હોય સમગ્ર પ્રકરણમાં તેઓએ કોઇ આર્થિક લાભ મેળવેલ હોય કે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરેલ હોય તેવી હકીકતો રેકર્ડ પર જણાઇ આવતી ન હોય.  અરજદારને બંને ગુનામાં જામીન પર મુકત કરવા રજુઆતો કરવામાં આવેલ હતી. 

બંને પક્ષની રજુઆતો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેવામાં આવે તો અરજદારની નિષ્કાળજી ગુનાહિત છે તેવું પોલીસ પેપર્સમાં જણાતુ નથ, ગુજકોટના સ્ટોર થયેલ બારદાન ઇન્ચાર્જ તરીકે હવાલો સંભાળતા હતા તે વેચાણ કરવાની કે ખરીદ કરવાની સત્તા અરજદારની ન હતી. બંને કેસોમાં તપાસ પૂર્ણ થઇ જતા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે.

હાઇકોર્ટોના સમાનતાના સુસ્થાપિત સિધ્ધાંતો ધ્યાને લેતા અરજદારની તરફેણમાં વિવેક બુધ્ધિ સતાનો ઉપયોગ કરવા ન્યાયોચિત જણાતુ હોવાનું માની બંને કેસોમાં રાજકોટની સેશન્સ અદાલતો દ્વારા અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં અરજદાર પરેશ સંખાવરા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સહદેવ, દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલા હતા.(૯.પ)

(4:08 pm IST)