Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોરોનાની નાજુક સ્થિતિમાં અમદાવાદ-સુરતમાં લીધેલો અનુભવ ડોકટર્સને રાજકોટની સિવિલમાં કામ આવ્યો

મનોવિજ્ઞાન અધિક પ્રાધ્યાપક ડો. મુકેશ પટેલ કહે છે-મેડિકલ ટીમની સાથે વહિવટી તંત્ર, મેડિકલ વેસ્ટ, ફાયર સેફટી, સફાઇ, સિકયુરીટી, વીજ વિભાગ, સપ્લાય સહિત તમામની કામગીરી નિષ્ઠાપુર્વકની અને અવિસ્મરણીય : ૧૯૭ ડોકટર્સ, ૩૦૦ રેસિડેન્ટ, ૧૫૦ ઇન્ટર્ન, ૮૦ મેડિકલ સ્ટુડન્ટ અને શહેરના : ૧૫૭ ડોકટર, ૫૭ ઇન્ટર્ન સિવિલમાં સતત ખેડપગે સેવામાં રહ્યા

રાજકોટ તા. ૧૧ : ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ રાજકોટ શહેરમાં આવ્યો ત્યારે આ પરિસ્થિતિમાં સારવાર, લોકોના જીવ બચાવવાથી લઈ સંક્ર્મણ ખાળવા તમામ સ્તરે વિવિધ વિભાગે એક ટીમ બનાવી સમજદારીપૂર્વકનો અભિગમ અપનાવ્યો હતો.

આ મહામારી અન્ય કુદરતી આફત કરતા અલગ જ હોઈ તેને મેનેજ કરવા કોઈ દિશા સૂચન વગર પાથ તૈયાર કરવો, ખાસ કરીને મેન પાવર મેનેજ કરવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હતી તેમ પી.ડી.યુ. મેડિકલ કોલેજના મનોવિજ્ઞાન અધિક પ્રાધ્યાપક ડો. મુકેશ પટેલ છેલ્લા ૬ માસની કામગીરીને વાગોળતા જણાવે છે.

રાજકોટમાં કોરોનાના મહત્તમ કેસ આવ્યા તે પહેલા અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં આવ્યા હોઈ અહીંના ડોકટર્સને સેવા સારવાર અર્થે ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ ડોકટર્સને ત્યાં કરેલ સારવારનો અનુભવ રાજકોટમાં વધતા જતા કેસને હેન્ડલ કરવામાં ખાસ ઉપયોગી બન્યાનું ડો. મુકેશ જણાવે છે. વધુમાં તેઓ ઉમેરે છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે આ તમામ બાબતે માઇક્રો આયોજન કરવામાં જરૂરી માર્ગદર્શન ઉપરાંત માળખાગત સુવિધાઓ અને સાધનીક મશીનરી અને દવાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરાવી હતી. 

રાજકોટમાં કોરોનાના કેસ જે સમયે ટોચ પર હતા તે સમયે રાજકોટ સિવિલના ૧૯૭ ડોકટર્સ, ૩૦૦ રેસિડન્ટ ડોકટર્સ, ૧૫૦ ઇન્ટર્ન, ૮૦ મેડિકલ સ્ટુડન્ટ્સ અને અન્ય શહેરના ૧૧૭ ડોકટર્સ તેમજ ૫૭ જેટલા ઈન્ટર્સ રાજકોટ સિવિલમાં ખડેપગે સેવાયજ્ઞમાં જોડાઈ એક સાથે હજારો દર્દીઓની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ખાસ તો આ તમામ ડોકટર્સને સારવાર ઉપરાંત દર્દીઓને દવા, રિપોર્ટ, ટ્રાન્સફર, મૃતક દર્દીઓનું મેનેજમેન્ટ, ભોજનની વ્યવસ્થા, તેમના પરિવારજનો સાથે કાઉન્સેલિંગ સહીત અનેકવિધ જવાબદારીઓનું મેનેજમેન્ટ કરવું ખુબ જ મહેનત માંગી લેતું હોવાનું ડો. પટેલ જણાવે છે

રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં માત્ર મેડિકલ ટીમ જ નહિ પરંતુ દર્દીઓને કોરોના મુકત કરવામાં અનેક વિભાગનું સંકલન અને સહયોગ મળ્યાનું ડો. મુકેશ પટેલ જણાવે છે. જેમાં ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાનો ખુબ સહયોગ મળ્યો. દર્દીઓને ઝડપી સારવાર, કોવીડ સેન્ટરમાં ટ્રાન્સપફર, મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ફાયર સેફટી, વીજ બોર્ડ, પાણી પુરવઠા વિભાગ સહિતના અનેક વિભાગનું સંકલન અને સહયોગ થકી ૬ મહિનાની કોરોના સફર સફળતાપૂર્વક પાર પડ્યાનું તેઓ જણાવે છે.

તેમનો આભાર માનતા ડો. મુકેશ કહે છે કે તમામ વિભાગના લોકોએ દેશપ્રેમ અને સામાજિક ઉત્ત્।રદાયિત્વ સાથે દિલથી સેવા કરી, તેમના સહયોગ વગર આ સંકટમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોત.

હજુ કોરોના વાયરસ ખતમ થયો નથી. તેમની અસર વધતે ઓછે અંશે ચાલુ જ રહેશે. આપણે હજુ સતર્ક રહેવું પડશે. દિવાળીના તહેવારોમાં પરંપરાગત ઉજવણી કોઈ ગંભીર પરિણામ ના લાવે તે માટે આપણે કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડલાઈન ચુસ્તપણે અનુસરીએ તેમ ડો. મુકેશ વિનંતી કરે છે.

રાજય સરકારનું સતત મોનીટરીંગ, સ્થાનિક વિભાગોનું ટીમ વર્ક, યોગ્ય પ્લાનિંગ સાથે લોકોના સાથ સહકારથી હાલ જે રીતે આપણે કોરોના સામે જંગ જીત્યા છીએ તે સમગ્ર રાજકોટ માટે અવિસ્મરણીય બની રહેશે.

સિવિલ-સમરસમાં સારવારથી સ્વસ્થ થઇ આનંદ અનુભવતાં આનંદ સંપત

રાજકોટ : 'કોરોનાના સંક્રમણથી બચવા સંયમિત જીવનશૈલી અપનાવી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીએ' આ શબ્દો છે આનંદભાઇ સંપતના...,  કોરોના લાગુ પડ્યા બાદ તેમની સ્થિતી ખૂબ જ ક્રિટીકલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં મળેલ સઘન સારવારને પરિણામે તેઓ કોરોના મુકત થયા છે.

 આનંદભાઇને કોઈ કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવવાના કારણે શરીરમાં તાવ અને કફનું પ્રમાણ વધવા લાગ્યું હતું,અને ઉધરસ તથા શરદી ખૂબ જ વધી ગયા હતા, તેથી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, માટે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા,  સિવિલમાં સારવાર મેળવ્યા બાદ તેમને સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા પરંતુ છાતીમાં કફનું પ્રમાણ વધતાં ડોકટર ફરી તેમને નિદાન અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જતા અદ્યતન સારવાર મળતા સાજા થઇ ગયા હતા. આનંદિત થઇ આનંદભાઇ સિવિલ અને સમરસના સમગ્ર સ્ટાફની સેવાને બીરદાવી રહ્યા છે.

(3:08 pm IST)