Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સુનિલને નાલામાં ફેંકયા પછી પણ શ્વાસ ચાલુ જણાતાં પાણો મારી પતાવી દીધો'તો

દિયર સાથે મળી પતિને પતાવી દેનાર મમતાને લગરીકેય અફસોસ : થોરાળાના હત્યાના બનાવમાં દિયર-ભોજાઇની વિસ્તૃત પુછતાછઃ એકાદ વર્ષથી બંને વચ્ચેે આડાસંબંધ હતાં

રાજકોટ તા. ૧૦: નવા થોરાળા વિસ્તારમાં રહેતો મુળ ઉત્તરપ્રદેશનો સુનિલ રાજકુમાર અથરીયા (ઉ.૨૫) નામનો યુવાન ગત ૫મીએ ગૂમ થયો હતો. આ યુવાનની પરમ દિવસે સાંજે મીરા ઉદ્યોગનનગરના મહાદેવના મંદિર પાસેના નાલામાંથી કોહવાયેલી લાશ મળી આવવાની સાથે ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી પણ સામે આવી હતી. સુનિલને તેના જ ઓરમાન ભાઇ અજયએ પોતાની ભાભી એટલે કે સુનિલની પત્નિ મમતા સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું હતું. સુનિલને મુંગો દઇ મારી નાંખ્યાનું દિયર-ભોજાઇએ કહ્યું હતું. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા પાછળ બોથડ પદાર્થનો ઘા થયાનું ખુલતાં વિશેષ પુછતાછમાં અજયએ એવી કબુલાત આપી છે કે સુનિલને નાલામાં ફેંકયો ત્યારે પણ તેના શ્વાસ ચાલુ હોઇ માથામાં પાણકો મારી પતાવી દીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ ખુલ્યું છે કે હત્યાનો ભોગ બનનાર સુનિલની પત્નિ મમતાએ દિયર અજય સાથે એકાદ વર્ષથી આડો સંબંધ હતો. જેમાં સુનિલ આડખિલીરૂપ બનતો હોવાથી બંનેએ પ્લાન ઘડીને સુનિલની હત્યા કરી હતી. લાશનો નિકાલ કર્યા બાદ અજય અને મમતા વડોદરા પહોંચી ગયા હતાં. ત્યાંથી ટ્રેનમાં બેસી યુ.પી. તરફ ભાગે એ પહેલા થોરાળા પોલીસની ટીમના બલભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે બંનેને પકડી લીધા હતાં.

ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં માથા પાછળ પણ બોથડ પદાર્થનો ઘા થયો હોવાનું ખુલતાં અજયની વિશેષ પુછતાછ થતાં તેણે કબુલ્યું હતું કે ગમછાથી મુંગો દીધા બાદ સુનિલ મરી ગયાનું સમજી લાશને ગોદડામાં વીંટી પોતે અને મમતા નાલામાં ફેંકવા ગયા હતાં. લાશ ફેંકી ત્યારે પણ સુનિલના શ્વાસ ચાલતાં હોઇ જેથી માથા પાછળ પાણો મારી પતાવી દીધો હતો. હત્યાનો આ બંનેને કોઇ અફસોસ હોય તેવું જણાતું નથી. પી.આઇ. એસ. એન. ગડુ, અજીતભાઇ ડાભી,  કેલ્વીનભાઇ તથા ડી. સ્ટાફની ટીમ વધુ તપાસ કરે છે. (૧૪.૮)

(3:31 pm IST)