Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજકોટના તમામ વોર્ડના સફાઈ કામદારોનું સન્માન

અવધૂત ક્રેડીટ કો.ઓ.સોસાયટી દ્વારા રવિવારે 'અવધૂત' એવોર્ડ અર્પણ સમારોહ : સફાઈ કર્મી.ને એફડી, સ્વચ્છતા એવોર્ડથી નવાજાશે : અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત પૂ.દિલીપદાસજી અને મહામંડલેશ્વર પૂ.લલીતકિશોર શરણજીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૧ : શ્રી અવધૂત ક્રેડીટ સોસાયટી દ્વારા સમાજના સેવારત્નોને બિરદાવતો કાર્યક્રમ તા.૧૭ નવેમ્બરના રવિવારે બપોરે ૩ વાગ્યાથી રોજ પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં યોજાનાર છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉપક્રમે રાજકોટને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાખતા તમામ વોર્ડના શ્રેષ્ઠ સફાઈ કામદારોને 'અવધૂત સ્વચ્છતા' એવોર્ડ અને રોકડ પુરસ્કાર અર્પણ તથા સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ધરાવતા રાજકોટના સેવારત્નોને 'અવધૂત' એવોર્ડ અર્પણ કરશે. આ જ કાર્યક્રમમાં શ્રી અવધૂત ક્રેડીટ સોસાયટી દ્વારા સેવાનિવૃત થતા સભાસદોને અવધૂત સેવાનિવૃતિ એવોર્ડ અને શૈક્ષણિક તેજસ્વીતા ધરાવતા વિદ્યાર્થીઓને અવધૂત સારસ્વત એવોર્ડ આપી સન્માનવામાં આવશે.

સમાજની સમરસ સોસાયટી અને સભાસદોના વિશ્વાસના પ્રતિક સમી શ્રી અવધૂત ક્રેડીટ સોસાયટી છેલ્લા ૩ વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે. જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક અને રાજકોટના પ્રખર શિક્ષણવિદ્દ ડો. પ્રવિણભાઈ નિમાવતના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ટૂંકાગાળામાં તેના પારદર્શી વહીવટને કારણે સભાસદોમાં ખૂબ જ લોકપ્રિય બનેલ છે. શ્રી અવધૂત ક્રેડીટ સોસાયટી દ્વારા વિવિધલક્ષી સેવાકીય, સામાજીક અને સમાજોપયોગી કાર્યક્રમો દર વર્ષે યોજાતા હોય છે. છેલ્લા ૩ વર્ષથી સેવાકીય અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ધરાવતા સેવારત્નો અવધૂત એવોર્ડ દ્વારા સન્માનિત કરી શ્રી અવધૂત સોસાયટી તેમનું સમાજ પ્રત્યેનું આગવુ ઋણ અદા કર છે. જેના અંતર્ગત ગત વર્ષે કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરના વિશાળ હોલમાં યોજાયેલ અવધૂત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહીને આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.

આ કાર્યક્રમ કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં સામાજીક, શૈક્ષણિક, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આર્શીવચન માટે અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી અને નિંબાર્કપીઠ લીંબડીના મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણજી મહારાજ ઉપસ્થિત રહેશે. ઉપરોકત તસ્વીરમાં અવધૂત ક્રેડીટ કો.ઓપ. સોસા.ના ડો.પ્રવિણ નિમાવત (મો.૯૪૨૬૨ ૫૦૫૦૩), વી.ડી.બાલા અને શરદભાઈ પંડિત નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:36 pm IST)